IPL 2025: એવું તો શું થયું કે હવે ચેન્નાઈ સુપર કિંગ્સની મેચો પર કશું નહીં બોલે આર. અશ્વિન? વિવાદ વધતાં નિર્ણય
IPL 2025: ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર બોલર આર. અશ્વિને IPL 2025 માટે મોટો નિર્ણય લીધો છે. તેણે ચેન્નાઈ સુપર કિંગ્સની મેચોથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. ચેન્નાઈની મેચોના એનાલિસિસ પર વિવાદ વધ્યા બાદ અશ્વિને એક નિવેદન જારી કરીને કહ્યું કે, 'મેં આ સિઝનમાં ચેન્નાઈની મેચો, પ્રીવ્યૂ અને રિવ્યૂ કવર ન કરવાનો નિર્ણય લીધો છે.' વાસ્તવમાં દિલ્હી કેપિટલ્સ સામે ચેન્નાઈ સુપર કિંગ્સની મેચ બાદ ચેન્નાઈના હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગે આર. અશ્વિનની યુટ્યુબ ચેનલ અંગે એક ચોંકાવનારું નિવેદન આપ્યું હતું.
CSK મેચોને કવર ન કરવાનો નિર્ણય લીધો
આ મેચ દિલ્હીએ 25 રનથી જીતી લીધી હતી. આ મેચમાં ચેન્નાઈના બેટ્સમેનોના ફોર્મ પર સવાલો ઉઠ્યા હતા. મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે ફ્લેમિંગને પૂછવામાં આવ્યું કે શું અશ્વિન દ્વારા તેની યુટ્યુબ ચેનલ પર ટીમની ટીકા ડ્રેસિંગ રૂમનો માહોલ બગાડી શકે છે? આ સવાલ પર ચેન્નાઈના હેડ કોચે આશ્ચર્ય વ્યક્ત કર્યું અને કહ્યું હતું કે મને નથી ખબર કે અશ્વિનની યુટ્યુબ ચેનલ છે. હું આ પ્રકારની વસ્તુઓને ફોલો નથી કરતો. તેનો આ જવાબ ખૂબ ચર્ચામાં રહ્યો હતો. હવે આ વિવાદ બાદ અશ્વિને એક નિવેદન જારી કરીને CSK મેચોને કવર ન કરવાનો નિર્ણય લીધો છે. તેણે કહ્યું કે, 'ગત અઠવાડિયે આ ફોરમ પર થયેલી ચર્ચાઓના નેચરને જોતાં અમે એ બાબતોનું ધ્યાન રાખવા માગીએ છીએ કે, વસ્તુઓને કેવી રીતે બતાવવામાં આવે અને અમે આ સિઝનના બાકીના હિસ્સા માટે CSK મેચોનું પ્રીવ્યૂ અને રિવ્યૂ બંનેને કવર ન કરવાનો નિર્ણય લીધો છે. અમે અમારા શોમાં વિવિધ દ્રષ્ટિકોણને મહત્વ આપીએ છીએ અને અમારા મહેમાનો દ્વારા વ્યક્ત કરાયેલા વિચારો અશ્વિનના વ્યક્તિગત મંતવ્યોને નથી દર્શાવતા.'
'શોની ભાવના સાથે વિચારપૂર્વક સંકળાયેલા દરેક વ્યક્તિની અમે પ્રશંસા કરીએ છીએ. તમારો પ્રતિસાદ અમને વર્ષોથી બનાવેલી વસ્તુઓને નિખારવામાં અને સુધારવામાં મદદ કરે છે. હંમેશાની જેમ તમામ નોન-CSK ખેલ સાથે ચાલુ રહેશે. આ રોમાંચક IPL સીઝનનો બાકીનો ભાગ તમારા બધા સાથે જોવા માટે આતુર છું.'
વાસ્તવમાં અશ્વિનની ચેનલ પર આવેલા એક વીડિયોમાં પેનલિસ્ટે ટીમની સિલેક્શન નીતિ પર સવાલ ઉઠાવ્યા હતા. પેનલિસ્ટે ડાબોડી સ્પિનર નૂર અહેમદની પસંદગી પર ટિપ્પણી કરી હતી, જે આ સિઝનમાં અત્યાર સુધી 10 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે.