Rohit Sharma: ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડ કપ 2024 અને ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં વિજય અપાવનાર રોહિત શર્માને વનડે વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં હારવાનું દુ:ખ હજું પણ છે. અમદાવાદમાં ઓસ્ટ્રેલિયાના હાથે મળેલી હારથી તે ટ્રોફી તેના માટે અધૂરા સ્વપ્ન સમાન બની ગઈ છે. હવે રોહિત ખુલ્લેઆમ કહી રહ્યો છે કે, તેનું આગામી લક્ષ્ય માત્ર રમવાનું નથી, પણ જીતવાનું છે. રોહિતે 2027માં ભારતને ચેમ્પિયન બનાવવાનો સંકલ્પ લીધો છે.
દેશ માટે ટ્રોફી જોઈએ
ICCના એક કાર્યક્રમમાં રોહિતે સ્પષ્ટ કરી દીધું છે કે, '2027 મારા કરિયરનું મોટું મિશન હશે. હું 50 ઓવરનો વર્લ્ડ કપ જોઈને મોટો થયો છું. તે જ સૌથી મોટો મંચ હતો. મને ખરેખર તે ટ્રોફી જોઈએ છે અને હું તેના માટે સંપૂર્ણ તાકાત લગાવી દઈશ. હું ત્યાં જઈને મારા દેશ માટે વર્લ્ડ કપ જીતવા માંગુ છું.' રોહિત શર્માનું આ નિવેદન દર્શાવે છે કે તેના માટે આ માત્ર એક ટુર્નામેન્ટ નથી, પરંતુ એક અધૂરી કહાનીનો બીજો અધ્યાય છે.
ઉંમર પર સવાલ, જવાબ ફિટનેસથી
T20 અને ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધા બાદ ઘણા લોકોએ માની લીધું હતું કે, 2027 સુધી રોહિતની સફર મુશ્કેલ હશે, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓમાં તેણે પોતાની ફિટનેસ પર શાનદાર કામ કર્યું, વજન ઘટાડ્યું અને નવી એનર્જી સાથે મેદાનમાં પરત ફર્યો. ભલે તેણે ન્યૂઝીલેન્ડ સામે રન ન બનાવ્યા હોય, પરંતુ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામેની તેની બેટિંગે તેને ફરીથી યાદ અપાવ્યું કે મોટા મંચનો ખેલાડી હજુ પણ જીવંત છે.
અનુભવનો પહાડ
રોહિત માત્ર ઈરાદાથી જ નહીં પણ આંકડાથી પણ દમદાર છે. તેણે 282 વનડેમાં 11,577 રન બનાવ્યા છે અને તેમાં 33 સદી અને 61 અડધી સદી સામેલ છે. આ આંકડા જણાવે છે કે શા માટે તેની ગણતરી વિશ્વના સૌથી ખતરનાક ઓપનરોમાં થાય છે. જો ફિટનેસ સાથે આપે તો 2027માં તેનો અનુભવ ટીમ માટે સોનું સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો: ચાલુ મેચમાં અમ્પાયર સાથે માથાકૂટ કરવી ભારે પડી! ICCએ સ્ટાર ખેલાડીને ફટકાર્યો દંડ
મિશન 2027 શરૂ
રોહિતની વાત પરથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે તૈયારીઓ હમણાથી જ શરૂ થઈ ગઈ છે. ટાર્ગેટ માત્ર ભાગ લેવાનો જ નથી, પરંતુ ટ્રોફી ઉઠાવવીને અધૂરુ સ્વપ્ન પૂર્ણ કરવાનો છે.


