Get The App

IPLને આ વખતે મળશે નવો ચેમ્પિયન, જાણો RCB-PBKS માંથી કોનો ટ્રેક રેકોર્ડ છે મજબૂત

Updated: Jun 2nd, 2025

GS TEAM


Google News
Google News
IPLને આ વખતે મળશે નવો ચેમ્પિયન, જાણો RCB-PBKS માંથી કોનો ટ્રેક રેકોર્ડ છે મજબૂત 1 - image


RCB-PBKS: શ્રેયસ અય્યરની કેપ્ટનશીમાં પંજાબ કિંગ્સે ક્વૉલિફાયર-2માં પાંચ વખતની વિજેતા મુંબઈ ઈન્ડિયન્સને 5 વિકેટથી હરાવીને 11 વર્ષ પછી ઈન્ડિયન પ્રીમિયર લીગની ફાઈનલમાં એન્ટ્રી મારી છે. પંજાબ કિંગ્સ છેલ્લ 2014માં IPL ફાઈનલ રમી હતી અને કોલકાતા નાઈટ રાઇડર્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. IPLના ઇતિહાસમાં (કુલ 18 સીઝન) આ માત્ર બીજી વખત છે જ્યારે પંજાબની ટીમ પ્લેઓફ અને ફાઈનલમાં પહોંચી છે. હવે ટાઈટલ મેચમાં પંજાબ કિંગ્સ 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રજત પાટીદારની આગેવાની કેપ્ટનશીપ હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ સામે ટકરાશે.

IPLને આ વખતે મળશે નવો ચેમ્પિયન

આ વખતે ઈન્ડિયન પ્રીમિયર લીગને એક નવો ચેમ્પિયન મળશે, કારણ કે પંજાબ કિંગ્સ અને આરસીબી બંને પોતાના પ્રથમ આઈપીએલ ટાઈટલની રાહ જોઈ રહ્યા છે. આમ તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ 10મી વખત આઈપીએલ પ્લેઓફમાં પહોંચ્યું છે, પરંતુ તે ક્યારેય ટાઈટલ નથી જીતી શક્યું. આ ચોથી વખત છે જ્યારે આરસીબી આઈપીએલ ફાઈનલ રમશે. આ પહેલા 2009, 2011 અને 2016માં, તેને અનુક્રમે ડેક્કન ચાર્જર્સ, ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. મોર્ડન ડે ક્રિકેટનો દિગ્ગજ વિરાટ કોહલી પોતાના આઈપીએલ કારકિર્દીની શરૂઆતથી જ આરસીબી સાથે જોડાયેલો છે અને તે તેની પ્રથમ આઈપીએલ ટ્રોફીની પણ રાહ જોઈ રહ્યો છે. આરસીબીએ 29 મેના રોજ રમાયેલી ક્વૉલિફાયર-1 મેચમાં પંજાબ કિંગ્સને 8 વિકેટથી હરાવીને ફાઈનલમાં એન્ટ્રી મારી હતી. 

બીજી ક્વૉલિફાયર મેચ 1 જૂનની રાત્રે અમદાવાદના નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે શરૂ થઈ હતી, પરંતુ મેચ બીજા દિવસે એટલે કે 2 જૂને સમાપ્ત થઈ હતી. પંજાબ માટે ફાઈનલમાં પ્રવેશવાની આ બીજી તક હતી. બીજી તરફ એલિમિનેટરમાં ગુજરાત ટાઈટન્સને 20 રનથી હરાવીને પ્રથમ પરીક્ષા પાસ કરનારી મુંબઈ ઈન્ડિયન્સની ટીમને ફાઈનલમાં પહોંચવા માટે બીજી કસોટીમાં પાસ થવાનું હતું. વરસાદને કારણે બરાબર અઢી કલાક મોડી શરૂ થયેલી આ મેચમાં પહેલા બોલથી છેલ્લા બોલ સુધી રોમાંચ ચાલુ રહ્યો. ટોસ હાર્યા બાદ મુંબઈએ પહેલા બેટિંગ કરવી પડી હતી અને તેની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી, કારણ કે રોહિત શર્મા ત્રીજી ઓવરમાં આઉટ થયો હતો. પરંતુ ટીમના બાકીના બેટ્સમેનોએ ઝડપી ગતિએ ઈનિંગ્સ રમવાનું ચાલુ રાખ્યું અને નિર્ધારિત 20 ઓવરમાં 203 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો.

મુંબઈનો આ સ્કોર એટલા માટે પણ મહત્વપૂર્ણ હતો કારણ કે IPLના 18 વર્ષના ઇતિહાસમાં આ મેચ પહેલા આ ટીમ 200 રનના આંકડાને સ્પર્શ્યા પછી ક્યારેય હારી ન હતી. દર વખતે આ ટીમે 200 કે તેથી વધુ રન બનાવ્યા પછી સફળતાપૂર્વક જીત હાંસલ કરી હતી. મુંબઈ માટે જોની બેયરસ્ટોએ 38 રનની ઉપયોગી ઈનિંગ્સ રમી, તિલક વર્મા અને સૂર્યકુમાર યાદવે 44-44 રનની ઈનિંગ્સ રમી. છેલ્લી ઓવરોમાં નમન ધીરે 37 રનની ઈનિંગ્સ રમી અને તેની ટીમને સારા સ્કોર સુધી પહોંચાડી. પંજાબ કિંગ્સ માટે અઝમતુલ્લાહ ઓમરઝાઈએ ​​2 વિકેટ લીધી અને જેમીસન, સ્ટોઈનિસ, વિજયકુમાર વૈશ્ય અને ચહલે 1-1 વિકેટ લીધી. દબાણ વાળી આ મેચમાં મોટા ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની શરૂઆત પણ સારી નહોતી અને તેને પ્રભસિમરન સિંહના રૂપમાં માત્ર 13 રનના સ્કોર પર પહેલો ફટકો પડ્યો હતો. તે 6 રન બનાવીને ટ્રેન્ટ બોલ્ટનો શિકાર બન્યો હતો.

આ પણ વાંચો: IPL 2025: મુંબઈ સામે જીત બાદ કોના પર ગુસ્સે ભરાયો શ્રેયસ અય્યર, હાથ પણ ન મિલાવ્યો

ત્યારબાદ પ્રિયાંશ આર્ય અને જોશ ઈંગ્લીસે બીજી વિકેટ માટે ઝડપથી 42 રન ઉમેર્યા. 55 રનના સ્કોર પર પ્રિયાંશ આર્ય હાર્દિક પંડ્યાના હાથમાં અશ્વિની કુમારના હાથમાં કેચ આઉટ થતા પંજાબને બીજો ઝટકો મળ્યો. આર્ય 20 રન બનાવીને પવેલિયન પરત ફર્યો. જોશ ઈંગ્લીસ 38 રન બનાવીને પંડ્યાનો શિકાર બન્યો અને કિંગ્સને 72 રનના સ્કોર પર ત્રીજો ઝટકો મળ્યો. અહીંથી કેપ્ટન શ્રેયસ અય્યરે નેહલ વાઢેરાની સાથે મળીને ચોથી વિકેટ માટે 84 રનની પાર્ટનરશિપ કરી અને પોતાની ટીમની મેચમાં વાપસી કરાવી. પંજાબની ચોથી વિકેટ 156ના સ્કોર પર પડી અને નેહલ વાઢેર 48 રન બનાવીને અશ્વિની કુમારના બોલ પર મિશેલ સેન્ટનરના હાથે કેચ આઉટ થયો. પંજાબ હજુ આ ફટકામાંથી બહાર આવ્યું ન હતું, ત્યારે તેને 169ના સ્કોર પર શશાંક સિંહના રૂપમાં પાંચમો ઝટકો લાગ્યો.

5 વર્ષમાં ત્રીજી IPL ટીમને ફાઈનલમાં લઈ ગયો અય્યર

પરંતુ શ્રેયસ અય્યરે નક્કી કર્યું હતું કે હું એક દાયકા પછી પોતાની ટીમને IPL ફાઈનલમાં ન પહોંચાડીને જ રહીશ. એક યાદગાર ઈનિંગ જેને શ્રેયસ અય્યર અને પંજાબ કિંગ્સ આવનારા વર્ષો સુધી યાદ રાખશે. એક કેપ્ટનની શાનદાર ઈનિંગ. શ્રેયસે 41 બોલમાં 5 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 87 રનની અણનમ ઈનિંગ રમી. તેણે અશ્વિની કુમારની 19મી ઓવરમાં 4 છગ્ગાની મદદથી 26 રન બનાવ્યા. આ ઓવરમાં અશ્વિનીએ એક નો બોલ અને એક વાઈડ બોલ પણ ફેંક્યો. આ રીતે 1 ઓવર બાકી હતી ત્યારે અય્યરે સિક્સર સાથે મેચ પૂરી કરી અને તેની ટીમને ફાઈનલમાં પહોંચાડી. શ્રેયસ અય્યરે કેપ્ટનશીપ હેઠળ માત્ર પાંચ વર્ષમાં ત્રણ અલગ-અલગ ફ્રેન્ચાઈઝીને IPLની ગ્રાન્ડ ફાઈનલમાં પહોંચાડી છે. તેણે 2020માં દિલ્હી કેપિટલ્સને ફાઈનલમાં પહોંચાડ્યું, 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સને ટાઇટલ જીત અપાવી અને હવે પંજાબ કિંગ્સને તેમની બીજી IPL ફાઈનલમાં પહોંચાડ્યું છે.

પંજાબ અને મુંબઈ વચ્ચેની મેચમાં બન્યા અનેક અનોખા રેકોર્ડ

અમદાવાદમાં મુંબઈ ઈન્ડિયન્સની આ સતત છઠ્ઠી હાર છે. અહીં તેનો એકમાત્ર જીત 2014માં રાજસ્થાન રોયલ્સ સામે મળી હતી. IPLની પ્લેઓફ/નોકઆઉટ મેચોમાં ચેઝ થનાર આ અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે. પંજાબ કિંગ્સ પહેલા કોઈ પણ ટીમ IPL પ્લેઓફ/નોકઆઉટ મેચમાં 203 રનના ટાર્ગેટને ચેઝ નથી કરી શકી. બીજી તરફ IPLમાં પહેલીવાર 200+ રન બનાવવા છતાં મુંબઈને હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ પંજાબ કિંગ્સે 8મી વખત 200થી વધુ રનના ટાર્ગેટને સફળતાપૂર્વક ચેઝ કર્યો. IPLમાં કોઈપણ ટીમ દ્વારા આ સૌથી વધુ છે. IPL 2025માં આ 9મી વખત હતું જ્યારે કોઈ ટીમે 200+ રનના સ્કોરને ચેઝ કર્યો હતો. આ એક સિઝનમાં સૌથી વધુ વખત 200+ સ્કોર ચેઝ કરવાનો રેકોર્ડ છે.

Tags :