| (IMAGE - IANS) |
Rohit Sharma injury update: IPL 2026માં ખરાબ ફોર્મ અને હારનો સામનો કરી રહેલી મુંબઈ ઇન્ડિયન્સ(MI) માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ટીમના બોલિંગ કોચ પારસ મ્હામ્બ્રેએ કેપ્ટન રોહિત શર્મા અને ઓલરાઉન્ડર મિચેલ સેન્ટનરની ફિટનેસ અંગે મોટું અપડેટ આપ્યું છે. રોહિત શર્માને RCB સામેની મેચ દરમિયાન હેમસ્ટ્રિંગની ઇજા થઈ હતી, જેના કારણે તેણે પંજાબ કિંગ્સ સામેની મેચ ગુમાવવી પડી હતી. હવે સોમવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ(GT) સામે રમાનારી મહત્ત્વની મેચ પહેલા રોહિતની વાપસીના સંકેતો મળ્યા છે.
રોહિત શર્માએ નેટ્સમાં બેટિંગ પ્રેક્ટિસ કરી શરૂ
પ્રી-મેચ પ્રેસ કોન્ફરન્સમાં પારસ મ્હામ્બ્રેએ જણાવ્યું કે, રોહિત શર્મા અને સેન્ટનર બંને હવે ફિટ છે. રોહિતે નેટ્સમાં બેટિંગ પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. જોકે, રોહિત મેદાનમાં ઉતરશે કે નહીં તેને લઈને હજુ થોડું સસ્પેન્સ છે, કારણ કે હાર્દિક પંડ્યાએ અગાઉ સંકેત આપ્યો હતો કે રોહિતને પૂર્ણ ફિટનેસ માટે હજુ એક-બે મેચનો આરામ આપવામાં આવી શકે છે. બીજી તરફ, મિચેલ સેન્ટનર જે બીમારીને કારણે છેલ્લી મેચ રમી શક્યો નહોતો, તે હવે પસંદગી માટે ઉપલબ્ધ છે.
ડિકોક કે રિકેલ્ટન? પ્લેઈંગ ઈલેવન પર સૌની નજર
જો રોહિત શર્મા ટીમમાં પરત ફરે છે, તો મુંબઈ ઇન્ડિયન્સનું પ્લેઈંગ ઈલેવન કોમ્બિનેશન બદલાઈ શકે છે. રોહિતની ગેરહાજરીમાં ક્વિન્ટન ડિકોકે શાનદાર સેન્ચુરી ફટકારી હતી, જેના કારણે હવે રોહિતની એન્ટ્રી થતા ડિકોક અથવા રિકેલ્ટનમાંથી કોઈ એકને બહાર બેસવું પડી શકે છે. મુંબઈ માટે આ મેચ જીતવી ખૂબ જરૂરી છે, કારણ કે અત્યાર સુધી તેઓ અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સને હરાવી શક્યા નથી અને પોઈન્ટ ટેબલમાં પણ ટીમ સૌથી નીચે છે.


