IPL 2026 Abhishek Sharma: IPLની આગામી 2026 સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદની કેપ્ટનશીપમાં ફેરફાર જોવા મળી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, સનરાઇઝર્સ હૈદરાબાદે અભિષેક શર્માને કેપ્ટન તરીકે નિયુક્ત કરવાનો મોટો નિર્ણય લીધો છે. પેટ કમિન્સની ગેરહાજરીમાં અભિષેક શર્માને કેપ્ટન તરીકે નિયુક્ત કરવાને લઈને ચર્ચા ચાલી રહી છે. આમ, જ્યાં સુધી પેટ કમિન્સની ટીમમાં ફરી જોડાઈ ન જાય ત્યાં સુધી ટીમની કમાન અભિષેક શર્માના હાથમાં રહેશે. પેટ કમિન્સની વાપસી પછી નેતૃત્વ તેમના હાથમાં પાછું આવશે. નોંધનીય છે કે, પેટ કમિન્સ હાલમાં ઘાયલ છે, જેના કારણે તે T20 વર્લ્ડ કપમાં ભાગ લઈ શક્યો ન હતો.
પેટ કમિન્સને પીઠમાં ઈજા
પેટ કમિન્સને વર્ષ 2025થી પીઠની ઈજા થઈ રહી છે. જેમાં એશિઝ સીરિઝ દરમિયાન તેની હાલત ઘણી ખરાબ થઈ ગઈ હતી. આ ઈજાના પરિણામે તે માત્ર T20 વર્લ્ડ કપ જ નહીં પરંતુ એશિઝ સીરિઝની ત્રણ ટેસ્ટ મેચ પણ રમી શક્યો ન હતો. પેટ કમિન્સ હજુ સુધી સંપૂર્ણ સ્વસ્થય થઈ ન હોવાનું જણાય છે અને ટીમના મેડિકલ સ્ટાફ તરફથી તબીબી મંજૂરી મળ્યા પછી જ તે મેદાનમાં પાછો ફરશે. એવી ધારણા છે કે, તે 28 માર્ચથી શરૂ થનારી IPLની શરૂઆતની મેચો ગુમાવશે. જેથી આ દરમિયાન કેપ્ટનશીપ અભિષેક શર્માને સોંપવામાં આવશે.
અભિષેક શર્માને કેપ્ટન કેમ બનાવાશે?
અભિષેક શર્માને કેપ્ટન બનાવવા પાછળનું એક મુખ્ય કારણ ભારતીય ક્રિકેટમાં તેમનું વધતું કદ અને લોકપ્રિયતા હોઈ શકે છે. આ ખેલાડી પાસે હવે IPL અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બંનેમાં નોંધપાત્ર અનુભવ છે, જેના કારણે તે ટીમનું નેતૃત્વ કરવા માટે સારી રીતે તૈયાર છે.
IPLમાં અત્યાર સુધી, અભિષેક શર્માએ 77 મેચોમાં 27.10ની સરેરાશથી 1,816 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઇક રેટ 160થી વધુ છે. અભિષેકે એક સદી ફટકારી છે અને નવ અડધી સદી પણ ફટકારી છે.
અભિષેક શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નંબર વન T20 બેટ્સમેન છે. અત્યાર સુધીમાં અભિષેકે 45 ઇનિંગ્સમાં 33.44ની સરેરાશથી 1,438 રન બનાવ્યા છે, જેમાં બે સદીનો સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં, અભિષેકનો સ્ટ્રાઇક રેટ 190થી વધુ છે. હવે જોવાનું એ છે કે આ વર્ષની IPLમાં અભિષેક કેવું પ્રદર્શન કરશે.


