CSK vs PBKS : પંજાબ કિંગ્સની 4 વિકેટથી જીત, ચેન્નાઇ સુપર કિંગ્સ પ્લેઓફમાંથી બહાર
IPL 2025 CSK vs PBKS : IPL 2025માં આજે (30 એપ્રિલ) પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાઇ હતી. આ મેચમાં પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 4 વિકેટથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા, ચેન્નાઈ સુપર કિંગ્સે 19.2 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને 190 રન બનાવ્યા. જવાબમાં, પંજાબે 19.4 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 194 રન બનાવીને જીત મેળવી. આ સાથે જ ચેન્નાઇ સુપર કિંગ્સ IPL 2025 માં પ્લે ઓફમાંથી બહાર થનારી પહેલી ટીમ બની ગઇ છે.
મેચમાં પંજાબનું પ્રદર્શન
191 રનના ટાર્ગેટનો પીછો કરતા પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે 41 બોલમાં 72 રન બનાવ્યા. શ્રેયસ બાદ પ્રભસીમરન સિંહે સૌથી વધુ 36 બોલમાં 54 રન બનાવ્યા હતા. આ બે બેટરોની ઇનિંગના સહારે પંજાબ કિંગ્સને જીત મળી હતી. બોલિંગની વાત કરીએ તો પંજાબની બોલિંગ જબરદસ્ત હતી. મેચમાં યુઝવેન્દ્ર ચહલે હેટ્રિક સાથે એક ઓવરમાં ચાર વિકેટ ઝડપી હતી. અર્શદીપ સિંહ અને માર્કો જાન્સેને 2-2 વિકેટ અને અઝમતુલ્લા ઓમરઝઇ અને હરપ્રીત બ્રારે 1-1 વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચોઃ IPLના રોબોટ ‘ચંપક’ના કારણે BCCIની મુશ્કેલીઓ વધી, લાગ્યો નામ ચોરીનો આરોપ
મેચમાં ચેન્નાઇનું પ્રદર્શન
પ્રથમ બેટિંગ કરતા, ચેન્નાઈ સુપર કિંગ્સે પાવરપ્લેમાં ત્રણ વિકેટ ગુમાવી હતી. ચેન્નાઇ તરફથી ઓલરાઉન્ડર સેમ કરને સૌથી વધુ 47 બોલમાં 88 રન બનાવ્યા હતા. ડેવાલ્ડ બ્રેવિસે 26 બોલમાં 32 રન બનાવ્યા હતા. આ બંને બેટર સિવાય CSKના બધા બેટર ફ્લોપ સાબિત થયા હતા. આ બે સિવાય CSKનો કોઇ પણ બેટર 20 રન પણ બનાવી શક્યો નહોતો. ચેન્નાઇ તરફથી બોલિંગ કરતા ખલીલ અહમદ અને મહીશ પાથીરાણાએ 2-2 વિકેટ ઝડપી હતી. આ સિવાય રવિન્દ્ર જાડેજા અને નૂર અહમદે 1-1 વિકેટ ઝડપી હતી.
CSK પ્લેઓફમાંથી બહાર
આ મેચમાં હાર સાથે CSK IPL 2025માં પ્લે ઓફમાંથી બહાર થનારી પહેલી ટીમ બની ગઇ છે. ચેન્નાઇ સુપર કિંગ્સે આ સિઝનમાં 10માંથી માત્ર 2 મેચ જીતી હતી, જ્યારે આઠ મેચમાં ચેન્નાઇને હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે, પ્લે ઓફમાંથી બહાર થઇ હોવા છતાં ચેન્નાઇની ટીમ 4 ઔપચારિક મેચો રમશે.