રમત મંત્રાલયે જાહેર કરેલી સમિતિથી પહેલવાનો નારાજ
Updated: Jan 24th, 2023
નવી દિલ્હી, તા.25
મહિલા પહેલવાનોના જાતીય શોષણના મામલે ઓલિમ્પિક મેડલ વિજેતા પહેલવાનોએ જંતર-મંતર પર ધરણા કર્યા હતા. જેના પગલે ભારતીય કુસ્તી સંઘના પ્રમુખ બ્રિજભૂષણ સિંહને થોડા સમય માટે તમામ કાર્યવાહીથી દૂર રહેવા જણાવી દેવાયું છે. આરોપોની તપાસ માટે ભારતીય ઓલિમ્પિક સંઘે મેરી કોમ, યોગેશ્વર દત્ત અને ડોલા બેનર્જી સહિતના ૭ સભ્યોની સમિતી રચી હતી. હવે ખેલમંત્રાલયે આ જ સમિતિના પાંચ સભ્યોને કુસ્તી સંઘના રોજબરોજની કામગીરી જોવા માટે પણ જણાવી દીધું છે. ખેલમંત્રાલયે નિમેલી દેખરેખ સમિતિથી ધરણા કરનારા પહેલવાનોએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતુ કે, ખેલ મંત્રાલયે અમને વિશ્વાસમાં લીધા વિના જ સમિતિ જાહેર કરી દીધી છે.
ઓલિમ્પિક મેડલ વિજેતા પહલેવાન સાક્ષી મલીક અને બજરંગ પુનિયાની સાથે સાથે વિનેશ ફોગાટ અને સરિત મોરે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતુ કે, અમને કહેવામાં આવ્યું હતુ, કે ખેેલ મંત્રાલય અમારી સાથે મિટિંગ કરશે. અમને વિશ્વાસમાં લેશે અને પછી સમિતિની જાહેરાત કરશે. જોકે તેમને તેમની રીતે જ સમિતિની જાહેરાત કરી દીધી છે. જેમાં ચેરમેન તરીકે ઓલિમ્પિક મેડલ વિજેતા બોક્સર મેરી કોમ છે. જ્યારે ઓલિમ્પિક મેડલવિજેતા પહેલવાનો યોગેશ્વર દત્ત પણ છે. આ ઉપરાંત ભૂતપૂર્વ તીરંદાજ ડોલા બેનર્જીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ સમિતિને ચાર સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે. જેમાં તેઓ તપાસ પૂરી કરશે. જોકે હવે પહેલવાનોએ સોશિયલ મીડિયામાં ઠાલવેલી નારાજગીના પગલે આ મામલે હવે તેઓ કેવા વલણ સાથે આગળ વધે છે, તે જોવાનું રહેશે.