Indian Team Predictions: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝનો બીજો રોમાંચક મુકાબલો બુધવાર, 17 જૂનના રોજ લખનૌના મેદાન પર રમાશે. આ મહત્ત્વપૂર્ણ મેચ જીતીને ટીમ ઇન્ડિયા સિરીઝમાં 2-0ની અજેય લીડ મેળવવાના મજબૂત ઈરાદા સાથે મેદાન પર ઊતરશે. આ પહેલાં ધર્મશાલા ખાતે રમાયેલી પ્રથમ વનડે મેચમાં વરસાદના વિઘ્ન વચ્ચે પણ ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને અફઘાનિસ્તાનને 7 વિકેટે ધૂળ ચટાવી હતી.
પ્રથમ મેચની જીત બાદ હવે ભારતીય ટીમ બીજા મુકાબલા માટે લખનૌ પહોંચી ચૂકી છે. આ મેચ માટે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં કેટલાક મોટા ફેરફારો જોવા મળી શકે છે. ચાલો જાણીએ કે લખનૌ વનડેમાં કયા ધાકડ ખેલાડીને તક મળી શકે છે.
પ્રથમ મેચના હીરો રહ્યા હતા ગિલ અને ગુરનૂર
ધર્મશાલામાં રમાયેલી સિરીઝની પ્રથમ વનડેમાં ડેબ્યુ કરનાર યુવા બોલર ગુરનૂર બરારે ઘાતક બોલિંગ કરીને 3 વિકેટ ઝડપી હતી અને ટીમ ઇન્ડિયાની જીતમાં મોટો ફાળો આપ્યો હતો. બેટિંગમાં કેપ્ટન શુભમન ગિલે મોરચો સંભાળતા અણનમ 84 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. ભારતીય ટીમ હાલમાં ટેસ્ટ મેચ જીત્યા બાદ વનડે સિરીઝમાં પણ મજબૂત સ્થિતિમાં છે, તેથી આગામી મેચમાં બેન્ચ પર બેઠેલા ખેલાડીઓને અજમાવવામાં આવી શકે છે. અત્યારે ભારતીય ટીમમાં યશસ્વી જયસ્વાલ, કુલદીપ યાદવ અને પ્રિન્સ યાદવ તકની રાહ જોઈને બેન્ચ પર બેઠા છે.
શું યશસ્વી જયસ્વાલ અને કુલદીપ યાદવને મળશે તક?
સ્ટાર ઓપનર યશસ્વી જયસ્વાલ લાંબા સમયથી વનડે ટીમની પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવવા માટે રાહ જોઈ રહ્યો છે. એવી અટકળો હતી કે તેને નંબર 3 પર બેટિંગ કરવાની તક મળી શકે છે, પરંતુ પ્રથમ વનડેમાં ઇશાન કિશને ત્રીજા ક્રમે આવીને 34 રનની ઉપયોગી ઇનિંગ રમી ટીમ મેનેજમેન્ટને પ્રભાવિત કર્યું હતું. આ સ્થિતિમાં જયસ્વાલે ફરી એકવાર બેન્ચ પર બેસવું પડી શકે છે. બીજી તરફ બોલર કુલદીપ યાદવને પણ બહાર રહેવું પડી શકે છે, કારણ કે ડાબોડી સ્પિનર હર્ષ દુબેએ પ્રથમ વનડેમાં જ 3 વિકેટ ઝડપીને પોતાનું સ્થાન મજબૂત કરી લીધું છે.
પ્રિન્સ યાદવ કરી શકે છે વનડે ડેબ્યુ!
ડોમેસ્ટિક ક્રિકેટ અને ત્યારબાદ આઈપીએલ 2026માં પોતાના દમદાર પ્રદર્શનથી ધમાકો કરનાર પ્રિન્સ યાદવ પર અત્યારે બધાની નજર છે. પ્રિન્સ યાદવ એક એવો ઓપ્શન છે જે ભારતીય પેસ એટેકને વધુ મજબૂત બનાવી શકે છે. જોકે, પ્લેઇંગ ઇલેવનમાં તેનો સમાવેશ ત્યારે જ શક્ય બનશે જ્યારે ગુરનૂર બરાર, પ્રસિદ્ધ ક્રિષ્ના અથવા અર્શદીપ સિંહમાંથી કોઈ એક ફાસ્ટ બોલરને આરામ આપવામાં આવે.
આ પણ વાંચો: મેચ બાદ મેદાન પર માથાકૂટ બાદ શ્રીલંકામાં કોને પગે લાગ્યો વૈભવ સૂર્યવંશી? જુઓ VIDEO
બીજા વનડે માટે ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન:
રોહિત શર્મા, શુભમન ગિલ, ઇશાન કિશન, શ્રેયસ અય્યર, કે.એલ. રાહુલ, વોશિંગ્ટન સુંદર, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષ દુબે, ગુરનૂર બરાર, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ.


