સદંતર ફ્લોપ રહ્યા બાદ પણ ટીમ ઈન્ડિયાના કોચ સ્ટાર બેટરને ચોથી ટેસ્ટમાં રમાડવાની તરફેણમાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Karun Nair Career: ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારત સિરીઝમાં કરુણ નાયરનું પ્રદર્શન અત્યાર સુધી કંઈ ખાસ રહ્યું નથી. હેડિંગ્લી, એજબેસ્ટન અને લોર્ડ્સમાં રમાયેલી ત્રણ ટેસ્ટ મેચમાં નાયરે 249 બોલમાં 131 રન જ બનાવ્યા છે. આ ઉપરાંત લીડ્સ ટેસ્ટમાં કરુણે છઠ્ઠા નંબર પર બેટિંગ કરી હતી. જ્યારે એજબેસ્ટન અને લોર્ડ્સ ટેસ્ટ મેચમાં તેને ત્રીજા નંબર પર બેટિંગ કરવાની તક મળી હતી. જોકે સ્થાન બદલ્યા પછી પણ તેના પરફોર્મન્સમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળ્યો નથી. કરુણ નાયરને ફરીથી ભારતીય ટીમની જર્સી પહેરવામાં આઠ વર્ષ લાગ્યા, પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં પોતાની બીજી ઇનિંગ શરૂ કર્યાના માત્ર 25 દિવસમાં કર્ણાટકના આ બેટરને કઠિન કસોટીનો સામનો કરવો પડી રહ્યો છે.
ખરાબ પ્રદર્શન બાદ પણ નાયરને માન્ચેસ્ટર ટેસ્ટ મેચમાં ચાન્સ મળી શકે છે
વર્તમાન ટેસ્ટ સિરીઝમાં 1-2થી પાછળ રહ્યા બાદ, કરુણ નાયર વિશે ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. જોકે, ભારતીય ટીમ મેનેજમેન્ટ અને હેડ કોચ ગૌતમ ગંભીરને આ અનુભવી ખેલાડી પર વિશ્વાસ છે. આ કારણે, કરુણ 23 જુલાઈથી યોજાનારી માન્ચેસ્ટર ટેસ્ટ મેચમાં પણ રમી શકે છે. કેમ કે જો ટીમ ઈન્ડિયા કરુણ નાયરને બહાર રાખવાનો નિર્ણય લે છે, તો તેમની પાસે સાઈ સુદર્શન અને અભિમન્યુ ઈશ્વરનના રૂપમાં વિકલ્પો છે.
જેમાં સાઈ સુદર્શને લીડ્સમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું, પરંતુ તે મેચમાં ફક્ત 0 અને 30 રન જ બનાવી શક્યો હતો. બીજી બાજુ, અભિમન્યુ ઈશ્વરનને હજુ સુધી ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક મળી નથી. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે કરુણ નાયરને બીજી તક મળી શકે છે કારણ કે ટીમ પાસે હાલમાં વધુ સારા વિકલ્પો નથી.
આસિસ્ટન્ટ કોચ રાયને ટીમ ઈન્ડિયાની ભૂલો ગણાવી
ભારતીય ટીમના આસિસ્ટન્ટ કોચ રયાન ટેન ડોએશે ટીમમાં કરુણ નાયરના સ્થાન અંગેની અનિશ્ચિતતાઓ દૂર કરી દીધી છે. તેમણે કહ્યું કે, 'ટીમ બે ટેસ્ટ હારવા છતાં સારા મૂડમાં છે. જોકે આપણે જીતવાની સ્થિતિમાં હતા. જ્યારે તમે સીરિઝમાં 2-1થી પાછળ હોય તો થોડુંક તો વિચિત્ર લાગી શકે છે પણ અમને લાગે છે કે આપણી ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. ખૂબ જ ઓછા સમયમાં અનેક વિકેટ પડી જવી એ મેચમાં હારનું કારણ રહ્યું. બંને મેચમાં આવી સ્થિતિ જોવા મળી. લોર્ડ્સમાં પણ હેડિંગ્લેની ભૂલનું પુનરાવર્તન થયું અને 40 રનમાં 6 વિકેટ પડી ગઈ જેના કારણે હારનો સામનો કરવો પડ્યો.'
ભારતને નાયર પાસેથી ઘણી અપેક્ષાઓ છે
રાયને કહ્યું, 'જો તમે બધા બેટર્સના રન નંબરો જુઓ તો, તેઓ બધા સારી બેટિંગ કરી રહ્યા હતા. કરુણ જેવા ખેલાડી પાસે સારી લય અને ઝડપ છે. અમને આ ત્રણેય પાસેથી વધુ રન જોઈએ છે. મુખ્ય વાત એ છે કે આપણે જે સારું કર્યું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને જેના કારણે પરિણામ નથી મળ્યું એ નાની નાની બાબતોમાં સુધારો કરવો જોઈએ.' ત્રીજા નંબર પર બેટિંગ કરતા, ભારત નાયર પાસેથી તાકાતની અપેક્ષા રાખે છે, જે ડોમેસ્ટિક ક્રિકેટમાં સ્થાન બનાવીને નેશનલ ટીમમાં જગ્યા બનાવવા સફળ રહ્યો છે.
કરુણને નંબર-3 પર રમવાની તક કેમ મળી?
કરુણ નાયરે ઈંગ્લેન્ડ લાયન્સ સામેની ચાર દિવસીય મેચમાં નંબર-3 પર બેટિંગ કરતી વખતે ડબલ સેન્ચુરી ફટકારી હતી. તેથી જ તેને છેલ્લી બે ટેસ્ટ મેચમાં આ સ્થાન પર તક આપવામાં આવી હતી. તેમ છતાં સારું પ્રદર્શન ન રહેતા ભારતીય ટીમ મેનેજમેન્ટ તેની ટીકા નથી કરી રહ્યું, તેઓ સમજે છે કે માત્ર કરુણ જ નહીં, પરંતુ સમગ્ર ટીમની બેટિંગ ચોક્કસ સમયે ઘટી છે. આ અંગે રાયન ટેન ડોશેટે કહ્યું, 'જો તમે દરેક બેટ્સમેનને અલગથી જુઓ તો બધાએ સારી બેટિંગ કરી છે. એકમાત્ર સમસ્યા એ છે કે વિકેટ એક સાથે પડી.'









