ઈંગ્લેન્ડ સામે પહેલી જ મેચમાં વૈભવને સામેલ કરો નહીંતર...: ટીમ ઈન્ડિયાના મેનેજમેન્ટને ગાવસ્કરની સલાહ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sunil Gavaskar on Vaibhav: આયરલેન્ડ સામેની T20 સિરીઝમાં ભારતીય ટીમને વેઠવી પડેલી 0-2ની કારમી હાર બાદ ટીમ મેનેજમેન્ટની રણનીતિ પર સતત સવાલો ઉઠી રહ્યા છે. બંને મેચમાં ભારતનો ટોપ ઓર્ડર સંપૂર્ણપણે ફ્લોપ રહ્યો હતો, જેને પગલે 15 વર્ષીય યુવા સેન્સેશન વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ-11માં તક ન આપવા બદલ ફેન્સ અને ક્રિકેટ નિષ્ણાતો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. હવે આ વિવાદમાં ભારતના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે પણ ઝંપલાવ્યું છે અને ટીમ ઇન્ડિયાને એક કડક પણ સચોટ સલાહ આપી છે.
સુનીલ ગાવસ્કરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, આગામી ઇંગ્લેન્ડ સામેની પ્રથમ જ T20 મેચમાં વૈભવ સૂર્યવંશીને ડેબ્યૂ કરવાની તક આપવી જોઈએ. તેમનું માનવું છે કે વૈભવ ઇંગ્લેન્ડ માટે સૌથી મોટું 'સરપ્રાઇઝ પેકેજ' સાબિત થઈ શકે છે અને તે મેચનું પાસું પલટાવવાની અદભુત ક્ષમતા ધરાવે છે. ગાવસ્કરે ઉમેર્યું કે, તેઓ છેલ્લા એક મહિનાથી સતત કહી રહ્યા હતા કે આયરલેન્ડ જેવી સિરીઝમાં જ વૈભવને અજમાવી લેવાની જરૂર હતી.
યુવા ખેલાડીઓને અજમાવવાની આ ઉત્તમ તક હતી
સુનીલ ગાવસ્કરે એક ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, “આયરલેન્ડ સામેની બીજી મેચમાં ભારતે સૂર્યાશ શેડગે અને ધ્રુવ જુરેલ જેવા નવા ખેલાડીઓને તક આપી હતી. ધ્રુવે શાનદાર બોલિંગ કરીને 3 વિકેટ ઝડપી, જ્યારે બેટિંગમાં માત્ર 1 બોલ રમવાનો મોકો મળતા જ તેણે સિક્સર ફટકારી દીધી. હું એક મહિનાથી કહી રહ્યો હતો કે વૈભવ સૂર્યવંશી શાનદાર ફોર્મમાં છે, તો તેને કેમ ન રમાડાયો? જો પ્રયોગ જ કરવા હતા, તો એક મેચમાં અભિષેક શર્મા અને બીજી મેચમાં સંજુ સેમસનને આરામ આપીને વૈભવને ઓપનિંગમાં અજમાવી શકાયો હોત.”
તેમણે વધુમાં કહ્યું કે, “એ જરૂરી નથી કે વૈભવ રમ્યો હોત તો ભારત જીતી જ જાત. કદાચ તે 10-15 રન બનાવીને આઉટ પણ થઈ ગયો હોત, પરંતુ જો યુવા ખેલાડીઓનું ટેલેન્ટ પારખવું જ હતું, તો આયરલેન્ડ પ્રવાસ તેના માટે બેસ્ટ પ્લેટફોર્મ હતું.”
શું વૈભવ નંબર-3 પર બેટિંગ કરશે?
સુનીલ ગાવસ્કરના મતે હવે ઇંગ્લેન્ડ જેવી મજબૂત ટીમ સામે મેનેજમેન્ટ પાસે વૈભવને પ્લેઇંગ-11માં સામેલ કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. તેમણે બેટિંગ ઓર્ડર અંગે પણ મહત્વનું સૂચન આપ્યું:
- આઉટ ઓફ ફોર્મ ખેલાડીઓ બહાર: જે સીનિયર બેટ્સમેન સતત રન બનાવવામાં નિષ્ફળ રહ્યા છે, તેમને બહાર બેસાડવાનો સમય આવી ગયો છે.
- નંબર-3 પોઝિશન: ગાવસ્કરે કહ્યું કે નિયમિત ઓપનર્સને તેમના સ્થાને જ રમાડો, પરંતુ વૈભવ સૂર્યવંશીને નંબર-3 પર મોકલીને ઇંગ્લેન્ડના બોલિંગ એટેકને ચોંકાવી શકાય છે.
- 1 જુલાઈએ અગ્નિપરીક્ષા: ઇંગ્લેન્ડ સામે 1 જુલાઈએ રમાનારી પ્રથમ T20 મેચમાં વૈભવને ટીમમાં સામેલ કરવો જ પડશે, કારણ કે છેલ્લા દોઢ વર્ષથી સારું પ્રદર્શન કરનારી ઓપનિંગ જોડીને માત્ર બે ખરાબ મેચના આધારે ટીમની બહાર ન કરી શકાય.
ઇંગ્લેન્ડના ઓવરકોન્ફિડન્સનો ફાયદો ઉઠાવો
લિટલ માસ્ટરે રણનીતિ ઘડતા જણાવ્યું કે, આયરલેન્ડ સામે ભારતની હાર જોઈને ઇંગ્લેન્ડની ટીમ કદાચ ભારતને હળવાશથી લેવાની ભૂલ કરી શકે છે. ભારતીય ટીમે ઇંગ્લેન્ડના આ જ અતિ-આત્મવિશ્વાસનો ફાયદો ઉઠાવવો પડશે.
ગાવસ્કરની માસ્ટરસ્ટ્રોક સલાહ: જો ટીમ મેનેજમેન્ટ અભિષેક શર્મા અને સંજુ સેમસન બંને વિસ્ફોટક બેટ્સમેનોને એકસાથે રમાડવા માંગતું હોય, તો મિડલ ઓર્ડરમાંથી કોઈપણ આઉટ ઓફ ફોર્મ ખેલાડીના સ્થાને વૈભવને પ્લેઇંગ-11 માં સેટ કરો. જો વૈભવ પ્રથમ જ મેચમાં ધમાકેદાર ઇનિંગ્સ રમશે, તો ઇંગ્લેન્ડની આખી ટીમ હચમચી જશે. જેમ આયરલેન્ડે ભારતના ઓવરકોન્ફિડન્સનો લાભ લીધો, તેમ હવે ભારતે વળતો પ્રહાર કરવાનો સમય છે.









