Updated: May 24th, 2023
![]() |
Image:Twitter |
IPL 2023ની એલિમિનેટર આજે ચેન્નઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે લખનઉ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. લખનઉ પોઈન્ટ ટેબલમાં 17 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને અને મુંબઈએ 16 પોઈન્ટ સાથે ચોથા સ્થાને તેમની સીઝન પૂરી કરી છે. IPLમાં લખનઉની ટીમે અત્યાર સુધીમાં ત્રણ વખત મુંબઈનો સામનો કર્યો છે અને ત્રણેય વખત જીત મેળવી છે. આ સ્થિતિમાં એલિમિનેટર મેચમાં પણ લખનઉનો દબદબો જોવા મળી શકે છે. પરંતુ જો મુંબઈ તેના પ્લેઈંગ-11માં અર્જુન તેંડુલકર અને ડેવાલ્ડ બ્રેવિસને તક આપે છે, તો કદાચ તેઓ લખનઉ પર IPLમાં તેમની પ્રથમ જીત મેળવી શકે છે.
ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરને આખરે IPLની આ સિઝનમાં ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો હતો. અર્જુને તેના IPL કરિયરની પ્રથમ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમી હતી. તેણે IPL 2023માં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેની સચોટ બોલિંગ ઘણી અસરકારક સાબિત થઈ છે. અર્જુને અત્યાર સુધી રમાયેલી ચાર મેચોમાં 3 વિકેટ ઝડપી છે. આ દરમિયાન મુંબઈ તેને સતત તક આપી રહી હતી, પરંતુ અચાનક તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. જો મુંબઈ આ યુવા બોલરને તક આપે છે તો તે અસરકારક સાબિત થઈ શકે છે. ચેન્નઈની ધીમી વિકેટ પર આ ખેલાડી ટીમ માટે મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
ડેવાલ્ડ બ્રેવિસ આક્રમક બેટિંગથી અપાવી શકે છે જીત
IPL 2022માં મુંબઈ ઈન્ડિયન્સના બેટિંગ ઓર્ડરમાં દક્ષિણ આફ્રિકાનો યુવા બેટ્સમેન ડેવાલ્ડ બ્રેવિસ એક મહત્વપૂર્ણ કડી હતો. તેણે પોતાની તોફાની બેટિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા. ખાસ કરીને બ્રેવિસના ગગનચુંબી છગ્ગાઓએ દરેકના દિલમાં જગ્યા બનાવી લીધી હતી. તેણે વર્ષ 2022માં જ IPL ડેબ્યૂ કર્યું હતું. બ્રેવિસે છેલ્લી સિઝનમાં 7 મેચ રમી હતી, જેમાં તેણે 142.48ના ધમાકેદાર સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા 161 રન બનાવ્યા હતા. ગત સિઝનના સ્ટાર ડેવાલ્ડ બ્રેવિસને આ સિઝનમાં એક પણ મેચ રમવાની તક મળી નથી. આ સિઝનમાં મુંબઈ સાથે જોડાયા બાદથી તે બેન્ચ પર જોવા મળી રહ્યો છે. પરંતુ બ્રુઈસ મેચ વિનર છે. જો મુંબઈ તેને લખનઉ સામે તક આપે છે તો તે પોતાની આક્રમક બેટિંગથી મુંબઈ માટે મહત્વનું યોગદાન આપી શકે છે.