IND vs NZ: Champions Trophy ની ફાઇનલ મેચમાં કેવી હશે પિચ? ટીમમાં કયા ખેલાડીઓ રમશે? જાણો તમામ માહિતી
ICC Champions Trophy Final IND Vs New Zealand: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચ બપોરે 2.30 વાગ્યે શરૂ થવાની છે. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાનારી આ મેચમાં હવામાન અને પિચ કેવી રીતે અને કઈ ટીમ માટે લાભદાયી રહેશે, તેનો રિપોર્ટ નિષ્ણાતોએ આપ્યો છે.
દુબઈની પિચ બેટર્સ માટે પડકારજનક
દુબઈની પિચ બેટર્સ માટે પડકારજનક છે. તેમના માટે રન બનાવવા મુશ્કેલ છે. પિચ પર અત્યારસુધી કોઈ 300 કે તેથી વધુ સ્કોર બનાવી શક્યુ નથી. બીજી તરફ સ્પિનર્સ માટે આ પિચ ખૂબ જ ફાયદાકારક છે. જેથી બંને ટીમ પાવર પ્લેમાં સ્પિનર્સનો ઉપયોગ કરી સામા પક્ષકાર પર પ્રેશર બનાવી શકે છે. ન્યૂઝીલેન્ડ અને ભારત બંને ટીમ પાસે મજબૂત સ્પિનર્સ છે.
દુબઈનું તાપમાન
દુબઈમાં આજે 32 ડિગ્રીનું મહત્તમ તાપમાન રહેવાનો અંદાજ હવામાન વિભાગે આપ્યો છે. જે ટોસ જીતનારી ટીમ માટે યોગ્ય નિર્ણય લેવા મદદરૂપ બનશે. જે ટીમ ટોસ જીતશે, તે પહેલાં બેટિંગ પસંદ કરી શ્રેષ્ઠ પર્ફોર્મન્સ આપી શકે છે.
ટીમ ઈન્ડિયા
આ ટૂર્નામેન્ટમાં ભારતે સતત જીત મેળવી છે. ગ્રૂપ એમાં ટોપર રહેલી ટીમ ઈન્ડિયાએ સેમિફાઈનલમાં મજબૂત ટીમ ઓસ્ટ્રેલિયાને ચાર વિકેટ હરાવી 2023ના વર્લ્ડકપનો બદલો લીધો છે. વિરાટ કોહલી પણ આ ટૂર્નામેન્ટમાં જુસ્સા સાથે રમી રહ્યો છે. જ્યારે ટીમના ચાર સ્પીનર્સ પણ અદ્ભૂત બોલિંગ કરી ઉમદા પર્ફોમન્સ આપી રહ્યા છે.
ટીમ ન્યૂઝીલેન્ડ
ન્યૂઝીલેન્ડ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ગ્રૂપ એની ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા બાદ બીજા સ્થાને રહી છે. તેણે ત્રણમાંથી બે મેચ જીતી છે. સેમિફાઈનલમાં સાઉથ આફ્રિકાને ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. પાકિસ્તાનમાં રમાયેલી સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડના રચિન રવિન્દ્રાએ 108 રન, કેન વિલિયમ્સને 102 રન ફટકારી ટીમને મજબૂત ટેકો આપ્યો હતો.
સંભવિત ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ XI: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી અને વરુણ ચક્રવર્તી.
સંભવિત ટીમ ન્યૂઝીલેન્ડ પ્લેઈંગ XI: વિલ યંગ, રચિન રવિન્દ્રા, કેન વિલિયમસન, ટોમ લેથમ (વિકેટકીપર), ડેરિલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), કાયલ જેમિસન, વિલિયમ ઓરોર્ક, મેટ હેનરી/નાથન સ્મિથ
બપોરે 2.00 વાગ્યે ટોસ
દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે બપોરે 2.00 વાગ્યે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિશેલ સેન્ટનર વચ્ચે ટોસ ઉછાળવામાં આવશે. ઉલ્લેખનીય છે, ટીમ ઈન્ડિયાએ રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ અત્યારસુધી સળંગ 14 વખત ટોસ હાર્યો છે. આજે ફાઈનલમાં ટોસ કોઈ જીતશે તે જાણવા ચાહકો આતુર છે.