હું હંમેશા તારી સાથે છું...: અક્ષર પટેલને કૅપ્ટન બનાવાતા K L રાહુલે જુઓ શું કહ્યું
Image: Facebook
Delhi Capitals Captain: IPL 2025ની શરુઆત થવામાં હવે થોડો જ સમય બાકી છે. આ પહેલા જ તમામ ટીમોએ પોત-પોતાના કૅપ્ટનના નામોની જાહેરાત કરી દીધી છે. દિલ્હી કેપિટલ્સે સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલને કમાન સોંપી છે. જ્યારે ટીમમાં ફોફ ડુ પ્લેસિસ અને કેએલ રાહુલ જેવા અનુભવી પ્લેયર્સ પણ હાજર હતા. ગત સિઝન અક્ષરે દિલ્હી માટે વાઇસ કૅપ્ટનશિપની જવાબદારી સંભાળી હતી. તેનું પ્રદર્શન પણ શાનદાર રહ્યું છે. હવે તેમના કૅપ્ટન બનતાં જ રાહુલની પ્રતિક્રિયા સામે આવી છે.
કેએલ રાહુલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે 'શુભકામના બાપુ, આગળની સફર માટે શુભકામનાઓ. હું હંમેશા તમારી સાથે છું.' આઇપીએલ 2024માં રાહુલ લખનૌ સુપર જાયન્ટ્સની ટીમનો ભાગ હતો પછી લખનૌની ટીમે રિટેન કર્યો નહોતો. તે બાદ દિલ્હીએ આઇપીએલ 2025 મેગા ઓક્શનમાં તેને ખરીદી લીધો.
અક્ષરને 16 કરોડથી વધુ રૂપિયામાં કર્યો રિટેન
બીજી તરફ અક્ષર પટેલ વર્ષ 2019થી જ દિલ્હી કેપિટલ્સનો ભાગ છે અને દમદાર પ્રદર્શન કરી રહ્યો છે. તે નીચલા ક્રમ પર ઉતરીને જોરદાર બેટિંગ અને શાનદાર બોલિંગ કરવામાં માહિર છે. આ કારણે દિલ્હીની ટીમે તેને 16 કરોડ 50 લાખ રૂપિયામાં રિટેન કર્યો છે. અક્ષરને આઇપીએલમાં કૅપ્ટનશિપનો મર્યાદિત અનુભવ છે પરંતુ તેણે ઘરેલુ ક્રિકેટમાં ગુજરાતની કૅપ્ટનશિપ કરી છે.
આ પણ વાંચો: IPL 2025 | દિલ્હી કેપિટલ્સે નવા કૅપ્ટનની કરી જાહેરાત, ગુજરાતી ખેલાડીને સોંપી કમાન
આઇપીએલમાં રમી ચૂક્યો છે 150 મેચ
દિલ્હી કેપિટલ્સનો કૅપ્ટન બનવા પર અક્ષર પટેલે કહ્યું હતું કે દિલ્હીનો કૅપ્ટન બનવું મારા માટે ખૂબ મોટું સન્માન છે. મેં એક ક્રિકેટર તરીકે ખૂબ પ્રગતિ કરી છે અને મને લાગે છે કે હું ટીમનું નેતૃત્વ કરવા માટે તૈયાર છું. અક્ષરે અત્યાર સુધી આઇપીએલની 150 મેચોમાં કુલ 1653 રન બનાવ્યા. આ સિવાય 123 વિકેટ પણ લીધી.
અત્યાર સુધી ખિતાબ જીતી શકી નથી દિલ્હી કેપિટલ્સની ટીમ
હવે અક્ષર પટેલની ઉપર દિલ્હી કેપિટલ્સને પહેલો ખિતાબ જીતાડવાની જવાબદારી હશે. દિલ્હીની ટીમે અત્યાર સુધી એક વખત પણ આઈપીએલની ટ્રોફી પોતાના નામે કરી નથી. ટીમે આઈપીએલ 2020ની ફાઈનલમાં સ્થાન બનાવ્યું હતું પરંતુ ત્યારે મુંબઈએ તેનો ખિતાબ જીતવાનું સ્વપ્ન તોડી દીધું હતું.