Gautam Gambhir on Making Mistakes: વર્લ્ડ કપ જીત્યા બાદ ગૌતમ ગંભીરે ટીકાકારોની બોલતી બંધ કરી દીધી છે. ગૌતમ ગંભીરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, 'હું માનુ છું કે મારાથી ભૂલ થઈ હશે, પરંતુ હું પણ માણસ છું. મને પણ ભૂલ કરવાનો હક છે, બધાને ભૂલ કરવાનો હક છે. ખેલાડીઓ કરે છે, હું પણ કરું છું. છેલ્લા 18 મહિનામાં મે અનેક ભૂલો કરી છે.' T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ગૌતમ ગંભીર શા માટે આવું બોલ્યો? ચાલો જાણીએ.
ગૌતમ ગંભીરે આવું કેમ કહ્યું?
ગંભીરે કહ્યું કે, 'કોઈ સારા ઈરાદથી ભૂલ કરે છે તો કોઈ વાંધો નથી. પરંતુ જો ખોટા ઈરાદે ભૂલ કરે તો તે સહન ન થાય. હું ડ્રેસિંગ રૂમમાં બધા સાથે ઈમાનદાર હતો અને દરેક ખેલાડી સાથે મે ઈમાનદારીથી વાત કરી છે. હું બધાની સામે આંખોમાં આંખો નાખીને વાત કરું છું. આગામી 18 મહિના જેટલો પણ કાર્યકાળ બાકી છે, હું એજ કરવાનો છું.'
'હું દરેક ખેલાડીની પડખે છું'
ગૌતમ ગંભીરે 2026 T20 વર્લ્ડ કપ પહેલા અને તે દરમિયાન પોતાના ખેલાડીઓને મજબૂત ટેકો આપ્યો હતો. ટુર્નામેન્ટ પહેલા સૂર્યકુમાર યાદવ ફોર્મમાં ન હતો અને અભિષેક શર્મા વર્લ્ડ કપ દરમિયાન ખરાબ ફોર્મમાં હતો. તેમ છતાં ગંભીરનો તેમના પરનો વિશ્વાસ ક્યારેય ડગ્યો ન હતો.
ગંભીરે કહ્યું, 'તમે ફક્ત 3 કે 4 મેચ પછી તમારા ખેલાડીઓ પરનો વિશ્વાસ ગુમાવતા નથી. લોકો 'આઉટ ઓફ ફોર્મ' અને 'આઉટ ઓફ રન' વચ્ચેનો તફાવત સમજી શકતા નથી. ઉદાહરણ તરીકે અભિષેક શર્મા ક્યારેય ખરેખર આઉટ ઓફ ફોર્મ નહોતો.' ગંભીરે સંજુ સેમસન પર પણ વિશ્વાસ મૂક્યો અને તેને ઈશાન કિશનને બદલે અભિષેક સાથે ઓપનિંગ કરાવી અને સેમસનને T20 વર્લ્ડ કપમાં 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ' જાહેર કર્યો.
ગંભીરનો આગામી ટાર્ગેટ
ગંભીરે તેમના આગામી ટાર્ગેટ વિશે પણ ખુલાસો કર્યો હતો. T20 ટુર્નામેન્ટમાં તો જીતી મેળવી છે, પરંતુ ગંભીરનો ટાર્ગેટ હવે ઓલિમ્પિકમાં પણ પોતાની છાપ છોડવાનો છે. તેમણે કહ્યું કે, 'હું ઓલિમ્પિકનો ભાગ બનવા માંગુ છું. ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે ગર્વની વાત હશે.' નોંધનીય છે કે, લૉસ એન્જેલિસ ઓલિમ્પિક 2028માં યોજાવાનું છે અને ટીમ ઈન્ડિયા ગોલ્ડ મેડલ માટે મજબૂત દાવેદાર હોવાની અપેક્ષા છે.


