'હાર્દિક પોતે જ કેપ્ટન્સી છોડી દે', મુંબઈ ઈન્ડિયન્સનું સુકાન આ ખેલાડીને સોંપવા પૂર્વ સિલેક્ટરની સલાહ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mumbai Indians: IPLમાં એક સમયે સૌથી ખતરનાક ગણાતી મુંબઈ ઈન્ડિયન્સની ધાક છેલ્લા બે સિઝનથી ઓછી થતી દેખાઈ રહી છે. રોહિત શર્માને હટાવીને મુંબઈ મેનેજમેન્ટે બે સિઝનક પહેલા હાર્દિક પંડ્યાને ટીમની કમાન સોંપી હતી. આ નિર્ણય હાર્દિક અને મેનેજમેન્ટ બંને માટે પડકારજનક સાબિત થયો અને નારાજ ચાહકોએ હાર્દિકને ભારે ટ્રોલ પણ કર્યો. જો કે ગત સિઝનમાં હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીપમાં ટીમ પ્લેઓફમાં ક્વોલિફાય કરવામાં સફળ રહી હતી, પરંતુ ક્વોલિફાયર-2માં ટીમની સફર પૂરી થઈ ગઈ હતી. આમ છતાં હવે પૂર્વ સિલેક્ટરે મુંબઈ ઈન્ડિયન્સને કેપ્ટન્સી બદલવાની સલાહ આપી દીધી છે.
કોણે આપી આ સલાહ?
પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતા પૂર્વ સિલેક્ટર એસ. શ્રીકાંતે કહ્યું કે, 'તેમણે ફરીથી સાથે મળીને યોજના બનાવવી પડશે. ફ્રેન્ચાઈઝીના માલિકો અને ટીમ મેનેજમેન્ટે રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા સાથે મળીને સ્થિતિ સુધારવી પડશે. તેમણે સૂર્યાને આ વર્ષે ટીમની કેપ્ટન્સી કરવા માટે કહેવું જોઈએ, જેથી જોઈ શકાય કે શું નસીબ બદલાય છે. તેઓ સૂર્યાને ગમે ત્યારે કેપ્ટન બનાવી શકે છે, તેની અત્યારે જાહેરાત કરવાની જરૂર નથી.'
મુંબઈની ટીમમાં બે T20 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન
વધુમાં હાર્દિક પંડયા અંગે કહ્યું કે, 'ટીમમાં અત્યારે એક જોરદાર સ્થિતિ છે. હાર્દિક પંડ્યા એક સારો કેપ્ટન છે, પરંતુ હવે તેના નેતૃત્વમાં બે એવા કેપ્ટન રમી રહ્યા છે જેમણે ભારતને T20 વર્લ્ડ કપ જીતાડ્યો છે. આ તેમના સેટઅપની કોઈ આંતરિક નીતિ હોઈ શકે છે, જેને તેમણે ઉકેલવી પડશે. બહારથી જોતા તો સૂર્યકુમાર યાદવ જ સૌથી યોગ્ય વિકલ્પ લાગે છે, પરંતુ આ ફ્રેન્ચાઈઝીની કોઈ પોતાની નીતિ પણ હોઈ શકે છે.'
આ પણ વાંચો: શુભમન ગિલનું બ્રહ્માસ્ત્ર તૈયાર! IPL 2026 માટે સ્ટાર ખેલાડી ગુજરાત ટાઈટન્સ સાથે જોડાયો
રોહિત-સૂર્યાના નેજા હેઠળ રમ્યો છે હાર્દિક
હાર્દિકની કેપ્ટન્સી અંગે શ્રીકાંતે જણાવ્યું કે, 'આ એક અજીબ પરિસ્થિતિ છે, કારણ કે હાર્દિકે રોહિત અને સૂર્યાની કેપ્ટન્સીમાં રમીને ભારતને વર્લ્ડ કપ જીતાડવામાં મદદ કરી હતી. તેથી હાર્દિકે પોતે જ કેપ્ટન્સી માટે ના પાડી દેવી જોઈએ અને સૂર્યાને ટીમની કમાન સંભાળવા દેવી જોઈએ. જો હાર્દિક પોતે મેનેજમેન્ટને આ વાત કહેશે તો બાબતો થાળે પડી જશે. તેણે કહેવું જોઈએ કે, 'સૂર્યાને ટીમની કમાન સંભાળવા દો અને હું તેને સાથ આપીશ. આ ગુંચવણ ઉકેલવાનો આ એક શ્રેષ્ઠ રસ્તો છે.'




