ઑસ્ટ્રેલિયાથી પરત આવતા જ ભારતીય બેટરે વડોદરામાં ફટકારી સદી, ચેમ્પિયન્સ ટ્રોફીમાં થશે એન્ટ્રી?
Devdutt Padikkal : ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝ પૂરી થયા પછી રોહિત શર્માની આગેવાની હેઠળની ટેસ્ટ ટીમના બધા ખેલાડીઓ હવે ભારત પરત ફરી ચૂક્યા છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર પર્થ ટેસ્ટમાં રમનાર દેવદત્ત પડિક્કલ હવે વનડે ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. હાલમાં ચાલી રહેલી વિજય હજારે ટ્રોફીની નોકઆઉટ મેચમાં કર્ણાટક માટે ઓપનિંગ કરતી વખતે પડિક્કલે 102 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સાથે જ તેણે ભારતીય ટીમમાં પસંદગી માટે મજબૂત દાવો રજૂ કરી દીધો છે.
પડિક્કલે 99 બોલમાં 102 રનની શાનદાર ઇનિંગ રમી
વિજય હજારે ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલ મેચ કર્ણાટક અને બરોડા વચ્ચે વડોદરા ખાતે રમાઈ હતી. જેમાં મયંક અગ્રવાલ કર્ણાટક તરફથી ઓપનિંગ કરવા આવ્યો હતો. પરંતુ તે માત્ર છ રન બનાવીને આઉટ થઈ ગયો હતો. તો બીજી તરફ દેવદત્ત પડિક્કલે 99 બોલમાં 15 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 102 રનની શાનદાર સદીની ઇનિંગ રમી હતી. આ સાથે જ તેણે લિસ્ટ-એ મેચની કારકિર્દીમાં સાતમી સદી ફટકારી હતી. પડિક્કલની આ શાનદાર ઇનિંગની મદદથી કર્ણાટકે પહેલા બેટિંગ કરતા આઠ વિકેટ ગુમાવીને 281 રન બનાવ્યા હતા. પડિક્કલ ઉપરાંત અનીશે પણ 52 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો: KL રાહુલ મુદ્દે BCCIનું મન બદલાયું, ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા સિલેક્ટર્સે ઠુકરાવી માગ
શું દેવદત્ત પડિક્કલને ભારતીય ટીમમાં સ્થાન મળશે?
આવતા મહિને ફેબ્રુઆરીમાં યોજાનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય ટીમની પસંદગી ટૂંક સમયમાં કરવામાં આવશે. જેમાં સ્થાન મેળવવા માટે દેવદત્ત પડિક્કલ પણ રેસમાં છે. પડિક્કલે અત્યાર સુધીમાં ૩૦ લિસ્ટ-એ મેચોમાં 81.52ની સરેરાશથી 1875 રન બનાવ્યા છે. હવે જોવાનું એ રહે છે કે અજિત અગરકરના નેતૃત્ત્વ હેઠળની પસંદગીકારોની ટીમ પડિક્ક્લને વનડે ટીમમાં તક આપે છે કે નહીં. પડિક્કલ ઓપનરથી લઈને મિડલ ઓર્ડર સુધી ભારતીય ટીમ માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. તેણે ભારત માટે બે ટેસ્ટ મેચમાં 90 રન અને બે T20I મેચમાં 38 રન બનાવ્યા છે.