ખરાબ ફોર્મને લીધે ટીમમાંથી બહાર થયો, કેપ્ટનશીપ ગઈ તો પણ ન માની હાર
શાનદાર પ્રદર્શન બદલ બન્યો પ્લેયર ઓફ ધ મેચ
Updated: Jan 8th, 2023
IMAGE: Twitter |
સૂર્યકુમાર યાદવ ભારતીય ક્રિકટ જગતનો ઉભરતો ખિલાડી છે. તેણે ગત એક વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક પછી એક સારી પરફોર્મન્સ આપી ક્રિકેટ ફેન્સના દિલ જીતી લીધા છે. વર્ષ 2022 પછી 2023માં પણ સૂર્યાએ પોતાની ફોર્મ જાણવી રાખી છે. શ્રીલંકા સામે શનિવારે રમાયેલી ત્રીજી T20 મેચમાં સુર્યકુમારે 51 બોલમાં નાબાદ 112 રનોની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગ દરમિયાન સુર્યકુમારે તાબડતોડ 7 ચોક્કા અને 9 છગ્ગા લગાવ્યા હતા. આ મેચમાં તેનો સ્ટ્રાઈક રેટ 220 સુધી પહોંચી ગયું હતું. ભારતીય ટીમે પહેલી ઇનિંગમાં શ્રીલંકા સામે 5 વિકેટે 228 રનોનો વિશાળકાય સ્કોર મુક્યો હતો. જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 137 રન કરી ઘર ભેગી થઇ ગઈ અને ભારતીય ટીમે મેચની સાથે શ્રેણી જીતી હતી. આ મેચ ભારતે 97 રનથી જીતી અને સીરીઝ 2-1થી પોતાના નામે કરી હતી. આ અગાઉ બીજી T20માં ખરાબ પ્રદર્શન બાદ પોતાની ફોર્મ પાછી મેળવતા અર્શદીપ સિંઘે ૩ વિકેટ ઝડપી હતી.સુર્યકુમાર યાદવને તેના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં હતો.
32 વર્ષીય સુર્યકુમારને પણ ખરાબ સમયથી પસાર થવું પડ્યું હતું. રણજી ટ્રોફી દરમિયાન તેને મુંબઈ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જોકે વર્ષ 2014-15માં ખરાબ ફોર્મના કારણે તેની પાસેથી કેપ્ટનશીપ પાછી લઇ લેવામાં આવી હતી. વર્ષ 2018-19ની રણજીની સીઝન પહેલા તેણે ટીમથી પણ બહાર કરી દેવામાં આવ્યો હતો. આ બાદ સુર્યકુમારે સારા પ્રદર્શનથી ટીમમાં વાપસી કરી અને કેપ્ટનશીપ પણ મેળવી જે બાદ IPLઅને હવે ભારતીય ટીમમાં સારા પ્રદર્શનના લીધે તે T20 ફોરમેટનો નંબર 1 પ્લેયર બની ગયો છે.
શ્રીલંકા સામે ટી20માં સારા પ્રદર્શન બાદ હવે સુર્યકુમાર યાદવ વનડેમાં પોતાનું ફોર્મ જાળવી રાખવા પ્રયત્ન કરશે. આગામી 3 મેચોની વનડે સીરીઝ 10મી જાન્યુઆરીથી શરુ થવાની છે. ટી20ના મુકાબલે સુર્યકુમારનો વનડેમાં રેકોર્ડ એટલો સારો નથી. તેણે અત્યાર સુધી 16 મેચોની 15 ઇનિંગ્સમાં 32ની સરેરાશથી 384 રન બનાવ્યા છે. જેમાં 2 અર્ધશતક શામિલ છે અને 64 તેનું બેસ્ટ સ્કોર છે.