Get The App

ફિટનેસ પર વિવાદ બાદ પૃથ્વી શૉનો મોટો નિર્ણય, મુંબઈની ટીમને કહ્યું બાય બાય, MCAને લખ્યો પત્ર

Updated: Jun 23rd, 2025

GS TEAM

Google News
Google News
ફિટનેસ પર વિવાદ બાદ પૃથ્વી શૉનો મોટો નિર્ણય, મુંબઈની ટીમને કહ્યું બાય બાય, MCAને લખ્યો પત્ર 1 - image


Image Source: Twitter

Prithvi Shaw Wants To Move Out Of Mumbai: ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન પૃથ્વી શૉ લાંબા સમયથી ટીમમાંથી બહાર ચાલી રહ્યો છે. પૃથ્વી શૉ ભારતીય ટીમ માટે પોતાની છેલ્લી મેચ 25 જુલાઈ 2021ના રોજ રમ્યો હતો. 25 વર્ષીય પૃથ્વી શૉનું ફોર્મ ઘરેલૂ ક્રિકેટમાં પણ સારું નથી રહ્યું. આ સાથે જ તેની ફિટનેસ પર પણ સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે હવે પૃથ્વી શૉ ઘરેલૂ ક્રિકેટમાં મુંબઈવી ટીમને બાય-બાય કહેવા માગે છે. તેના માટે પૃથ્વીએ આગામી ઘરેલૂ સિઝન પહેલા મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA)ને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) જારી કરવા વિનંતી કરી છે. પૃથ્વીને બીજા કોઈ સ્ટેટ એસોસિએશન તરફથી ક્રિકેટ રમવા માટે ઓફર મળી છે. 

પૃથ્વીએ MCAને લખ્યો પત્ર 

પૃથ્વી શૉએ MCAને લખેલા પોતાના પત્રમાં કહ્યું કે, 'મારા કરિયરના આ તબક્કે મને બીજા સ્ટેટ એસોસિએશન તરફથી વ્યાવસાયિક ક્રિકેટ રમવાની સારી તક મળી છે. મને વિશ્વાસ છે કે તેનાથી હું એક ક્રિકેટર તરીકે વધુ વિકસિત અને પ્રગતિ કરીશ. તેને ધ્યાનમાં રાખીને હું તમને વિનંતી કરું છું કે મને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) જારી કરવામાં આવે, જેથી હું આગામી ઘરેલૂ સિઝનમાં સત્તાવાર રીતે નવા સ્ટેટ એસોસિએશનનું પ્રતિનિધિત્વ કરી શકું.' 

પૃથ્વી શૉને ગત વર્ષે ખરાબ ફિટનેસને કારણે રણજી ટ્રોફી મેચ માટે મુંબઈની ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ ટીમ મેનેજમેન્ટે મુંબઈ ક્રિકેટ એસોસિએશનને જાણ કરી કે પૃથ્વી શોનું વજન ખૂબ વધારે છે અને તેના શરીરમાં 35 ટકા ચરબી છે. ત્યારબાદ તેને ફિટનેસ પાછી મેળવવા માટે સખત ટ્રેનિંગ લેવાની સલાહ આપવામાં આવી હતી. જોકે, તેની ફિટનેસમાં કોઈ સુધારો નહોતો થયો, જેના કારણે મુંબઈની ટીમના સિલેક્ટરોએ તેને વિજય હજારે ટ્રોફી 2024માંથી પણ બહાર રાખવાનો નિર્ણય લીધો હતો.

આ પણ વાંચો: ભગવાને જેટલું આપ્યું તેનાથી ખુશ છું...: નિવૃત્તિ અંગે રોહિત શર્મા થયો ભાવુક

પૃથ્વી શૉનું ઈન્ટરનેશનલ કરિયર

પૃથ્વી શોએ ભારત માટે 5 ટેસ્ટ, 6 વન-ડે અને 1 T20 મેચ રમી છે. ટેસ્ટ મેચમાં તેણે 42.37ની એવરેજથી 339 રન બનાવ્યા છે, જેમાં 1 સદી અને 2 અડધી સદી સામેલ છે. બીજી તરફ વન-ડે ઈન્ટરનેશનલમાં પૃથ્વીના નામે 31.50ની એવરેજથી 189 રન નોંધાયેલા છે. પૃથ્વી તેની એકમાત્ર T20I મેચમાં ખાતું ખોલી શક્યો ન હતો. પૃથ્વીએ ભારતમાં પોતાની છેલ્લી લિસ્ટ-A મેચ 2022ની વિજય હજારે ટ્રોફીમાં રમી હતી. તેણે છેલ્લા ઘરેલૂ સિઝનમાં ઈંગ્લિશ કાઉન્ટી ટીમ નોર્થમ્પ્ટનશાયર માટે વન-ડે કપ મેચ રમી હતી, જ્યાં તેણે પાંચ ઈનિંગ્સમાં 97, 72, 9, 23 અને 17 રન બનાવ્યા હતા.

Tags :