Get The App

બેંગ્લુરુ નાસભાગ મામલે કર્ણાટક સરકારે BCCI-RCBના માથે ઠીકરું ફોડ્યું, કોર્ટમાં કરી આવી દલીલ

Updated: Jun 11th, 2025

GS TEAM


Google News
Google News
બેંગ્લુરુ નાસભાગ મામલે કર્ણાટક સરકારે BCCI-RCBના માથે ઠીકરું ફોડ્યું, કોર્ટમાં કરી આવી દલીલ 1 - image


Bengaluru Stampede Case: બેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCBની જીતના જશ્ન દરમિયાન મચેલી નાસભાગ મામલે હવે કર્ણાટક સરકારે મોટું નિવેદન આપ્યું છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારે આ દુર્ઘટનાનું ઠીકરું ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB)ના માથે ફોડ્યું છે. 

કર્ણાટક સરકારે બુધવારે બેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી નાસભાગ માટે BCCI અને RCBને સીધી રીતે જવાબદાર ઠેરવી છે. આ દુર્ઘટનામાં 11 લોકોના મોત થયા હતા. સરકારે હાઈકોર્ટમાં જણાવ્યું કે, આ ઈવેન્ટ માટે કોઈ મંજૂરી નહોતી લેવામાં આવી અને આયોજકોએ સોશિયલ મીડિયા દ્વારા 'આખી દુનિયાને બોલાવી લીધી હતી'.

આ વાત એ સમયે સામે આવી છે જ્યારે કોર્ટમાં 4 લોકોની અરજી પર સુનાવણી થઈ, જેમાં RCBના માર્કેટિંગ હેડ નિખિસ સોસાલે પણ સામેલ છે. આ લોકોએ પોતાની ધરપકડને પડકારી છે. આ કેસની સુનાવણી હાઈકોર્ટના જજ એસ.આર. કૃષ્ણ કુમારની સિંગલ બેન્ચ કરી રહી છે.

રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા એડવોકેટ જનરલ શશિ કિરણ શેટ્ટીએ કોર્ટમાં કહ્યું કે, 'RCBએ 29 મેના રોજ પંજાબ સામેની મેચ જીતી હતી અને તેઓ જાણતા હતા કે, અમે ફાઈનલમાં પહોંચી ગયા છે. તેમ છતાં તેમણે ન તો વિક્ટ્રી પરેડની પરવાનગી લીધી હતી કે ન તો સ્ટેડિયમમાં ઉજવણી કરવાની પરવાનગી માગી હતી.'

શેટ્ટીએ આગળ કહ્યું કે, '3 જૂનના રોજ મેચ શરૂ થવાના એક કલાક પહેલા આયોજકોએ વહીવટીતંત્રને એક પત્ર આપ્યો, જેમાં લખ્યું હતું કે, અમે વિક્ટ્રી પરેડનું આયોજન કરીશું. એટલે કે, તેઓ મંજૂરી નહોતા માગી રહ્યા, તેઓ માત્ર તેમની યોજનાની માહિતી આપી રહ્યા હતા.'

ત્યારબાદ RCBએ 3 જૂનની રાત્રે 11:30 વાગ્યાથી 4 જૂનની સવાર સુધી સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટ કરી, જેમાં ચાહકોને વિક્ટ્રી પરેડ અને સેલિબ્રેશનમાં સામેલ થવા માટે બોલાવવામાં આવ્યા હતા. 

આ પણ વાંચો: શું એક અફવાને કારણે બેંગ્લુરુમાં થઈ નાસભાગ? જાણો 11 લોકોના મોતના મુખ્ય ચાર કારણ

સ્ટેડિયમની બહાર 4 લાખ લોકો પહોંચ્યા હતા

એડવોકેટ જનરલે કોર્ટમાં કહ્યું કે, 'એવું લાગતું હતું કે જાણે તેમણે આખી દુનિયાને બોલાવી હોય. સ્ટેડિયમની બહાર લગભગ 3.5 થી 4 લાખ લોકો પહોંચ્યા હતા, જ્યારે સ્ટેડિયમની ક્ષમતા માત્ર 33,000 લોકોની હતી. આયોજકોએ ક્યારેય એ ન જણાવ્યું કે, કોને અંદર જવા દેવામાં આવશે. તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં માત્ર એટલું જ લખ્યું હતું કે, બધા ચાહકો આવો અને ટીમ માટે ચીયર કરો.'

ભીડને સંભાળવાની જવાબદારી કોની હતી?

સરકારે કોર્ટને જણાવ્યું કે, 'RCB અને BCCI વચ્ચે ગેટ મેનેજમેન્ટ, ટિકિટિંગ અને સુરક્ષા અંગે એક કરાર થયો હતો, જે પ્રમાણે ભીડને સંભાળવાની સંપૂર્ણ જવાબદારી ફ્રેન્ચાઈઝી અને ક્રિકેટ બોર્ડની હતી. અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે DNA એન્ટરટેઈનમેન્ટ કંપની અને KSCA સાથે આ ઈવેન્ટ માટે ત્રિ-પક્ષીય કરાર થયો હતો, પરંતુ કોર્ટમાં તેને ખોટો ગણાવવામાં આવ્યો અને તેમાં સુધારો કરવામાં આવ્યો.'

એડવોકેટ જનરલે કહ્યું કે, 'RCBએ સત્ય છુપાવવાનો પ્રયાસ કર્યો અને ઈવેન્ટને સરકારી કાર્યક્રમની જેમ રજૂ કર્યો, જોકે, આ સંપૂર્ણપણે પ્રાઈવેટ આયોજન હતું. RCBએ સોશિયલ મીડિયા પર ફ્રી પાસની વાત કહી હતી, પરંતુ કોને અંદર જવા દેવામાં આવશે અને કોને નહીં તે સ્પષ્ટ નહોતું કર્યું. RCB ખોટી માહિતી સાથે કોર્ટમાં આવી છે અને તેને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે.'

CID કરશે બેંગલુરુ નાસભાગ કેસની તપાસ

સરકારે એ પણ જણાવ્યું કે, આ કેસની તપાસ હવે ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID)ને સોંપવામાં આવી છે. તપાસના ટ્રાન્સફરનો સમય મહત્વપૂર્ણ નથી કારણ કે હાઈકોર્ટને સમયસર આ અંગે જાણ કરવામાં આવી હતી. નાસભાગની ઘટના બાદ ઘણા પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને તાત્કાલિક નવી નિમણૂકો કરવામાં આવી હતી, જેમાં નવા પોલીસ કમિશનર પણ સામેલ છે. કોર્ટ હવે તેમની નિમણૂક સંબંધિત ફાઈલોની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: IPLમાં ચેમ્પિયન બન્યા બાદ શું RCB વેચાઈ જશે? ફ્રેન્ચાઇઝીના માલિકોએ જુઓ શું જવાબ આપ્યો

RCBનો માર્કેટિંગ હેડ ભાગવાની ફિરાકમાં હતો

સરકારે એ પણ આરોપ લગાવ્યો કે, 'RCBનો માર્કેટિંગ હેડ નિખિલ સોસાલે ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેમણે જણાવ્યું કે, રાત્રે 10:56 વાગ્યે ફ્લાઈટ ટિકિટ બુક કરવામાં આવી હતી અને બીજા દિવસે સવારે ફ્લાઈટ લેવાનો હતો. તેમાં કોઈ શંકા નથી.'

સુનાવણી દરમિયાન RCBના વકીલે દલીલ કરી હતી કે, 'માત્ર એટલા માટે કર્મચારીઓને દોષિત ન ઠેરવી શકાય, કારણ કે કંપની આરોપી છે. ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ, કર્મચારીઓને સીધા જવાબદાર ન ઠેરવી શકાય, જ્યાં સુધી તેમની સીધી ભૂલ ન હોય.' 

જજ એસ.આર. કૃષ્ણ કુમારે એડવોકેટ જનરલને ખાતરી આપી કે, 'કોર્ટ કોઈપણ એક નિવેદન પર વિશ્વાસ નહીં કરશે. કોઈપણ વ્યક્તિને ખોટી રીતે કોટ કરી શકાય છે, હું માત્ર એક નિવેદનના આધારે જામીન નહીં આપીશ.'

Tags :