Get The App

શું એક અફવાને કારણે બેંગ્લુરુમાં થઈ નાસભાગ? જાણો 11 લોકોના મોતના મુખ્ય ચાર કારણ

Updated: Jun 5th, 2025

GS TEAM


Google News
Google News
Chinnaswamy Stadium Stampede


Chinnaswamy Stadium Stampede: 18 વર્ષમાં પહેલી વાર RCB એ IPL ટ્રોફી જીતી તેની ઉજવણી કરવા માટે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં જવા માટે લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ભીડ ખૂબ જ મોટી હતી અને તેમનો ઉત્સાહ તેનાથી પણ વધુ હતો. ન તો ભીડ કાબુમાં હતી, ન તો તેમનો જુસ્સો અને ગાંડપણ. ત્યાં હાજર લોકોનું કહેવું છે કે સ્ટેડિયમના ગેટ નંબર 7 પર અફવા ફેલાઈ હતી કે ત્યાં ફ્રી પાસ આપવામાં આવી રહ્યા છે. જેના કારણે એટલી અરાજકતા ફેલાઈ ગઈ કે 11 લોકો કચડાઈને મૃત્યુ પામ્યા અને ઘણા લોકો ઘાયલ થયા તેમા પણ અનેકની હાલત ગંભીર છે. 

અફવાના કારણે સર્જાઈ અવ્યવસ્થા 

ત્યાં હાજર લોકોના મતે, આ અફવાને કારણે ગણતરીની મિનિટોમાં, મુખ્ય ગેટ પર એટલી ભીડ એકઠી થઈ ગઈ કે જેના કારણે અવ્યવસ્થા સર્જાઈ. RCBની IPLમાં પ્રથમ જીતની ઉજવણી કરવા માટે હજારોની સંખ્યામાં ચાહકો ત્યાં પહોંચી ગયા હતા. પરંતુ લોકો ફ્રી પાસ માટે પાગલોની જેમ એકબીજા પર તૂટી પડ્યા, અને ત્યાંની વ્યવસ્થા અવ્યવસ્થામાં બદલાઈ ગઈ.

ફ્રી પાસની લાલચમાં ભીડ ઉમટી... 

તેમજ દર્શકોએ RCB વેબસાઇટ પરથી પાસ લેવાના હતા. પરંતુ તે ક્રેશ થઈ ગઈ હતી. તેમજ લોકો પાસ વગર પણ સ્ટેડિયમ પહોંચી ગયા હતા એવામાં આ ફ્રી પાસની અફવાના કારણે નાસભાગ થઈ. 

ભીડ એટલી વધુ હતી કે પાસ ધરાવતા લોકોને પણ પ્રવેશ મળ્યો નહી 

ભીડને કારણે ગટરનો સ્લેબ તૂટી પડ્યો. ભીડે સ્ટેડિયમમાં પ્રવેશવા માટે ગેટ નંબર 12, 13 અને 10 તોડવાનો પ્રયાસ કર્યો. આ સાથે જ બપોરે અચાનક ભીડ વધી ગઈ. જેના કારણે સ્ટેડિયમના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા. આથી જેમની પાસે પાસ હતા તેઓ પણ સ્ટેડિયમમાં પ્રવેશી શક્યા ન હતા. 

પોલીસે ભીડ પર લાઠીચાર્જ કર્યો 

મીડિયા રિપોર્ટ્સ મુજબ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ભીડ કાબુ બહાર હતી, અમે બળ તૈનાત કર્યું હતું પરંતુ આ વ્યવસ્થા અપૂરતી હતી. 1 કિલોમીટરની ત્રિજ્યામાં 50,000 લોકો એકઠા થયા હતા. ઘણા લોકોએ ગેટ તોડવાનો પ્રયાસ કર્યો. આથી પોલીસે લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. તેમજ સ્ટેડિયમના દરવાજા સાંકડા હતા આથી ભીડના દબાણને કારણે અકસ્માત થયો.

પ્રવેશ માટે ક્યા દરવાજાનો ઉપયોગ કરવો તે અંગે જાણકારી આપવાની જરૂર હતી 

સ્ટેડિયમની સામે બેરિકેડિંગ કરીને ભીડને રોકવામાં આવી ન હતી. વિધાન સૌધામાં સ્વાગત કાર્યક્રમ ચાલુ થાય તે પહેલાં જ ભીડ સ્ટેડિયમની બહાર એકઠી થવા લાગી હતી. આવી સ્થિતિમાં, ભીડને કાબુમાં લેવાની જરૂર હતી. આ સાથે, પોલીસે જનતાને અગાઉથી જાણ કરવી જોઈતી હતી કે પ્રવેશ માટે કયા દરવાજાનો ઉપયોગ કરવો જોઈએ અને કયા નહીં.

આ પણ વાંચો: 'પહેલા ધોરણથી ફક્ત મરાઠી-અંગ્રેજી જ ભણાવો...', રાજ ઠાકરેએ 'હિન્દી' નો ખુલ્લેઆમ વિરોધ કર્યો

ઉપ મુખ્યમંત્રીએ ન્યાયિક તપાસનો આદેશ આપ્યો

કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે કહ્યું કે, 'ભીડે દરવાજા તોડી નાખ્યા, જેના કારણે ચિન્નાસ્વામી સ્ટેડિયમ નજીક ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ. મને લાગે છે કે મોટા પાયે ભાગદોડ થઈ હતી. મેં પોલીસ કમિશનર અને અધિકારીઓ સાથે વાત કરી છે. અમે આ અકસ્માત પર નજર રાખી રહ્યા છીએ અને દરેકને શાંત રહેવાની અપીલ કરીએ છીએ.'

મુખ્યમંત્રીએ વળતર જાહેર કર્યું 

મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું, 'ચિન્નાસ્વામી સ્ટેડિયમ નજીક નાસભાગમાં 11 લોકો મૃત્યુ પામ્યા જ્યારે 33 લોકો ઘાયલ થયા છે. સ્ટેડિયમની ફક્ત 35,000 દર્શકોની કેપેસીટી છે એવામાં ત્યાં 2-3 લાખથી વધુ લોકો એકઠા થયા હતા. આ મામલાની ન્યાયિક તપાસ કરવામાં આવશે, તેમજ મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે.' 

શું એક અફવાને કારણે બેંગ્લુરુમાં થઈ નાસભાગ? જાણો 11 લોકોના મોતના મુખ્ય ચાર કારણ 2 - image

Tags :