IANS |
T20 World Cup and Ind vs pak Controversy : ટી20 વર્લ્ડ કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચેના હાઈ-વોલ્ટેજ મુકાબલા પર સંકટના વાદળો ઘેરાયા છે. પાકિસ્તાન દ્વારા ભારતના બહિષ્કારના સમાચારો વચ્ચે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આ મામલે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.
વડોદરામાં BCCI સચિવની સ્પષ્ટતા
વડોદરામાં મીડિયા સાથે વાતચીત દરમિયાન BCCI સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન દ્વારા ગ્રુપ સ્ટેજની મેચના બહિષ્કારને લઈને અત્યાર સુધી ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) તરફથી કોઈ સત્તાવાર માહિતી મળી નથી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે કોણ રમશે અને કોણ નહીં, તે ICC અને સંબંધિત દેશ (પાકિસ્તાન) નક્કી કરશે. જ્યાં સુધી ICC સૂચના નહીં આપે, ત્યાં સુધી બોર્ડ આ મામલે કંઈ કહી શકે નહીં.
તૈયારીઓ પૂરજોશમાં
સૈકિયાએ વધુમાં જણાવ્યું કે ટૂર્નામેન્ટના ભારત સ્થિત પાંચ વેન્યુ- કોલકાતા, મુંબઈ, દિલ્હી, અમદાવાદ અને ચેન્નાઈમાં મેચોના આયોજન માટે બોર્ડ સંપૂર્ણપણે તૈયાર છે. ટૂર્નામેન્ટનો ઉદ્ઘાટન સમારોહ અને ભારત-અમેરિકા વચ્ચેની પ્રથમ મેચ નિર્ધારિત સમયપત્રક મુજબ 7 ફેબ્રુઆરીએ મુંબઈમાં જ યોજાશે. હાલમાં તમામ મુકાબલાઓ નક્કી કરેલા શિડ્યુલ મુજબ જ રમાશે.
શું છે વિવાદનું કારણ?
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે તેમની ટીમ ભારત સામે મેચ રમશે નહીં. જેના પર ICC એ કડક વલણ અપનાવ્યું છે અને કહ્યું છે કે ટૂર્નામેન્ટનું સફળ આયોજન કરવું એ તમામ સભ્ય બોર્ડની સમાન જવાબદારી છે. કોલંબોમાં યોજાનારી ભારત સામેની મેચમાં પાકિસ્તાનની ભાગીદારીનો અંતિમ નિર્ણય હવે ICC અને PCB પર નિર્ભર રહેશે.


