શુભમન ગિલ નહીં પણ આ દિગ્ગજને ODI કેપ્ટન બનાવવાના મૂડમાં BCCI? રોહિતના નિર્ણયની રાહ જોવાઈ રહી છે
India New ODI Captain: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) શુભમન ગિલને ટેસ્ટ કેપ્ટન બનાવ્યા પછી એવા અહેવાલો વહેતા થયા છે કે, તેને ભારતના ત્રણેય ફોર્મેટની કેપ્ટનશીપ સોંપવામાં આવી શકે છે. જ્યારે શુભમન ગિલને આગામી એશિયા કપ 2025ની ટીમમાં ઉપ-કેપ્ટન તરીકે પ્રવેશ મળ્યો, ત્યારે નિષ્ણાતોનું માનવા લાગ્યા કે મુખ્ય પસંદગીકાર અજિત અગરકર અને કોચ ગૌતમ ગંભીર પણ આવું જ વિચારી રહ્યા છે. પરંતુ એક અહેવાલ અનુસાર, બીસીસીઆઈ શુભમન ગિલને નહીં પરંતુ શ્રેયસ ઐયરને આગામી વનડે કેપ્ટન તરીકે જોઈ રહ્યું છે.
અહેવાલો અનુસાર, શ્રેયસ ઐયરનું પ્રદર્શન છેલ્લા કેટલાક સમયથી 50 ઓવરના ફોર્મેટમાં શાનદાર રહ્યું છે. આ વર્ષની શરૂઆતમાં યોજાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીતમાં તેણે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તે IPLમાં પંજાબ કિંગ્સનો કેપ્ટન છે અને ઘરેલુ ક્રિકેટમાં પણ નેતૃત્વનો અનુભવ ધરાવે છે. તેની કુશળતાને ધ્યાનમાં રાખીને, BCCI આ નિર્ણય લઈ શકે છે. જોકે, ચેમ્પિયન્સ ટ્રોફીમાં શુભમન ગિલ ઉપ-કેપ્ટન હતો.
શુભમન ગિલના વર્કલોડની ચિંતા
શુભમન ગિલનો ODI માં ખૂબ જ સારો રેકોર્ડ છે અને તે તાજેતરમાં આ ફોર્મેટમાં ઉપ-કેપ્ટન પણ રહ્યો છે, પરંતુ તેને ODI કેપ્ટન તરીકે કેમ જોવામાં આવી રહ્યો નથી? આ અંગે બીસીસીઆઈના સૂત્રોએ જણાવ્યું હતું કે 'તે પાંચ ટેસ્ટ મેચની સીરિઝ 2-2 થી ડ્રો કર્યા પછી જ આવ્યો છે. પહેલા એવું માનવામાં આવતું હતું કે તેને ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન બનાવવો જોઈએ પરંતુ સતત ટુર્નામેન્ટને ધ્યાનમાં લેતા, આ શક્ય નથી. ખેલાડી તરીકે ત્રણેય ફોર્મેટમાં રમવું અને કેપ્ટન તરીકે ત્રણેય ફોર્મેટમાં રમવું એ અલગ વાત છે. કેપ્ટને ઘણાં નિર્ણયો લેવા પડે છે. શારીરિક ઉપરાંત, તેણે માનસિક રીતે પણ ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે. જો તમે કોઈને કેપ્ટન બનાવો છો, તો તમે અપેક્ષા રાખો છો કે તે તે ફોર્મેટમાં સતત રમે.'
શુભમન ગિલ આવતા મહિને એશિયા કપમાં ભાગ લેશે ત્યારબાદ તે ઓક્ટોબરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે બે મેચની ટેસ્ટ સીરિઝમાં ટીમનું નેતૃત્વ કરશે. ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ પણ 18મી ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે, જ્યાં ODI સીરિઝ ઉપરાંત 5 મેચની T20 સીરિઝ પણ રમવાની છે. આ પછી ભારતીય ટીમ નવેમ્બરમાં દક્ષિણ આફ્રિકાની પણ યજમાની કરશે. આવી સ્થિતિમાં શુભમન ગિલના વર્કલોડ પર અસર પડી શકે છે.
રોહિત શર્માના નિર્ણયની રાહ જોવાઈ રહી છે
હિટમેન રોહિત શર્મા 2027ના વર્લ્ડ કપ સુધી રમવા માંગે છે, પરંતુ એવા અહેવાલો છે કે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પરની ODI સીરિઝ રોહિત અને વિરાટ કોહલી બંને માટે છેલ્લી હોઈ શકે છે. નોંધનીય છે કે, બંને ખેલાડી ટી20 અને ટેસ્ટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. ઘણી બધી બાબતો તેમના ભવિષ્ય અંગે શું નિર્ણય લે છે તેના પર નિર્ભર રહેશે. રોહિત પોતાના ભવિષ્ય અંગે શું નિર્ણય લે છે તે શ્રેયસ ક્યારે કેપ્ટન બનશે તે નક્કી કરશે. એ વાત ચોક્કસ છે કે BCCI અને ટીમ મેનેજમેન્ટ 2027 ODI વર્લ્ડ કપ સુધી શ્રેયસને કેપ્ટન તરીકે જોઈ રહ્યા છે.