BCB Chief Aminul Islam in Lahore to meet Mohsin Naqvi : ટી20 વર્લ્ડ કપ 2026માં પાકિસ્તાન દ્વારા ભારત સામેની મેચના બહિષ્કારના ડ્રામા વચ્ચે ક્રિકેટ જગતમાં મોટી હલચલ મચી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચીફ મોહસિન નકવીની જીદને શાંત પાડવા માટે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ના અધ્યક્ષ અમીનુલ ઈસ્લામ બુલબુલ તાબડતોબ લાહોર પહોંચ્યા છે.
લાહોરમાં બેઠકોનો ધમધમાટ
પાકિસ્તાન દ્વારા ભારત સામેની મેચ ન રમવાના સંભવિત નિર્ણયને પગલે ક્રિકેટ જગતના સમીકરણો બગડી રહ્યા છે. આ સ્થિતિમાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષની લાહોર યાત્રા અત્યંત મહત્ત્વની માનવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અમીનુલ ઈસ્લામ અને મોહસિન નકવી વચ્ચેની આ મુલાકાત પાકિસ્તાનના વલણને નરમ પાડવા અને એશિયન ક્રિકેટના હિતોને જાળવી રાખવા માટે થઈ રહી છે.
ICCની ઇમરજન્સી મીટિંગ
સમગ્ર વિવાદને વણસતો જોઈને ICCએ આજે રાત્રે એક ઈમરજન્સી બેઠકનું આયોજન કર્યું છે. આ બેઠકમાં ICCના CEO સંજોગ ગુપ્તા, PCB ચીફ મોહસિન નકવી અને BCB અધ્યક્ષ સામેલ થશે. ICCનો હેતુ કોઈપણ રીતે પાકિસ્તાનને મેદાન પર ઉતારવાનો છે, કારણ કે ભારત-પાકિસ્તાન મુકાબલો આ ટુર્નામેન્ટનો સૌથી મોટો આકર્ષણનો સ્ત્રોત છે. જો પાકિસ્તાન પોતાની જીદ નહીં છોડે, તો તેની સામે કડક આર્થિક દંડ અથવા પ્રતિબંધો પણ મુકાઈ શકે છે.
શું નકવી યુ-ટર્ન લેશે?
ક્રિકેટના દિગ્ગજોનું માનવું છે કે પાકિસ્તાનની આ ડ્રામેબાજી લાંબી નહીં ચાલે. ભારત સામેની મેચમાં ન રમવાથી પાકિસ્તાનને આર્થિક રીતે મોટું નુકસાન થઈ શકે છે. પૂર્વ ખેલાડીઓએ પણ નકવીને ચેતવણી આપી છે કે આ પ્રકારની જીદ પાકિસ્તાની ક્રિકેટની એક આખી પેઢીને બરબાદ કરી શકે છે. હવે જોવાનું એ રહેશે કે આજની રાતની ICCની બેઠક બાદ પાકિસ્તાન નરમ પડે છે કે પછી વિવાદ વધુ વણસે છે.


