અમદાવાદ પ્લેન ક્રેશ: ક્રિકેટ જગતમાં શોકની લાગણી, હરભજન સિંહ-ધવને વ્યક્ત કર્યું દુ:ખ
Ahmedabad Plane Crash: અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઇન્ડિયાની અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. 242 પેસેન્જર સવાર આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઑફ થયું હતું અને 1.40 વાગે દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટમાં 50થી વધુના મોતની આશંકા છે. આ દુર્ઘટને લઈને ભારતીય ક્રિકેટરોની પ્રતિક્રિયા સામે આવી. જેમાં હરભજન સિંહ, શિખર ધવન, ઇરફાન પઠાણ, યુસુફ પઠાણનો સમાવેશ થાય છે.
પૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને લખ્યું કે, 'હું આ વિમાન દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત અને અસરગ્રસ્ત તમામ લોકો માટે પ્રાર્થના કરું છું. આ અકસ્માતમાં પ્રભાવિત થયેલા લોકોના પરિવારજનો પ્રત્યે અમે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરૂ છું.'
હરભજન સિંહે 'X' પર લખ્યું કે, 'અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનાના સમાચાર સાંભળીને મને ખૂબ જ આઘાત અને દુઃખ થયું છે. આ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકો અને તેમના પરિવારો પ્રત્યે પ્રાર્થના કરૂ છું. આ ખૂબ જ મુશ્કેલ સમય છે અને શબ્દો ઓછા પડે છે. આ દુ:ખદ ઘટનામાં સામેલ તમામ લોકો પ્રત્યે મારું હૃદય દુ:ખી છે.
ઈરફાન પઠાણે 'X' પર લખ્યું 'આજે અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનાથી હૃદય ખૂબ જ દુઃખી છે. બધા મુસાફરો, ક્રૂ મેમ્બર્સ અને તેમના પરિવારો માટે પ્રાર્થના કરૂ છું.'
પૂર્વ ક્રિકેટર અને બહરામપુરના ટીએમસી સાંસદ યુસુફ પઠાણે 'X' પર લખ્યું કે, 'અમદાવાદ એરપોર્ટ નજીક એર ઇન્ડિયાની અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ દુર્ઘટના વિશે સાંભળીને આઘાત લાગ્યો. બધા મુસાફરો અને ક્રૂની સલામતી માટે પ્રાર્થના કરૂ છું.'
હોસ્ટેલ પર વિમાન અથડાતા ભયાવહ દ્રશ્યો સર્જાયા
મળતી માહિતી મુજબ, ક્રેશ થયેલું વિમાન હોસ્ટેલ બિલ્ડિંગના ત્રીજા, ચોથા અને પાંચમા માળે પાંખની બાજુએથી અથડાયું હતું. આ ભયાવહ ટક્કરને કારણે બિલ્ડિંગને ભારે નુકસાન થયું છે અને તે ગમે ત્યારે તૂટી પડે તેવી શક્યતા છે. વિમાન અથડાયા બાદ બિલ્ડિંગમાં ભયંકર આગ લાગી હતી. આ બિલ્ડિંગમાં ઈન્ટર્ન ડોક્ટર અને તેમના પરિવારજનો સહિત અંદાજે 50થી વધુ લોકો રહેતા હતા.
ઈમરજન્સી હેલ્પલાઈન નંબર જાહેર
રાજ્ય સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. આ કંટ્રોલ રૂમના ફોન નં. 079-232-51900 અને મોબાઈલ નં. 9978405304 ઉપર સંબંધિતો સંપર્ક કરી શકશે.