"AI મનુષ્યની જગ્યા નહીં લઈ શકે", આવું કહ્યું સુંદર પિચાઈએ: AIના યુગમાં વધુ એન્જિનિયર્સને નોકરીએ રાખવાનું ગૂગલનું પ્લાનિંગ
Sunder Pichai on AI: ગૂગલના CEO સુંદર પિચાઈનું કહેવું છે કે AI હાલમાં મનુષ્યની જગ્યા નહીં લઈ શકે. સુંદર પિચાઈએ આ વિશે લેક ફ્રિડમેનના પોડકાસ્ટમાં વાત કરી હતી. સુંદર પિચાઈનું માનવું છે કે AI મનુષ્યના કામને એક્સલરેટ કરવા માટે કામ કરશે, પરંતુ તેની જગ્યા નહીં લઈ શકે. AI વધુને વધુ એડ્વાન્સ બનતાં હવે નોકરી પર જોખમ હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ એમાં કોઈ તથ્ય હોવાનું ગૂગલના CEOને લાગતું નથી.
પ્રોડક્ટિવિટી વધારવા માટે AI જરૂરી
ગૂગલમાં હવે 30% કોડ AI દ્વારા જનરેટ કરવામાં આવે છે. આ વિશે સુંદર પિચાઈ કહે છે, ‘અમે ખાસ કરીને એ ડેટા પર ધ્યાન આપીએ છીએ અને એને ખૂબ જ સાવચેતીથી જોવામાં આવે છે કે AIને કારણે કંપનીના એન્જિનિયરિંગના કામમાં કેટલી ગતિ આવી છે.’ તેમના કહેવા મુજબ AIને કારણે કંપનીને ફાયદો થઈ રહ્યો છે, કારણ કે સામાન્ય કામ AI સંભાળી લે છે જેથી એન્જિનિયર્સ વધુ કોમ્પ્લેક્સ કામ સારી રીતે કરી શકે.
વધુ એન્જિનિયર્સને કામે રાખશે ગૂગલ
ગૂગલ હવે આવતાં વર્ષે વધુ એન્જિનિયર્સને કામે રાખવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. AI ઝડપથી આગળ વધી રહ્યું છે, તેમ છતાં ગૂગલ વધુ લોકોને કામે રાખવાની તૈયારી કરી રહ્યું છે. ગૂગલ હવે તેની કાર્યક્ષમતા વધારી રહ્યું છે. આ વિશે સુંદર પિચાઈ કહે છે, ‘AIને કારણે હવે ગૂગલ પણ ઘણાં કામ કરી શકે છે અને હવે અમે એના પર પણ ફોકસ કરી રહ્યા છીએ.’ આગામી વર્ષમાં AI વધુ એડ્વાન્સ બનશે, તેથી વધુને વધુ સામાન્ય કામ AI દ્વારા કરવામાં આવશે. આથી, ગૂગલના એન્જિનિયર્સ હવે ક્રીએટિવ પ્રોબ્લેમ સોલ્વ કરવા અને નવીનતા શરૂ કરવા પર વધુ ધ્યાન આપશે.
આ પણ વાંચો: એપલની WWDC ઇવેન્ટમાં શું થઈ શકે છે લોન્ચ? 9-13 જૂન માટે યોજાયેલી આ ઇવેન્ટ વિશે જાણો…
ક્રિએટિવિટીને વધુ લોકો સુધી પહોંચાડશે AI
સુંદર પિચાઈનું માનવું છે કે AIના કારણે ક્રિએટિવિટી વધુને વધુ લોકો સુધી પહોંચશે. વધુ લોકો એનો ઉપયોગ કરશે, અને તેના પરિણામે તેઓ વધુ ક્રિએટિવ બની શકશે. આ અંગે પિચાઈ કહે છે, ‘AIના કારણે લોકો એના તરફ આકર્ષિત થશે. એના કારણે લોકોના હાથમાં એક ગજબનો પાવર આવશે. આ પાવરથી તેઓ વધુને વધુ ક્રિએટ કરી શકશે. આથી, સમય જતાં લોકોમાં ક્રિએટિવિટી વધુ જોવા મળશે.’