Japan Created AI Monk: જાપાનના ક્યોટો યુનિવર્સિટીની એક રિસર્ચ ટીમે ટેક કંપનીઓ Teraverse અને XNOVA સાથે મળીને એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત રોબોટ મોન્ક રજૂ કર્યો છે. આ મશીનને ‘બુદ્ધારોઇડ’ નામ આપવામાં આવ્યું છે. તે મનુષ્ય એટલે કે મોન્ક જેવું આધ્યાત્મિક માર્ગદર્શન આપે એ માટે બનાવવામાં આવ્યો છે. રિસર્ચ ટીમ દ્વારા આ રોબોટ મોન્કનું પ્રદર્શન શોરેન-ઇન ટેમ્પલમાં કરવામાં આવ્યું હતું. જાપાનમાં ઘટતી વસ્તી અને વૃદ્ધ વયની વધતી સંખ્યાને કારણે યુવા પેઢીમાં તેમના કલ્ચર અને ધર્મ પ્રત્યે રસ ઘટતો જઈ રહ્યો છે. આથી તેમની સભ્યતાને જાળવી રાખવા માટે આ પ્રોજેક્ટ પર કામ કરવામાં આવી રહ્યું હતું અને એ પૂરું થતાં એને રજૂ કરવામાં આવ્યું છે.
બુદ્ધારોઇડ ‘BuddhaBot-Plus’ સિસ્ટમ પર કાર્ય કરે છે
બુદ્ધારોઇડ ‘BuddhaBot-Plus’ નામની સિસ્ટમ પર કાર્ય કરે છે. આ એક ChatGPT આધારિત AI મોડેલ છે. આ મોડલને બૌદ્ધ ધર્મગ્રંથો વિશે વિશાળ પ્રમાણમાં તાલીમ આપવામાં આવી છે. વિકાસકર્તાઓનું કહેવું છે કે આ તાલીમના કારણે રોબોટ વ્યક્તિગત અને સામાજિક પ્રશ્નો પર તાત્કાલિક પ્રતિસાદ આપી શકે છે. આ રોબોટના ફિઝિકલ એક્શન Unitree Roboticsના હાર્ડવેર દ્વારા કરવામાં આવે છે. મોન્ક દ્વારા કરવામાં આવતી તેમની પરંપરાગત જીવનશૈલીઓ જેમ કે નમસ્કાર કરવો અને પરંપરાગત ‘ગશ્શો’ મુદ્રા કરવા માટે આ હાર્ડવેરનો ઉપયોગ થાય છે.
ધાર્મિક પરંપરાઓ જાળવવાનો પ્રયાસ
બુદ્ધારોઇડ બનાવનાર આશા રાખી રહ્યું છે કે આ રોબોટ મોન્ક મંદિર જેવા સ્થળોએ શારીરિક રીતે હાજર રહી ધાર્મિક પરંપરાઓને જાળવવામાં મદદ કરશે. તેઓ માને છે કે માત્ર ડિજિટલ અથવા સ્ક્રીન આધારિત પ્લેટફોર્મ કરતાં રોબોટનું શારીરિક સ્વરૂપ વધુ સાંત્વના આપાવાની સાથે પરસ્પર વાતચીત પણ કરી શકે છે. એક્સપર્ટનું અનુમાન છે કે 2040 સુધીમાં જાપાનના લગભગ 30% બૌદ્ધ મંદિરો બંધ થઈ શકે છે, ખાસ કરીને ગ્રામિણ વિસ્તારોમાં જ્યાં મંદિર સંચાલન માટે ઉત્તરાધિકારીઓ મળવા મુશ્કેલ બની ગયું છે.
માનવ પુજારીઓને બદલવાનો હેતુ નથી
બુદ્ધારોઇડ બોલી શકે છે, ચાલીને ફરી શકે છે, હાથની જેસ્ચર કરી શકે છે અને પરંપરાગત પ્રાર્થના મુદ્રાઓ પણ કરી શકે છે. હાલમાં જ જાપાનના એક મંદિરમાં તેનું પ્રદર્શન કરવામાં આવ્યું. મંદિરમાં હાજર લોકોની વચ્ચે ફરીને જીવન, દુઃખ અને નૈતિકતા જેવા બૌદ્ધ શિક્ષણના મુખ્ય વિષયો પર રોબોટ મોન્ક દ્વારા વ્યક્તિગત સંવાદ કરવામાં આવ્યો હતો. આ નવું મશીન બનાવનાર રિસર્ચ ટીમ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તેમનો હેતુ માનવ પુજારીઓને બદલી નાખવાનો નથી, પરંતુ સતત બદલાતી સમાજવ્યવસ્થામાં આધ્યાત્મિક જોડાણને મજબૂત બનાવવાનો છે.


