સૌથી વજનદાર સેટેલાઇટ લૉન્ચ કર્યા બાદ ઈસરોની યોજના, માર્ચ 2026 સુધીમાં પાર પાડશે 7 મિશન

ISRO to Launch 7 Mission: ઇસરો દ્વારા હાલમાં જ સૌથી મોટો સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યો છે. એ સેટેલાઇટને LVM3 રોકેટની મદદથી લોન્ચ કરવામાં આવ્યું હતું. આ લોન્ચની સફળતા બાદ ઇસરો ફરી તરત જ અન્ય મિશન પર કામે લાગી ગયું છે. તેઓ માર્ચ 2026 પહેલાં સાત મિશન લોન્ચ કરવાના છે. આ તમામ મિશન ખૂબ જ મહત્વના છે કારણ કે એના દ્વારા ભારત સ્પેસ એક્સપ્લોરેશનમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. એમાં સ્પેસફ્લાઇટ, સેટેલાઇટ લોન્ચ અને એડવાન્સ રોકેટ ટેસ્ટિંગ જેવા મિશનનો સમાવેશ થાય છે.
શું છે મિશનનું નામ અને કેમ કરવામાં આવી રહ્યાં છે?
G1 મિશન: ગગનયાન મિશન માટેનું આ સૌથી પહેલી ફ્લાઇટ છે. આ મિશન દ્વારા ફ્લાઇટને ટેસ્ટ કરવામાં આવશે અને એથી પહેલી ટેસ્ટને G1 નામ આપવામાં આવ્યું છે. આ મિશન હેઠળ ક્રૂ મોડ્યુલ સિસ્ટમ, લાઇફ સપોર્ટ અને રી-એન્ટ્રીની ક્ષમતાને ટેસ્ટ કરવામાં આવશે. મનુષ્યને અંતરિક્ષમાં મોકલવા પહેલાં આ ટેસ્ટ ખૂબ જ જરૂરી છે.
G2 મિશન: G1 મિશનની સફળતા બાદ ગગનયાન પ્રોગ્રામ હેઠળ બીજી વાર ક્રૂ વગર ફ્લાઇટને ટેસ્ટ કરવામાં આવશે. આ ટેસ્ટમાં ક્રૂની સેફ્ટી માટે જરૂરી સુધારા કરવામાં આવશે અને એની ટેસ્ટ કરવામાં આવશે. તેમ જ નવી ટેકનોલોજીનો સમાવેશ કરવામાં આવશે. તેમ જ મિશન માટે આ ફ્લાઇટ પર કેટલું નિર્ભર રહી શકાય એ ટેસ્ટ કરવામાં આવશે.
G3 મિશન: G2 મિશનની સફળતા બાદ વધુ એક વાર ક્રૂનો સમાવેશ કર્યા વગર ફ્લાઇટ ટેસ્ટ કરવામાં આવશે. આ ટેસ્ટમાં ક્રૂનો સમાવેશ કરી મિશન લોન્ચ કરવા માટે એ કેટલું યોગ્ય છે એને ટેસ્ટ કરવામાં આવશે.
ગગનયાન મિશન: ત્રણ મિશનની ટેસ્ટ બાદ આ મિશનમાં અંતરિક્ષયાત્રીઓને સ્પેસમાં મોકલવામાં આવશે. ભારતના આ પહેલા માનવ આધારિત મિશનમાં તેઓ ત્રણ દિવસ સુધી પૃથ્વીની લોઅર ઓર્બિટમાં ભ્રમણ કરશે. આ મિશન દ્વારા ભારત દુનિયાને તેમની સ્પેસફ્લાઇટ વિશેની ક્ષમતાનો પરચો આપશે.

SSLV-D3 મિશન: આ મિશનનું આખું નામ સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હિકલ - ડેવલપમેન્ટલ ફ્લાઇટ 3 છે. પૃથ્વીની લો ઓર્બિટમાં નાની સેટેલાઇટને લોન્ચ કરવા માટે આ મિશન કરવામાં આવી રહ્યું છે. આ સેટેલાઇટ ઓછા પૈસે સારું કામ કરી શકે એ ટેસ્ટ કરવામાં આવશે. તેમ જ સેટેલાઇટને તરત જ દિશા બદલી શકાય અને ચોક્કસ સ્ટ્રેટેજી હેઠળ એનો ઉપયોગ કરી શકાય કે નહીં એ ચેક કરવામાં આવશે. આ સેટેલાઇટ યુદ્ધ દરમિયાન ખૂબ જ સારી રીતે કામ આવી શકે છે.
INSAT-3DS મિશન: આ એક નેક્સ્ટ જનરેશન મીટિયોરોલોજિકલ સેટેલાઇટ છે. એના દ્વારા આબોહવાની આગાહી વધુ સારી રીતે કરી શકાશે. તેમજ કુદરતી આફત વિશે વધુ ચોક્કસ રીતે માહિતી મેળવી અને ચેતવણી મળી અને આપી શકાશે. એના દ્વારા ક્લાઇમેટને પણ મોનિટર કરવામાં આવશે.
PSLV-C60 મિશન: પોલર સેટેલાઇટ લોન્ચ વ્હિકલનો ઉપયોગ કરીને એક સાથે ઘણી બધી સેટેલાઇટ લોન્ચ કરવામાં આવશે. આ સેટેલાઇટ દ્વારા પૃથ્વી પર નિરિક્ષણ કરવાની સાથે રીમોટ સેન્સિંગ અને વૈજ્ઞાનિક રિસર્ચમાં પણ એ કામમાં આવશે.
આ મિશન કેમ મહત્ત્વના છે?
ગગનયાન મિશન દ્વારા ભારત સ્પેસ ક્ષેત્રમાં ખૂબ જ મોટું પગલું ભરવા જઈ રહ્યું છે. તેઓ મનુષ્યને સ્પેસમાં મોકલીને અમેરિકા, રશિયા અને ચીન જેવા દેશોની કેટેગરીમાં આવી જશે. આથી આ મિશન ભારત માટે ખૂબ જ મહત્વનું છે. સેટેલાઇટ દ્વારા ભારતની આબોહવાની આગાહીમાં અને કમર્શિયલ સેટેલાઇટ સર્વિસમાં ખૂબ જ મદદરૂપ બની શકશે. SSLV અને PSLV મિશન દ્વારા ઇસરો તેના લોન્ચર વ્હિકલની ક્ષમતામાં વધારો કરી રહ્યું છે. આ લોન્ચ વ્હિકલ દ્વારા નાના અને મોટા તમામ મિશન કરી શકાશે.
આ પણ વાંચો: મસ્ક પાસે પૈસા માંગ્યા સેમ ઓલ્ટમેને: ટેસ્લા માટે 7 વર્ષની રાહ જોયા બાદ રિફંડની ડિમાન્ડ
ભવિષ્યમાં શું થશે?
ઇસરોના ચેરમેન વી નારાયણ દ્વારા એ વાતની પુષ્ટિ આપવામાં આવી છે કે ગગનયાન મિશન માટે હાર્ડવેર ઇન્ટિગ્રેશન હાલમાં શ્રીહરિકોટામાં ચાલી રહ્યું છે. તેમ જ ઇસરો દ્વારા આગામી પાંચ વર્ષમાં અંદાજે 50 રોકેટ લોન્ચ કરવામાં આવશે. એના દ્વારા ભારત ખૂબ જ જોરશોરથી સ્પેસ એક્સપ્લોરેશનમાં આગળ વધશે. ભારત ફક્ત સ્પેસમાં હાજરી આપવા પર ધ્યાન નથી આપી રહ્યું, પરંતુ ઓછામાં ઓછા ખર્ચે વધુ મિશન અને એ પણ ચોક્કસ રીતે પૂરા કરવા પર ધ્યાન આપી રહ્યું છે.

