Exclusive: ISRO-SAC જામ ખંભાળિયામાં 25 એકર જમીન પર કરોડોના ખર્ચે બનાવી રહ્યું છે અર્થ સ્ટેશન

Earth Station in Jam Khambhaliya: વિશ્વભરમાં અવકાશ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં ઈસરો રોકેટ ગતિએ આગળ વધી રહ્યું છે. ગુજરાત સરકારે પણ સ્પેસ ટેક્નોલોજી પોલિસીની જાહેરાત કરી છે. ત્યારે ઇસરો દ્વારા જામખંભાળિયામાં 25 એકર જમીન પર કરોડોના ખર્ચે નવું અર્થ સ્ટેશન બનાવાઈ રહ્યું છે. આ અર્થ સ્ટેશનનો કયા કયા ક્ષેત્રે ઉપયોગ કરાશે તે અંગે ISRO ચેરમેને જાહેરાત કરી હતી. હવે આ મુદ્દે સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC- અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર ) અમદાવાદના ડાયરેક્ટર નિલેશ એમ. દેસાઈએ ગુજરાત સમાચાર ડિજિટલ સાથે વાત કરીને વિસ્તૃત માહિતી આપી છે.

ISRO-SAC અમદાવાદમાં 21 કોમ્પલિકેટેડ સેટેલાઈટ બની રહ્યા છે: નિલેશ એમ. દેસાઈ
જામ ખંભાળિયામાં બની રહેલા ઈસરોના નવા અર્થ સ્ટેશન વિશે નિલેશ એમ. દેસાઈએ જણાવ્યું કે, આગામી 4 વર્ષમાં ભારતની સુરક્ષામાં મદદ માટે સરકારે 52 સેટેલાઈટ બનાવવાની મંજૂરી આપી છે. જે અંતર્ગત ઈસરો રિમોટ સેન્સિંગ, કેમેરા અને રડારવાળા કોમ્પ્લિકેટેડ 21 સેટેલાઈટ બનાવી રહ્યું છે. આ ઉપરાંત નાના અને પ્રમાણમાં સરળ 31 સેટેલાઈટ પ્રાઇવેટ સેક્ટરની કંપનીઓ દ્વારા નિર્માણ થઇ રહ્યા છે. ઇસરોનો GISAT-1A સેટેલાઈટ પણ તૈયાર થઇ ગયો છે, જે આગામી સમયમાં GSLV વ્હિકલ ઉપલબ્ધ થતા લોન્ચ થશે. આ સેટેલાઈટ 36000 કિલોમીટરની ઊંચાઈથી પૃથ્વીની તસવીરો લઈ શકશે. એ સિવાય તે હવામાન સહિતની માહિતી મેળવવા પણ ઉપયોગી થશે.
આ વિશે વધુ વાત કરતા તેમણે જણાવ્યું કે, હાલ ઈસરોમાં અનેક પ્રકારના કેમેરાવાળા 13 અને 7 રડાર સેટેલાઈટનું કામ ચાલી રહ્યું છે. આ સેટેલાઈટ બનાવવા માટે 4 વર્ષની સમયમર્યાદા છે, જેમાં 6 મહિના પૂરા થઈ ગયા છે એટલે કે હવે 3.6 વર્ષના સમય ગાળામાં આ સેટેલાઈટ બની જશે.
ત્રણ-ચાર વર્ષમાં અર્થ સ્ટેશન બનીને થશે તૈયાર
ISRO-SAC દ્વારા આપેલી માહિતી પ્રમાણે આ સેટેલાઈટ લોન્ચ થયા પછી તેનો ઉપયોગ કરવા ગ્રાઉન્ડ પર અર્થ સ્ટેશન (ભૂ-કેન્દ્ર) બનાવવાનું કામ ગુજરાતના દરિયાકાંઠે આવેલા જામ ખંભાળિયામાં થઈ રહ્યું છે. આ અર્થ સ્ટેશન સરકાર દ્વારા ફાળવવામાં આવેલી 25 એકર જમીન પર બની રહ્યું છે, જે લગભગ 100 કરોડથી વધુના ખર્ચે બનીને આગામી 3-4 વર્ષમાં તૈયાર થઈ જશે. અત્યારે સાઈટ પર સોઇલ ટેસ્ટિંગ અને અન્ય જરૂરી કાર્યવાહી થઈ રહી છે. આ માટે હવે સિવિલ, મિકેનિકલ અને ઈલેક્ટ્રિકના કામો અંગે જરૂરી પ્રક્રિયા ચાલુ કરાશે.
જાણો, અર્થ સ્ટેશનનો કઈ માહિતી માટે થશે ઉપયોગ
આ અર્થ સ્ટેશનની મદદથી સેટેલાઈટ દ્વારા રિમોટ સેન્સિંગને લગતી જરૂરી સેવાઓ, જેમ કે હવામાન, સુરક્ષા અને કૃષિ સહિતના અનેક ક્ષેત્રોની માહિતી મેળવવામાં આવશે.


