Get The App

ભારત માટે ખતરો! હિંદ મહાસાગરમાં 30 ટકા ખારાશ ઘટી ગઈ, ચોમાસાની પેટર્ન પર અસરની આશંકા

Updated: Feb 19th, 2026

GS TEAM

Google News
Google News
ભારત માટે ખતરો! હિંદ મહાસાગરમાં 30 ટકા ખારાશ ઘટી ગઈ, ચોમાસાની પેટર્ન પર અસરની આશંકા 1 - image

Salt Water: દરિયાનું પાણી હંમેશાં ખારું હોય છે, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. દાયકાઓથી હિંદ મહાસાગર પૃથ્વીના સૌથી ખારા પાણીવાળું રહ્યું છે, પરંતુ હવે એની ખારાશ ઓછી થઈ રહી છે. દક્ષિણ હિંદ મહાસાગરના કેટલાક ભાગોમાં પાણીની ખારાશ આશ્ચર્યજનક રીતે ઘટી રહી છે. કોલોરાડો યુનિવર્સિટીના એક નવા અભ્યાસમાં આ ચોંકાવનારી માહિતી સામે આવી છે. આ મુજબ ઑસ્ટ્રેલિયાના પશ્ચિમ કિનારે દૂર દક્ષિણ હિંદ મહાસાગરનું ખારાપણું છેલ્લા 60 વર્ષમાં 30 ટકા સુધી ઘટી ગયું છે. રિસર્ચરોના જણાવ્યા મુજબ આ પરિવર્તન સમુદ્રી પ્રવાહો, હવામાન, વરસાદની પેટર્ન અને સમુદ્રી જીવનને ગંભીર રીતે અસર કરી શકે છે.

હવામાનમાં પરિવર્તન છે જવાબદાર

રિસર્ચરોએ કમ્પ્યુટર સિમ્યુલેશનમાં જાણવા મળ્યું કે હવામાનમાં જે પરિવર્તન આવી રહ્યું છે એ ખારાશ ઘટવામાં મુખ્ય કારણ બન્યું છે. ગ્લોબલ વોર્મિંગ હવે હિંદ મહાસાગર અને પ્રશાંત મહાસાગર ઉપરની સપાટી પરના પવનને બદલી રહ્યું છે. આ પવનમાં થયેલા ફેરફારને કારણે સમુદ્રી પ્રવાહ બદલાઈ રહ્યો છે અને એથી જ હિંદ મહાસાગરનું મીઠું પાણી હવે વધુ પ્રમાણમાં દક્ષિણ હિંદ મહાસાગરની તરફ જઈ રહ્યું છે. રિસર્ચરોનું કહેવું છે કે સમુદ્રના પાણીમાં જ્યારે ખારાપણું ઘટે છે ત્યારે તેનું ઘનત્વ પણ ઘટે છે.

પાણી કેવી રીતે વહે છે?

  • ગરમ પાણી ઉષ્ણકટિબંધીય વિસ્તારથી ઉત્તર તરફ વહે છે. ત્યાર બાદ ગ્રીનલેન્ડ અને અન્ય નોર્ડિક દેશોની આસપાસના સમુદ્રના બરફ સાથે ટક્કરાય છે.
  • ઉત્તર એટલાન્ટિકમાં પહોંચતાની સાથે જ આ પાણી ઠંડુ થઈ જાય છે અને એમાં વધુ ખારાશ આવી જાય છે.
  • ઠંડુ પાણી થઈ જતા એ વજનદાર બની જાય છે. પાણીનું વજન વધતા તે દરિયાના તળિયે જતી રહે છે.
  • પાણી તળિયે પહોંચ્યા બાદ તે દક્ષિણ તરફ વહે છે. ત્યાર બાદ ફરી ગરમ થઈને એ સપાટી પર આવી જાય છે.

ભારતના મોસમ પર અસર પડશે

ભારત માટે આ પરિવર્તન મહત્ત્વપૂર્ણ બની શકે છે. હિંદ મહાસાગરમાં થતા ફેરફારોને કારણે ભારતના મોસમના પેટર્ન, વરસાદ, સમુદ્રીમાં થતી માછીમારી અને તટીય હવામાનને અસર કરે છે. વૈશ્વિક સ્તરે આ બદલાયેલો પ્રવાહ યુરોપ, એશિયા અને આફ્રિકાના તાપમાનને અસર કરી શકે છે. મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છે, એટલે કે એક ભાગમાં થયેલો નાનો ફેરફાર પણ હજારો કિલોમીટર દૂર અસર કરી શકે છે.

ઓશન સર્ક્યુલેશન સિસ્ટમમાં અવરોધ

વિશેષજ્ઞો કહે છે કે આ પરિવર્તનથી મહાસાગર અને વાતાવરણ વચ્ચેની પરસ્પર ક્રિયામાં ફેરફાર આવી શકે છે. આ સાથે જ ખારાશમાં ઘટાડાથી મુખ્ય ઓશન સર્ક્યુલેશન સિસ્ટમમાં અવરોધ આવી શકે છે. ઓશન સર્ક્યુલેશન સિસ્ટમ વિશ્વભરના હવામાનને નિયંત્રિત કરવામાં મદદરૂપ બને છે. આપણા મહાસાગરોના પાણીની ખારાશ લગભગ 3.5 ટકા હોય છે. જોકે આ ખારાશનું પ્રમાણ વિશ્વભરમાં અલગ અલગ હોય છે.

આ પણ વાંચો: ગેમિંગના રસિયાઓ માટે દુઃખની વાત: Call of Duty: Warzone Mobile બંધ થશે એપ્રિલમાં, જાણો કેમ…

ઑસ્ટ્રેલિયાના દક્ષિણ-પશ્ચિમ કિનારે આવેલા દક્ષિણ હિંદ મહાસાગરમાં ખાસ કરીને ખૂબ જ ખારાશ જોવા મળે છે જ્યારે ઉત્તર ગોળાર્ધના પૂર્વી હિંદ મહાસાગરથી પશ્ચિમ પ્રશાંત મહાસાગર સુધીનો વિસ્તાર ઓછો ખારો છે. ખારાશમાં આ તફાવત ઓશન સર્ક્યુલેશનની એક વિશાળ “કન્વેયર બેલ્ટ” બનાવે છે, જે પૃથ્વીની ચારેબાજુ ગરમીની સાથે ખારા અને મીઠા પાણીને પણ ડિસ્ટ્રીબ્યુટ કરે છે.