દુબઈએ લોન્ચ કર્યો AI આધારિત કોરિડોર: ઇમિગ્રેશન માટે હવે લાઇનમાં ઊભા રહેવાની જરૂર નહીં...
Dubai AI Airport: દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા દુનિયાનો પહેલો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી કાર્યરત ઇમિગ્રેશન કોરિડોર બનાવ્યો છે. આ સિસ્ટમને જનરલ ડિરેક્ટોરેટ ઓફ રેસિડન્સી એન્ડ ફોરેન અફેર્સ દ્વારા લોન્ચ કરવામાં આવી છે. આ સિસ્ટમની મદદથી એક સાથે વધુમાં વધુ દસ વ્યક્તિ પસાર થઈ શકશે અને તેમને ઊભા રહેવાની પણ જરૂર નહીં પડે. તેમ જ કોઈ પણ ડોક્યુમેન્ટ પણ નહીં દેખાડવા પડે. દુબઈ હવે ટ્રાવેલ વિથઆઉટ બોર્ડર પર ફોકસ કરી રહ્યું છે અને તેઓ એવી સિસ્ટમ બનાવવા માગે છે જેનાથી જે તે ટ્રાવેલર તેમના જ દેશમાં ફરતો હોય એ રીતનો અનુભવ તેમને એરપોર્ટ પર મળે જ્યાં કોઈ અટકાવનાર નહીં હોય અને એમ છતાં એકદમ સિક્યોર પ્રોસેસ હોય.
AI કોરિડોર કેવી રીતે કામ કરશે?
આ કોરિડોરમાં એડવાન્સ બાયોમેટ્રિક સિસ્ટમ અને AI ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ બન્નેની મદદથી વ્યક્તિને રિયલ ટાઈમમાં ઓળખવામાં આવશે. એનો અર્થ એ થયો કે પેસેન્જરના ડેટાને મેચ કરવામાં આવશે અને વેરિફાય કરવામાં આવશે. આ તમામ પ્રોસેસ જે-તે વ્યક્તિ ઇમિગ્રેશન ચેકપોઈન્ટ સુધી પહોંચે ત્યાં સુધીમાં કરી લેવામાં આવશે. આ સિસ્ટમની મદદથી ટ્રાવેલર્સ ખૂબ જ સરળતાથી અને ઝડપથી તમામ પ્રોસેસ પૂરી કરી લેશે. આ પ્રોસેસ ઝડપી હોવાની સાથે એટલી જ સિક્યોર પણ છે. આ સિસ્ટમને જે-તે વ્યક્તિમાં થોડી પણ ખામી લાગી કે તેને ઓટોમેટિકલી એલર્ટ આપવામાં આવશે અને ત્યાર બાદ તેના પાસપોર્ટને એક્સપર્ટ દ્વારા રિવ્યૂ કરવામાં આવશે.
AI સિસ્ટમની મદદથી પ્રોસેસ કરવાની ક્ષમતામાં વધારો
AI કોરિડોરનો સમાવેશ કર્યા બાદ દુબઈ એરપોર્ટની ટ્રાવેલર્સના ડેટાને પ્રોસેસ કરવાની ક્ષમતામાં ખૂબ જ વધારો થયો છે. આ સિસ્ટમ બાદ હવે એરપોર્ટ પર ખૂબ જ ઓછી ભીડ જોવા મળે છે. તેમ જ જે-તે સમય જ્યારે વ્યક્તિઓ અથવા તો ફ્લાઇટ ખૂબ જ વધુ હોય ત્યારે પણ ખૂબ જ સરળતાથી પ્રોસેસ થઈ જાય છે. લોકોએ લાઇનમાં ઊભા ન રહેવું પડે એ હેતુને ધ્યાનમાં રાખીને આ સિસ્ટમને ડિઝાઇન કરવામાં આવી છે. આથી એરપોર્ટ પર ટ્રાફિક હવે જોવા નહીં મળે.
પેસેન્જર દ્વારા આ સિસ્ટમને વધાવી
AI કોરિડોરને પેસેન્જર દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી છે. આ સિસ્ટમ ખૂબ જ સ્પીડમાં કામ કરતી હોવાથી એક વ્યક્તિએ ઊભા સુધી રહેવું નથી પડતું. મુંબઈ જેવા એરપોર્ટ પર ઇમિગ્રેશનમાં એક કલાકથી પણ વધુ સમય લાગી શકે છે. જોકે દુબઈમાં જ્યારે દરેક દેશના નાગરિકો આવતાં હોય ત્યારે એને ટેકનોલોજીથી ભરપૂર બનાવવામાં આવી રહ્યું છે. જોકે ભારતમાં આ સિસ્ટમનો સમાવેશ કરવામાં આવે કે નહીં અને આવે તો એ કેટલી સફળ રહેશે એ વિશે ઘણાં સવાલો ઊભા થાય છે. મુંબઈ અને અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમિગ્રેશન માટે હજી પાસપોર્ટ સ્કેનર પણ રાખવામાં નથી આવ્યાં. હજી પણ ઇમિગ્રેશનમાં એન્ટ્રી અને એક્ઝિટ માટે સ્ટેમ્પ મારવામાં આવે છે. દુબઈમાં આ સિસ્ટમ વર્ષો પહેલાં બંધ થઈ ગઈ હતી.