ક્લાઈમેટ ચેન્જ વિમાનો માટે કાળ સમાન બની રહ્યું છે, અમદાવાદ પ્લેન ક્રેશ બાદ સંશોધકોનો મોટો દાવો
(PHOTO - AI Generated Image) |
Global Warming Impacts on Aircraft: અમદાવાદમાં થોડા સમય પહેલાં જ બનેલી પ્લેન ક્રેશની ઘટનાથી સમગ્ર દેશ હાલ પણ પીડામાં અને ગ્લાનિમાં છે ત્યારે એક આશ્ચર્યજનક રિસર્ચ રિપોર્ટ જાહેર થયો છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ક્લાઈમેટ ચેન્જના કારણે પ્લેનની સ્થિતિ ખરાબ થઈ રહી છે. ગ્લોબલ વોર્મિંગ વિમાનો માટે કાળ બની રહ્યું છે.
જાણકારોના મતે ચક્રવાતી પવનમાં ઉત્પન્ન થતા માઈક્રોબર્સ્ટ પ્લેનને નુકસાન કરી શકે છે. ખાસ કરીને નાના વિમાનોને તેના કારણે વધારે અસર પડી શકે તેમ છે. તેમાંય પ્લેનના લેન્ડિંગ અને ટેકઓફ દરમિયાન હવાની ગતિમાં થતા અચાનક ફેરફારના કારણે પણ મુશ્કેલી સર્જાતી હોય છે.
ક્લાઈમેટ ચેન્જ વિમાનો માટે કાળ સમાન બની રહ્યું છે
ક્લાઈમેટ ચેન્જના કારણે પ્લેનમાં ટર્બ્યુલન્સની શક્યતાઓ વધવા લાગી છે અને તેની અસર પણ મોટાપાયે થવા લાગી છે. યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજી સિડનીના પ્રોફેસરો લેન્સ લેસલી અને મિલ્ટન સ્પીર દ્વારા આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. તેઓ જણાવે છે કે, ગ્લોબલ વોર્મિંગ અને પ્લેનના અચાનક ક્રેશ થવાને સંબંધ છે. હવાનું જે ચક્રવાતી સ્થિતિમાં નીચે જતું દબાણ છે તે પ્લેનને સૌથી વધારે નુકસાન કરે છે.
સંશોધકોએ અભ્યાસ દરમિયાન નોંધ્યું હતું કે ગરમી અને ભેજ મુખ્ય કારકો છે જે ગરમ હવામાં ચક્રવાતી સ્થિતિ ઊભી કરીને તેને કેન્દ્રમાંથી નીચેની તરફ ખેંચે છે. તેના કારણે હવામાં ટર્બ્યુલન્સ આવે છે. ક્લાઈમેટ નામની જર્નલમાં તાજેતરમાં જ તેમનો અભ્યાસ પ્રકાશિત થયો છે અને ખૂબ જ ચર્ચામાં પણ છે.
હવામાં વધતી ગરમી, ચક્રવાતી અસરો નાના પ્લેન માટે મુશ્કેલીજનક
સંશોધકોએ નોંધ્યું છે કે, હવામાં વધતી ગરમી અને તેની ચક્રવાતી અસરો મોટાભાગે નાના પ્લેનના લેન્ડિંગ અને ટેક ઓફ સમયે મુશ્કેલી ઊભી કરે છે. તેના કારણે વિમાનો સ્થિતિસ્થાપકતા ગુમાવે છે અને ક્રેશ થવાની શક્યતાઓ સર્જાય છે. સંશોધનમાં જણાવ્યું હતું કે, વિમાનોનું જે નેટવર્ક ચાલે છે તેની સાથે સંકળાયેલા તમામ લોકોએ આ બાબત સમજવી જોઈએ અને વિમાનના ટેક ઓફ અને લેન્ડિંગ બાબતે ખાસ ધ્યાન રાખવું જોઈએ. જેથી દુર્ઘટના ન બને.
એર પ્રેશરમાં ઘટાડો પ્લેન માટે આઘાતજનક
ખાસ બાબત એ છે કે, અત્યાર સુધીમાં હાઈ એલ્ટિટ્યૂડ ઉપર ટર્બ્યુલન્સ આવે છે અને અનુભવાય છે તે સાંભળ્યું છે અને સંશોધકોએ તેનો અભ્યાસ પણ કર્યો છે. તેમ છતાં તેઓ માને છે કે, જમીન સાથે જોડાયેલા ભાગમાં એટલે કે લોઅર ટર્બ્યુલન્સમાં પાઈલટ્સને ખ્યાલ આવવો જોઈએ કે, એર પ્રેશરમાં ઘટાડો થયો અને તે નીચેની તરફ જઈ રહી છે. લેસ્લી અને સ્પીર દ્વારા જણાવાયું હતું કે, ક્લાઈમેટ ચેન્જની અસરને પગલે ચક્રવાતમાં જ ડાઉનબર્સ્ટ એટલે કે ગરમ પવનો જે રીતે નીચે ગતિ કરે છે તેના કારણે ભેજ અને ગરમી તેમાંથી મુક્ત થાય છે અને તેઓ નીચેની તરફ જતાં જ પ્લેન માટે આઘાતજનક અને ચિંતાજનક બની જાય છે.
ગ્લોબલ વોર્મિંગથી પાણીનું વરાળ બનવું ઝડપી થયું
આ સંશોધકોએ નોંધ્યું હતું કે, ગ્લોબલ વોર્મિંગના કારણે પાણીનું વરાળ બનવાનું પ્રમાણ વધ્યું છે અને તે જોખમી છે. તેના કારણે વાતાવરણમાં 7 ટકા વધારે પાણી ઉપર જાય છે અને વરાળ ભારે બનીને નીચેની તરફ ગતિ કરવા લાગે છે. દરિયો ગરમ થાય છે અને વરાળ ઝડપથી ઉત્પન્ન થયેલા ચક્રવાતમાં સમાયેલા ભેજને નીચેની તરફ ખેંચીને નીચાણવાળા વિસ્તારોને નુકસાન કરે છે. તેનું વાતાવરણ ડામાડોળ કરી નાખે છે જેને પગલે વિમાનને મુશ્કેલી પડે છે. અત્યંત ગરમી અને વરાળ ભેગા થઈને ચક્રવાતી હવાનું સર્જન કરે છે જે વિમાનની ગતિ અને સ્થિતિને નડતરરૂપ બને છે.
આ પણ વાંચો: બાળકોના મામલે એપલ, ગૂગલ અને મેટા બાળકોની જેમ બાખડ્યાં
5 થી 50 પેસેન્જર લઈ જતા વિમાનોને સૌથી વધુ જોખમ
સંશોધકોના મતે ચક્રવાતી પવનો હવાની ઝડપ અને દિશામાં ફરેફાર કરવામાં સૌથી મોટી ભૂમિકા ભજવે છે. તેમાંય ઓછા અલ્ટિટ્યૂડ ઉપર તેની અસર વધારે હોય છે. આ સંજોગોમાં નાનકડો ડાઉનબર્સ્ટ પણ કેટલાક કિલોમીટર સુધી લંબાય છે અને હવાની ગતિ અને દિશામાં ફેરફાર કરતો રહે છે જે ટર્બ્યુલન્સ ઊભું કરે છે.
નાના એરક્રાફ્ટ માટે આ સમસ્યા વધારે ગંભીર બને છે. ખાસ કરીને 5 પેસેન્જરથી માંડીને 50 પેસેન્જર લઈ જતા નાના વિમાનોને સૌથી વધારે જોખમ રહેલું છે. આવા ઝડપી પવનો અને નીચેની તરફ થતાં ખેંચાણને પગલે પ્લેનની સ્થિતિસ્થાપકત જતી રહે છે. જેમ જેમ પવન વધારે ભેજવાળા અને ભારે થવા લાગે છે તેમ તેમ ડાઉનબર્સ્ટ વધે છે અને માઈક્રોબર્સ્ટ આ ચક્રવાતને વધુ વ્યાપક બનાવીને વિમાનોને નીચેની તરફ ખેંચે છે અથવા ફંગોળવાનો પ્રયાસ કરે છે. આવી સ્થિતિ જીવલેણ બની શકે છે.