Apple iPhone 11 Pro: એપલ દ્વારા આઇફોન 11 પ્રો અને વોચ સિરીઝ 5ને વિન્ટેજ ડિવાઇસ જાહેર કરી દેવામાં આવ્યો છે. ડિવાઇસ લોન્ચ થયાના પાંચ વર્ષ બાદ એપલ દ્વારા એ ડિવાઇસને વિન્ટેજ જાહેર કરવામાં આવે છે. એને સોફ્ટવેર અપડેટ મળી શકે છે, પરંતુ હાર્ડવેર સપોર્ટ એપલ આપવાનું બંધ કરી દે છે. આ ડિવાઇસ લોન્ચ થયાના સાત વર્ષ બાદ એને ઑબ્સોલેટ જાહેર કરવામાં આવે છે. એટલે કે ત્યાર બાદ એને એપલ દ્વારા રિપેર કરવામાં નથી આવતું અને એના પાર્ટ્સ પણ નથી બનતા.
એપલના વિન્ટેજ લિસ્ટમાં નવી ડિવાઇસનો સમાવેશ
એપલ દ્વારા વિન્ટેજ લિસ્ટમાં આઇફોન 11 પ્રો અને એપલ વોચ સિરીઝ 5નો સમાવેશ કરવામાં આવ્યો છે. એની સાથે 2020 ઇન્ટેલ આધારિત 13 ઇંચ મેકબૂક પ્રો, સેલ્યુલર આઇપેડ એર 3 અને 128 GB સ્ટોરેજ ધરાવતાં આઇફોન 8 પ્લસનો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એનો અર્થ થાય છે કે એપલ દ્વારા તેની પ્રાઇમ ડિવાઇસમાં એનો સમાવેશ નથી થતો.
રિપેર્સ પર શું અસર થશે?
વિન્ટેજ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો એનો અર્થ એ થયો કે જ્યાં સુધી એપલ પાસે એમાં પાર્ટ્સ હાજર હશે ત્યાં સુધી એને રિપેર કરી આપવામાં આવશે. ત્યાર બાદ એપલ ધીમે ધીમે સપ્લાય ઓછું કરી દે છે અને તેમના દ્વારા પાર્ટ્સની કોઇ ગેરંટી આપવામાં નથી આવતી એક વાર આ ફોન વિન્ટેજ લિસ્ટમાં આવી જાય. આથી એપલ આઇફોન 11 પ્રો યુઝર્સ પાસે હવે તેમના મોબાઇલને અપગ્રેડ કરવા માટે ખૂબ જ ઓછો સમય છે. એક સમય બાદ એપલ પાસે આ મોબાઇલ પણ હવે રિપેર કરાવી નહીં શકાશે. ત્યાર બાદ થર્ડ પાર્ટી અથવા તો લોકલ સર્વિસ પ્રોવાઇડર પાસે રિપેર કરાવવું પડશે.
આ પણ વાંચો: AIથી જીવન સરળ બનશે, પણ જોખમ પણ વધશે: 2026માં AI સહાય બનશે કે સંકટ?
ડિવાઇસની લાઇફલાઇનનો અંત
આગામી બે વર્ષની અંદર આઇફોન 11 પ્રો વિન્ટેજમાંથી ઑબ્સોલેટ બની જશે. ત્યાર બાદ આઇફોનમાં કોઈ પણ પ્રોબ્લેમ હશે એપલ દ્વારા એને રિપેર કરવામાં નહીં આવે. એપલ દ્વારા યુઝર્સને મોબાઇલ અપગ્રેડ કરવા માટે ફોર્સ કરવામાં નથી આવી રહ્યું, પરંતુ તેમને કહેવામાં આવી રહ્યું છે કે તેમના આઇફોનની લાઇફલાઇન પૂરી થઈ રહી છે.


