ચીનની અંતરિક્ષ ક્ષેત્રે વધુ એક સિદ્ધિઃ ચંદ્ર પર 1,30,000 કિ.મી. દૂરથી લેસર લાઇટ ફેંકી
China's Great Achievement in the field of Space: અંતરિક્ષ સંશોધન ક્ષેત્રે ચીને એક અભૂતપૂર્વ સિદ્ધિ મેળવી છે. ચીને પૃથ્વી પરથી લેસરનો શેરડો (કિરણ) છોડીને તેને 1,30,000 કિલોમીટર દૂર ચંદ્ર પર મોકલ્યું છે અને એ પણ દિવસના અજવાળામાં, જ્યારે સૂર્યપ્રકાશ આ કામમાં બાધારૂપ બની શકે એમ હોય છે. વિશ્વમાં પ્રથમ એવી આ સિદ્ધિ ચીનની અંતરિક્ષ સંશોધન સંસ્થા ‘ડીપ સ્પેસ એક્સપ્લોરેશન લેબોરેટરી’ (DSEL) દ્વારા મેળવવામાં આવી છે. વર્ષ 2030 સુધીમાં ચંદ્ર પર સમાનવ ઉતરાણ કરવાની ચીનની યોજનામાં આ સફળતા બહુ મોટો ભાગ ભજવશે, એવી આશા સેવાઈ રહી છે.
આ પણ વાંચો: કેનેડાના સમુદ્રમાં દેખાઈ કાળી હિમશીલા, તેના રંગ વિશે સોશિયલ મીડિયામાં જાતભાતની અટકળો
10 કિ.મી. દૂર પડેલા વાળને લક્ષ્ય બનાવવા જેવો પડકાર
ચીનનો ‘ટિઆન્ડુ-1’ ઉપગ્રહ પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના માર્ગના લગભગ એક તૃતિયાંશ અંતરે છે. DSEL એ ધરતી પરથી ટિઆન્ડુ-1 સુધી લેસર પલ્સ છોડ્યા હતા. આ ‘ડેલાઇટ લેસર રેન્જિંગ’ પ્રાપ્ત કરવા માટે ખૂબ બધી ચોકસાઈની જરૂર હતી. ઉદાહરણ લઈને સમજીએ તો, 10 કિલોમીટર દૂર પડેલા એક વાળનું લક્ષ્ય સાધવા જેવો પડકાર હતો! એમાંય પાછો ઉપગ્રહ તો તેજ રફતારે ગતિમાન હોય. તેમ છતાં ચીને આ પડકાર ઝીલીને સફળતા મેળવી છે, જે ભવિષ્યમાં અંતરિક્ષ સંશોધન, અંતરિક્ષ મિશનો અને સ્પેસ ટ્રાવેલની રૂપરેખા બદલી નાંખશે.
અત્યાર સુધી આ ટૅક્નોલૉજી રાત્રિ સુધી જ મર્યાદિત હતી
અંતરિક્ષમાં ભ્રમણ કરતાં હજારો માનવસર્જીત ઉપગ્રહો વિના આધુનિક માનવજીવનની કલ્પના કરવી પણ અશક્ય છે. આ ઉપગ્રહોના પ્રક્ષેપણ અને ભ્રમણકક્ષા નિર્ધારણ વગેરેમાં લેસર-રેન્જિંગ ટૅક્નોલૉજી સેન્ટીમીટર જેટલા અંતરની ચોકસાઈ પ્રદાન કરે છે. અલબત્ત, સૂર્યના અજવાળામાં આ ટૅક્નોલૉજીનો વ્યવસ્થિત ઉપયોગ કરી શકાતો નથી. તેથી અત્યાર સુધી આ ટૅક્નોલૉજી રાત્રિના સમય પૂરતી જ વાપરી શકાતી હતી. પણ હવે ચીનની આ સિદ્ધિને પ્રતાપે એવી મર્યાદા નડશે નહીં.
આ ટૅક્નોલૉજી કેવી રીતે ઉપયોગી સાબિત થશે?
દિવસના અજવાળામાં પણ સફળ સાબિત થયેલી આ ટૅક્નોલૉજીનો અર્થ એ કે પૃથ્વીનું ચક્કર લગાવતા ટિઆન્ડુ-1 સાથે લેસર-સંપર્ક કરીને ચીન હવે ઇચ્છે ત્યારે અંતરિક્ષ ડૅટા મેળવી શકશે. ‘લેસર કોમ્યુનિકેશન’ અથવા ‘ઓપ્ટિકલ કોમ્યુનિકેશન’ તરીકે ઓળખાતી આ ટૅક્નોલૉજીમાં પરંપરાગત રેડિયો ફ્રિક્વન્સી સિસ્ટમ્સની તુલનામાં 10થી 100 ગણી ઝડપે ડેટા કમ્યુનિકેશન થાય છે. ઝડપી લેસર પ્રક્ષેપણને લીધે અંતરિક્ષયાત્રીઓ ધરતી પરના સંશોધન કેન્દ્રો સાથે ઝડપી સંદેશાવ્યવહાર કરી શકશે, તથા તેમનું નેવિગેશન, લેન્ડિંગ, કોઓર્ડિનેશન વધુ કાર્યક્ષમ બનશે. ચંદ્રનો જે હિસ્સો કાયમી રીતે છાયામાં રહે છે ત્યાંના બરફથી સમૃદ્ધ ખાડાઓનું સંશોધન પણ આ ટૅક્નોલૉજીના ઉદયથી સરળ બનશે.