દિવાળી કરવા સરકારી કર્મચારીઓને સરકાર રૂ. 10 હજાર ઉછીના આપશે
- ભાવનગર સહિત રાજ્યના કર્મચારીઓને 10 હજાર ફેસ્ટિવલ એડવાન્સ મળશે
- વગર વ્યાજે રૂ. 10 હજાર 10 માસિક સરખા હપ્તામાં પરત લેવાશે, સામાન્ય લોકોને પણ ફેસ્ટિવલ એડવાન્સ આપવુ જરૂરી

- સરકારી કર્મચારીઓ ખરીદી કરે તો વેપારીઓને સારી ઘરાગી રહે તેવો સરકારનો હેતુ
ભાવનગર, તા.12 નવેમ્બર 2020, ગુરૂવાર
કોરોના મહામારીના પગલે હાલ મંદી અને મોંઘવારીનો માહોલ જોવા મળી રહ્યો છે તેથી બજારમાં દિવાળી પર્વ હોવા છતા ઓછી ઘરાગી જોવા મળી રહી છે. દિવાળી પર્વમાં બજારમાં ખરીદી થાય તો વેપારીઓને સારી ઘરાગી રહે તેવા હેતુથી ભાવનગર સહિત રાજ્યભરના સરકારી અધિકાર-કર્મચારીઓને સરકાર રૂ. ૧૦ હજાર ફેસ્ટિવલ એડવાન્સ આપી રહી છે. આ રૂપીયા સરકાર કર્મચારીઓને ઉછીના આપી રહી છે અને વગર વ્યાજે હપ્તે હપ્તે રૂપીયા પરત લેવામાં આવશે તેમ જાણવા મળેલ છે.
ભાવનગર સહિત રાજ્યભરના સરકારી અધિકારી-કર્મચારીઓને રાજ્ય સરકાર રૂ. ૧૦ હજાર ફેસ્ટિવલ એડવાન્સ આપશે એટલે કે જે સરકારી કર્મચારીઓને જરૂર હોય તેને દિવાળી પર્વ માટે સરકાર ઉછીના પૈસા આપશે તેમ કર્મચારીઓમાં ચર્ચાય રહ્યુ છે. ગુજરાતના મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના પાંચ લાખથી વધુ અધિકારી કર્મચારીઓને દીપાવલી ભેટ રૂપે તહેવાર પેશગી આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના આ કર્મયોગી હિતકારી નિર્ણયને પરિણામે રાજ્ય સરકારમાં સેવારત તમામ અધિકારી કર્મચારીઓને દીપાવલી નૂતનવર્ષ તહેવારોના અવસરે ૧૦ હજાર રૂપિયા ફેસ્ટિવલ એડવાન્સ તરીકે વગર વ્યાજે મળશે.
રાજ્ય સરકારે આ હેતુસર અંદાજે રૂ. પ૦૦ કરોડની નાણાં જોગવાઇ કરી છે. ડિજિટલ ટ્રાન્ઝેકશનને વધુ પ્રોત્સાહિત કરવા આ એડવાન્સની રકમ અધિકારીઓ કર્મચારીઓને રૂપે કાર્ડના સ્વરૂપમાં આપવામાં આવશે. અધિકારીઓ-કર્મચારીઓને મળનારી આ પેશગી રાજ્ય સરકાર દ્વારા વગર વ્યાજે ૧૦ માસિક સરખા હપ્તામાં પરત લેવામાં આવશે. મુખ્યમંત્રીના આ ઉદ્દાત નિર્ણયને પરિણામે દીપાવલીના તહેવારોમાં લોકોને ચીજ વસ્તુઓની ખરીદીમાં સુગમતા રહેશે તેના પરિણામે નાના વ્યાપારીઓના વ્યવસાય રોજગારને વેગ મળશે. પ્રવર્તમાન સ્થિતીમાં દેશ તથા રાજ્યના અર્થતંત્રને પણ નવી ગતિ મળશે. સરકારી કર્મચારીઓને જેમ સરકારે આમ લોકોને પણ ફેસ્ટિવલ એડવાન્સ આપવુ જોઈએ તેમ લોકમુખે ચર્ચાય રહ્યુ છે.

