'એક ભારત શ્રેષ્ઠ ભારત' અંતર્ગત EBSB કલબની સ્થાપના કરાઇ
- એમ.કે. ભાવનગર યુનિવર્સિટીમાં
- મહિનાના ત્રીજા શુક્રવારે કલબ મેમ્બરો દ્વારા કાર્યક્રમનું વિશેષ આયોજન કરાશે
ભાવનગર, તા. 31 જાન્યુઆરી 2020, શુક્રવાર
જેવી રીતે સરદાર વલ્લભભાઇ પટેલ એક ભારત બનાવ્યું તો તેને શ્રેષ્ઠ ભારતના કઇ રીતે બનાવવું ? એના અંતર્ગત એક ભારત શ્રેષ્ઠ ભારતના સ્વપ્નને સિધ્ધિ કરવા ગુજરાત અને છતીસગઢ રાજ્ય વચ્ચે સાંસ્કૃતિક અને વૈચારિક આદાન-પ્રદાન માટે આયોજન ઘડાયું છે. જેના ભાગરૂપે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત કલબની સ્થાપના આજરોજ તા.૩૧ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ કુલપતિ દ્વારા કરવામાં આવી હતી.
ભારત સરકાર અને ગુજરાત સરકારનો આ કલબ બનાવવાનો હેતુ છે તે મુજબ આ ઇ.બી.એસ.બી. કલબની સ્થાપના અંતર્ગત ગુજરાત તેમજ છતીસગઢ રાજ્યની સાંસ્કૃતિક, ઐતિહાસિક, ભૌગોલિક સ્થળો, શિક્ષણ, ભાષા વગેરે વિશે વિદ્યાર્થીઓ વધુમાં વધુ માહિતગાર થાય તેમજ બંને રાજ્યોનો સંયુક્તપણે વિકાસ થાય તેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
આ ઇ.બી.એસ.બી. કલબની સ્થાપનામાં કુલપતિએ પોતાના મંતવ્યો રજૂ કર્યાં જેમાં યુથ ફેસ્ટીવલ, સેમિનાર, સાહિત્ય પ્રદર્શની, છતીસગઢની ઝાંખી કરાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો, બંને રાજ્યના વિદ્યાર્થીઓ એકબીજા સાથેનું જોડાણ તેમજ કોલેજો અને ભવનોનું પણ એકબીજા સાથે જોડાણ અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરવા સુચનો આપ્યા હતાં. આ પ્રસંગે વિદ્યાર્થીઓ પોતે જ ગુજરાતના સાંસ્કૃતિક, પ્રવાસીય તેમજ ઐતિહાસિક બાબતે કલબ એમ્બેસેડર બને તેમના દ્વારા વિદ્યાર્થીઓ પોતાનામાં જ નેતૃત્વ શક્તિ ખીલે તેમજ ગુજરાતનું અને દેશનું ગૌરવ વધે તેવા આ કલબનો ધ્યેય છે.
આ કાર્યક્રમ દર મહિનાના ત્રીજા શુક્રવારે કલબ મેમ્બર ભેગા મળી આયોજન કરશે. આ કાર્યક્રમમાં ક્વીઝ, ચિત્ર, વક્તૃત્વ અને નિબંધ સ્પર્ધા, સાંસ્કૃતિક કાર્યક્રમ, યુથ ફેસ્ટીવલ યોજવામાં આવશે તેમજ પાણી બચાવો, સ્વચ્છ ભારત, સિંગલ યુઝ પ્લાસ્ટીક વિષે પ્રતિજ્ઞાાઓ લેવડાવામાં આવશે તેમજ દરેક કોલેજો અને ભવનોમાં આવશે જેનાથી દરેક વિદ્યાર્થીઓ ગુજરાત અને છતીસગઢ વિશે વધુ ને વધુ માહિતગાર થાય.