ભાવનગર શહેર જિલ્લામાં બંધના પગલે ચુસ્ત બંદોબસ્ત
- CAA કાયદાના વિરોધમાં અપાયું છે ભારત બંધનું એલાન
- બંધ દરમિયાન પોલીસ બેડાના 1400 અધિકારીઓ અને કર્મચારીઓ
- 1000 હોમગાર્ડ બંદોબસ્તમાં જોડાશે: CCTV મારફતે વોંચ રખાશે
- સોશ્યલ મીડિયા પર ચાંપતી નજર રાખતું સાયબર સેલ: કોઇપણ અનિચ્છનીય પ્રવૃત્તિ જણાતા થશે કાર્યવાહી
ભાવનગર, તા. 28 જાન્યુઆરી 2020, મંગળવાર
કેન્દ્ર સરકારના સીએએ અને એનસીઆર કાયદાના વિરોધમાં ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે આવતીકાલે બંધના પગલે ભાવનગર શહેર અને જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલ રહેશે. આ બંદોબસ્તમાં ૧૪૦૦ અધિકારીઓ-કર્મચારીઓ ૧૦૦૦ હોમગાર્ડ સહિતના જોડાશે. જ્યારે બંધના પગલે સાયબર સેલે સોશ્યલ મીડિયા પર ચાંપતી નજર માંડી છે. કોઇ અનિચ્છનિય પ્રવૃત્તિ જણાતા કાયદેસર પોલીસ કાર્યવાહી કરવામાં આવશે.
કેન્દ્ર સરકારના સીએએ અને એનસીઆર કાયદાનો અન્ય રાજ્યોમાં વિરોધ છેલ્લા થોડા સમયથી થઇ રહ્યો છે ત્યારે આવતીકાલે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જે એલાન અનુસંધાને ઇન્ચાર્જ એસ.પી. ઠાકરે જણાવ્યું હતું કે, કોઇપણ ગેરકાયદે પ્રવૃત્તિ કે સોશ્યલ મીડિયામાં ફેલાવાતી અફવાઓ ચલાવી લેવામાં આવશે નહીં. સોશ્યલ મીડિયા પર સાયબર સેલ ચાંપતી નજર રાખી રહ્યું છે. કોઇ અનિચ્છનિય ઘટના જણાશે. તો સખ્ત પગલા લેવામાં આવશે. ભાવનગર શહેરની મુખ્ય બજાર બાગબગીચાઓ સાથે તાલુકા મથકો પર ચુસ્ત બંદોબસ્ત રહેશે.
બંધ દરમિયાન ૧૪૦૦ પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ સાથે ૧૦૦૦ હોમગાર્ડ તેમજ વ્રજ વાહન બંદોબસ્તમાં ફરજ પર રહેશે. તેમજ સીસીટીવી કેમેરા અને પ્રાઇવેટ ફોટો ગ્રાફર મારફતે વોંચ રાખવામાં આવશે. કોઇ વેપારીની દુકાન બળજબરીપૂર્વક બંધ કરાવાનો પ્રયાસ કરાશે. તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. તેમજ કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા પોલીસ સક્ષમ છે. વધુમાં તેઓએ નગરજનોને શાંતિની અપીલ કરી હતી.