દીવમાંથી ઘૂસાડાતો વિદેશી શરાબ, રોજ એકથી 200 બોટલની હેરાફેરી
Updated: Jan 24th, 2023
રોજ રોજ પ૦૦ જેટલા બાઈક સવારો ખેપ મારે છે
બાઈકમાં જુદા જુદા નુસ્ખા કરી ચોરખાના બનાવી પોલીસની આંખમાં ધૂળ નાંખવાના રોજ રોજ પ્રયાસ, ફૂડ ડિલેવરીમેનો સહિતના લોકોની સતત દોડધામ
વેરાવળ : ગુજરાતમાં દારૃબંધી હોવાનો ફાયદો દીવના બાર વાળા લઈ રહ્યા છે. સ્થાનિક દિવમાં વિદેશી શરાબના વેચાણ કરતા દીવથી બહાર અનેક ગણો રોજ વિદેશી શરાબ પગ કરી જાય છે. આ માટે પોલીસના ચેકિંગથી બચીને અનેક ખેપિયાઓ આ ધંધામાં કામે લાગ્યા છે. જે ગુજરાતની હદમાં દારૃ ઘુસાડે છે.
દીવમાંથી ઉના કોડીનાર અને અન્ય મથકોએથી બુટલેગરોએ શરાબ
મંગાવવાની પ્રવૃતિ ચાલુ કરી છે. આ વ્યવસાયમાં ગીર સોમનાથ જિલ્લાના ૫૦૦થી વધુ
બૂટલેગરો સતત સક્રિય બનીને રસ્તા પર નીકળી પડે છે. જે દીવથી સસ્તા ભાવનો શરાબ
મેળવીને ગુજરાતમાં ઘુસાડી દે છે. અહી રોજ એક બોટલથી લઈ ૨૦૦ બોટલ સુધીની હેરાફેરી
કરનારાઓ સતત કાર્યરત રહે છે. પોલીસ અવારનવાર ચેકિંગ અને દરોડા પાડે છે આમ છતાં આ
પ્રવૃતિ બંધ થતી નથી. ગીરસોમનાથ જિલ્લામાં જાણે કે આ વ્યવસાય ગૃહ ઉદ્યોગ બની ગયો
હોય એવી સ્થિતિ છે. શરાબ ઘુસાડવા માટે કારમાં અને બાઈકમાં ચોરખાનાઓ બનાવે છે.
જેનાથી પોલીસને ખબર ન પડે! કેટલાક લોકો
અવારનવાર પકડાય છે અને એ પછી ફરી જૈસે થે થઈ જાય છે.
દીવમાં વિદેશી શરાબની ૧૬૫ દુકાનો છે. સામાન્ય રીતે નિયમ એવો
છે કે કોઈ પણ ગ્રાહક શરાબ ખરીદવા જાય એ વખત એને એક જ બોટલ આપવાની હોય છે અને એ પણ
સીલ ખોલી ઢાકણું ખોલીને આપવાની હોય છે. જેથી અન્યત્ર હેરાફેરી ન થાય અને દીવમાં જ
ઉપયોગ થઈ જાય .જયારે જયારે કોઈ બુટલેગરને ગુજરાત પોલીસ પકડે અને એના કથન મુજબ આ
દારૃ જો દીવથી આવ્યો છે તો એ વેચનારા
બારનું લાયસન્સ રદ થાય પણ આ નિયમનું કોઈ ચૂસ્ત પણે પાલન કરતા નથી.