જામનગરમાં બે, રાજકોટમાં એક સહિત સૌરાષ્ટ્રમાં પાંચ નવા કેસ
- સૌરાષ્ટ્રમાં કોરોનાનાં કેસનો સિલસિલો યથાવત
Updated: Nov 25th, 2021
- રાજકોટમાં ૪ર વર્ષિય મહિલા કોરોના સંક્રમિત, ગીર સોમનાથ અને પોરબંદરમાં વધુ એક કેસ
સરકાર ભલે કોરોના ગયો તેમ માનીને એક પછી એક નિયંત્રણો હટાવી રહી હોય પરંતુ કોરોના હજુ ખતમ થયો નથી સૌરાષ્ટ્રમાં સિંગલ ડિઝીટમાં નવા કેસ આવવાનો સિલસિલો ચાલુ જ રહયો છે. છેલ્લા ર૪ કલાકમાં જામનગર ગ્રામ્યમાં બે , રાજકોટમાં એક સહિત પાંચ નવા કેસ નોંધાયા છે જયારે રાજયમાં કુલ ૩૧ કેસ સામે આવ્યા છે.
રાજકોટ શહેરમાં ટુંકા વિરામ બાદ આજે ફરી એક કેસ નોંધાયો છે. ધાંચીવાડમાં રહેતી ૪ર વર્ષિય મહિલાનો રિપોર્ટ આજે પોઝીટીવ આવ્યો હતો. આજે શહેરમાં બે દર્દીને રજા આપવામાં આવી હતી હાલ આઠ દર્દીઓ સારવાર લઈ રહયા છે. રાજકોટ ગ્રામ્યમાં આજે ૧૬૬૭ લોકોનાં ટેસ્ટ કરવામાં આવ્યા હતા તે તમામ નેગેટીવ આવ્યા હતા. જામનગરમાં કોરોનાએ ફરી માથુ ઉંચકયું છે. જામનગર ગ્રામ્યમાં વધુ બે, ગીર સોમનાથમાં ૧, પોરબંદરમાં એક નવો કેસ બહાર આવ્યો છે. પોરબંદરમાં પણ એક બેંકનાં ત્રણ કર્મચારીઓને કોરોના પોઝીટીવ આવ્યા બાદ શહેરમાં કોરોનાનો ફરી ફફડાટ ઉભો થયો છે.