ભાવનગરમાં ઇ-રીક્ષા શોભાના ગાંઠીયા સમાન
- પ્રતિબંધીત પ્લાસ્ટીકનો થતો બેફામ વપરાશ
- સ્વચ્છતાની વાતો વચ્ચે પણ કેટલાક સ્થળે ગંદકી, સ્વચ્છતા માટે મનપા સાથે નાગરિકોએ પણ જાગૃત થવું જરૂરી
ભાવનગર,15 ડીસેમ્બર 2019 રવિવાર
ભાવનગર શહેરમાં સ્વચ્છતા, પ્રતિબંધીત પ્લાસ્ટીક વગેરે માટે ઇ-રિક્ષા શરૂ કરવામાં આવી છે પરંતુ ઇ-રિક્ષા શોભાના ગાંઠીયા સમાન બની ગઇ છે. સ્વચ્છતા માટે તંત્રએ કડક પગલા લેવા જોઇએ અને લોકોએ પણ જાગૃત થવું જોઇએ.સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ભાવનગર મ્યુનીસીપલ કોર્પોરેશન સાથે સાથે દરેક ભારતીય નાગરિક હોવાના નાતે આપણી પણ ફરજ છે સ્વચ્છતા જાળવવા માટેની. વડાપ્રધાન સ્વચ્છતા ઝુંબેશ અને પ્લાસ્ટીક રહીત ભારત માટે સારા પ્રયાસો હાથ ધર્યાં છે પણ આપણે ભાવનગરની જનતા મૌખિક રીતે ટેકો આપે છે પરંતુ ખરેખર જો જાગૃત થાય તો અનેક સમસ્યાઓ અને બીમારીઓ આપોઆપ દૂર કરી શકાય.
આ અંતર્ગત સ્વચ્છતા સર્વેક્ષણ લીસ્ટ મુજબ આપણું ભાવેણું ૨૦૧૬માં ૩૩માં સ્થાને હતું ત્યાંથી સીધુ જ ૨૦૧૮માં ૧૩૫માં સ્થાને પહોંચી ગયું છે તો શું આ માટે ફક્ત કોર્પોરેશનને જવાબદાર ગણાવી શકાય ખરા ? ભાવનગરની જનતા પણ આમા પુરેપુરી સહભાગી છે જ પણ આ બાબત ગંભીર છે માટે કોર્પોરેશને જ પ્રજાજનોને જાગૃત કરવા માટેના પ્રયાસો કરવા પડશે અને જો સારા પ્રબળ પ્રયાસો હાથ ધરવામાં નહીં આવે તો સ્વચ્છતાના ધોરણે આપણું સ્થાન હજુ નીચું જવા પામશે.
મુખ્યમંત્રીએ આ બાબત માટે અને નાગરિકોમાં જાગૃતિ માટે ઇ-રિક્ષા લગભગ તમામ વોર્ડમાં ચાલુ કરવામાં આવી છે તેમાં કોર્પોરેશનના અધિકારીઓ જે તે સ્થળ પર જઇને સ્વચ્છતા, પ્રતિબંધીત પ્લાસ્ટીકના અન્વયે જરૂરી નોટિસ અને દંડ આપે છે જે ફરી વખત જે તે પ્રવૃત્તિ ભવિષ્યમાં નહીં કરવા બાબત હોય છે પરંતુ આ ઇ-રિક્ષાઓ પણ શોભાના ગાંઠીયા જેવી છે. અમુક પ્લાસ્ટીકનો જથ્થો પકડી તેના પર સીલ લગાવે છે અને ૧૦૦, ૨૦૦, ૩૦૦ રૂપિયાનો દંડ ફટકારી નિકળી જાય અને બીજા દિવસે વેપારી હતા ત્યાં ને ત્યાં.
આવા નાના-મોટા ચેકીંગ ભાવનગરના નાગરિકોના કોઠે પડી ગયા છે. આના માટે કોર્પોરેશને ઘનીષ્ઠ પગલાઓ લેવા જોઇએ. બેફામ થતો પ્લાસ્ટીકનો વપરાશ પણ અટકાવવા કઠોર કાર્યવાહી હાથ ધરવાની સખ્ત જરૂરત છે. બીજુ બધુ ન ગણાવીએ પણ જાહેર સ્થળો જેવા કે વિકટોરીયા પાર્ક, બોરતળાવ, પીલગાર્ડન, ગંગાદેરી વગેરે સ્થળોએ પ્લાસ્ટીકના કચરા, ગંદકી, માવાની પીચકારી ન મારવી જોઇએ. કેમેરા પણ મુકાવવાની જોગવાઇ હોવી જોઇએ અને જો ભવિષ્યની પેઢી માટે કંઇક સારૂ કરવું હોય તો ભાવેણાવાસીઓ અત્યારે વર્તમાનમાં જાગો એ જરૂરી છે અને તો જ 'સ્વચ્છ ભાવનગર-તંદુરસ્ત ભાવેણું' થઇ શકશે. તેમ ભાવનગરના જાગૃત નાગરિકોએ જણાવેલ છે.