જન આંદોલનમાં ભાવનગરના 450 કોંગ્રેસ કાર્યકર ભાગ લેશે
આજે અમદાવાદમાં કોંગ્રેસનુ જન વેદના આંદોલન
ભાવનગર, શુક્રવાર
કોંગ્રેસ પક્ષે પહેલા જિલ્લાકક્ષાએ જન વેદના આંદોલન કાર્યક્રમ કર્યો હતો અને હવે રાજ્યકક્ષાએ જન વેદના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ છે. આવતીકાલે શનિવારે બપોરના સમયેથી અમદાવાદ ખાતે જન વેદના આંદોલન કાર્યક્રમ રાખવામાં આવેલ છે, જેમાં ભાવનગર સહિત રાજ્યભરમાંથી કોંગ્રેસ અગ્રણી-કાર્યકર હાજર રહેશે. જન વેદના કાર્યક્રમમાં લોકહિતમાં જુદા જુદા પ્રશ્ન ઉઠાવી ભાજપ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
કોંગ્રેસ અગ્રણી-કાર્યકર સવારે કારોના કાફલા સાથે અમદાવાદ જવા રવાના થશે; ભાવનગર શહેરમાંથી ૧પ૦ અને જિલ્લામાંથી ૩૦૦ કાર્યકર જશે તેવો કોંગ્રેસનો દાવો
અમદાવાદ શહેરના આરટીઓ સર્કલ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આવતીકાલે શનિવારે બપોરના ૧ કલાકે જન વેદના આંદોલન કાર્યક્રમનુ આયોજન કર્યુ છે, જેમાં ભાવનગર શહેરમાંથી આશરે ૧પ૦ અને જિલ્લામાંથી ૩૦૦ મળી આશરે ૪પ૦ કોંગ્રેસ અગ્રણી-કાર્યકરો જોડાશે તેવો કોંગ્રેસ અગ્રણીઓએ દાવો કર્યો છે.
ભાવનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ અગ્રણી-કાર્યકર મોટરકારના કાફલા સાથે સવારે અમદાવાદ જવા રવાના થશે તેમ કોંગ્રેસના સુત્રોએ જણાવેલ છે. જન વેદના આંદોલનમાં ભાવનગર, બોટાદ, અમરેલી સહિતના જિલ્લામાંથી કોંગ્રેસ અગ્રણી-કાર્યકરો ઉમટી પડશે.
જન વેદના આંદોલનમાં ખેડૂતોની હાલાકી, બેરોજગારી, આર્થિક મંદી, મોંઘવારી, ભ્રષ્ટાચાર, ભાજપ સરકારની પ્રજા વિરોધી નીતિઓ અને શાસનની નિષ્ફળતાઓ સહિતના મુદ્દાઓ ઉઠાવવામાં આવશે. ખેડૂત, યુવાન સહિતના પ્રશ્નો ઉઠાવી કોંગ્રેસ પક્ષ રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકારને ભીંસમાં લેશે.
ભાજપ સરકારના રાજમાં લોકો પરેશાન છે પરંતુ સરકાર દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી તેથી કોંગ્રેસે જિલ્લાકક્ષા બાદ હવે રાજ્યકક્ષાએ જન વેદના આંદોલન કર્યુ છે તેમ કોંગ્રેસ અગ્રણીઓએ જણાવ્યુ હતું. આ કાર્યક્રમ બાદ આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા દિલ્લી ખાતે કાર્યક્રમ રાખવામાં આવેલ છે, જેમાં દેશભરમાંથી કોંગ્રેસ કાર્યકરો ઉમટી પડશે તેમ કોંગ્રેસ સુત્રોએ જણાવેલ છે.