પાણવી-કેરિયા ઢાળ નજીક અકસ્માતમાં આધેડનું મોત
Updated: May 22nd, 2024
લુણધરાના આધેડ બરવાળા પેસેન્જર ભરવા જઈ રહ્યા હતા
પીકઅપ વાહનચાલકે રિક્ષા સાથે ધડકાભેર અકસ્માત સર્જ્યો, શખ્સ ફરાર
ભાવનગર: વલ્લભીપુર તાલુકાના પાણવી-કેરિયા ઢાળ રોડ પર વહેલી સવારે પીકઅપ અને રિક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં લુધણરાના આધેડનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું.
બનાવની મળતી વિગત મુજબ વલ્લભીપુર તાલુકાના લુધણરા ગામે રહેતા માવજીભાઈ પ્રેમજીભાઈ ઝાલા (ઉ.વ.૫૦) આજે મંગળવારે વહેલી સવારે પોતાની પેસેન્જર રિક્ષા નં.જીજે.૦૪.એટી.૫૦૮૨ લઈ લુધણરાથી બરવાળા ખાતે પેસેન્જર ભરવા માટે જઈ રહ્યા હતા. દરમિયાનમાં વહેલી સવારના ૫-૩૦ કલાકના અરસામાં પાણવીથી કેરિયા ઢાળ વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે કાળ બનીને આવી રહેલ ટાટા કંપનીનું લોડિંગ પીકઅપ વાહન નં.જીજે.૩૩.ટી.૩૬૦૫ના ચાલકે રિક્ષા સાથે ધડાકાભેર અકસ્માત સર્જતા માવજીભાઈ ઝાલાને ગંભીર ઈજા થવાથી તેમનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. બનાવની જાણ થતાં વલ્લભીપુર પોલીસે સ્થળ પર દોડી જઈ જરૂરી કાગળો કરી મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે વલ્લભીપુર સરકારી હોસ્પિટલ ખસેડયો હતો.
ઘટના સંદર્ભે મૃતકના કુટુંબી ભત્રીજા હિતેષભાઈ નારણભાઈ ઝાલા (ઉ.વ.૩૭)એ અકસ્માત સર્જી વાહન સ્થળ પર જ મુકી નાસી છુટનાર શખ્સ સામે વલ્લભીપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.