''અંગગ્રહ'' અને તેનાં સરળ ઉપાયો : .
- આરોગ્ય સંજીવની- જ્હાનવીબેન ભટ્ટ
રોજબરોજનાં જીવનમાં આપણે ઘણીવાર જોઈએ છીએ કે, વ્યક્તિનું કોઈ પણ અંગ કોઈપણ કારણોસર જકડાઈ જાય છે. સામાન્ય રીતે ઘરકામ કરતી સ્ત્રીઓ, કોમ્પ્યૂટર ઉપર લાંબા સમય સુધી બેસી રહેતી વ્યક્તિઓ, સતત ઉભા-ઉભા કામ કરતી ગૃહીણીઓ વગેરેને આ ફરિયાદ મોટાભાગે રહેતી હોય છે. શરીરનું કોઈ એક અંગ જકડાઈ જાય ત્યારે શરીરનું હલન-ચલન પણ મુશ્કેલ બની જાય છે. જકડાઈ ગયેલાં અંગને જકડાહટથી મુક્ત કરવું પણ ઘણીવાર કઠિન બની જાય છે. અહીંયા હું આયુર્વેદનાં કેટલાંક સરળ અને ઘરગથ્થુ ઉપચારો બતાવી રહી છું, જેનાથી શરીરનાં કોઈ પણ અંગને સરળતાથી જકડાહટથી મુક્ત કરી શકાય છે. જેના માટે નીચેનામાંથી અનુકૂળ કોઈપણ પ્રયોગ કરી શકાય જેમાં :
(૧) જે કોઈ અંગ જકડાઈ ગયું હોય તેને જકડાહટથી મુક્ત કરવા માટે રાઈને પાણીની સાથે પથ્થર પર પીસીને તેનું મલમ જેવું મિશ્રણ બનાવી લેવું અને તેને જકડાઈ ગયેલાં અંગ ઉપર લગાવવું. જેનાથી તુરંત આરામ મળશે.
(૨) જો ડોકની જકડાહટ થઈ ગઈ હોય અને સાથે-સાથે અન્ય સાંધાઓ પણ પકડાઈ ગયા હોય તો સરસીયાનાં તેલમાં કર્પૂરને નાખી તેમાં થોડું મીઠું નાંખી તે તેલને સુખોષ્ણ કરી લેવું અને ત્યારબાદ તેનાથી માલિશ કરવી જેથી ઉપરોક્ત તકલીફમાં ખૂબ રાહત મળશે.
(૩) શરીરના જકડાઈ ગયેલાં તમામ અંગો માટે તથા સાંધાનાં કે હાડકાનાં દુ:ખાવા માટે એક સચોટ ઉપાય બતાવું છું. જેમાં ધતુરાના પાનનો રસ ૮૦૦ ગ્રામ લેવો, અને સરસીયાનું તેલ ૧૫૦ ગ્રામ લેવું અને તેમાં ૧૦ ગ્રામ હળદર મેળવી ધીમા તાપે ઉકાળવું. બધો ધતુર રસ બળી જાય ત્યારે આ તેલને ઠંડુ કરી ગાળી લેવું આ તેલની માલિશથી તમામ પ્રકારના અંગગ્રહમાં ફાયદો થાય છે.
(૪) શરીરનું જકડાઈ જવું, કમરનું પકડાઈ જવું, નાના-મોટા સાંધાઓમાં દુ:ખાવો થવો વગેરે તમામ ફરિયાદોમાં તલનાં તેલમાં સૂંઠ અને હિંગ નાખી સહેજ ગરમ કરી તેની માલિશ કરવી.
(૫) ઘણીવાર બહેનોને પગની એડીનો ભાગ ખૂબ દુ:ખતો હોય તેવાં ઘણાં કેસ મેં જોયા છે. એડીના દુ:ખાવા ઉપર ખૂબ જ સરળ અને અનુભૂત પ્રયોગ બતાવું છું. આકડાના દૂધમાં રૂ પલાળી દુ:ખતા એડીનાં ભાગ ઉપર તે પલાળેલું રૂ રાખી દઈ ઉપર પાટો બાંધી દેવો. આ પ્રયોગ સતત ૧૫ દિવસ સુધી કરવો. એડીનાં દુ:ખાવો, નસ પકડાઈ ગયેલ હોય કે સાંધા દુ:ખતા હોય તે માટે પણ આ સારો પ્રયોગ છે. પરંતુ આકડાંનું દૂધ માત્ર બાહ્ય પ્રયોગાર્થે જ વપરાય તેની ખાસ સાવધાની રાખવી આ પ્રયોગ કર્યા બાદ હાથ બરાબર ધોઈ નાંખવા.
(૬) અંગગ્રહ ખૂબ થઈ ગયો હોય તો પકડાઈ ગયેલ જકડાહટ છૂટી કરવાં એક સરળ ઘરગથ્થુ પ્રયોગ બતાવું છું, જેમાં બે નંગ નાળિયેર લેવાં તેમાંથી ટોપરું કાઢી તેનાં ટુકડાં કરવાં પછી તે ટુકડાંને ખાંડી નાખવાં. ખાંડેલાં આ કોપરાને વાસણમાં લઈ ધીમા તાપે ગરમ કરવું. ગરમ થતાં તેમાંથી તેલ છૂટું પડશે. પછી તે તેલ ગાળી લઈ બીજા વાસણમાં લઈ લેવું. પછી આ તેલમાં ૩ નંગ લસણની કળી વાટીને નાંખવી અને સાથે સાથે મરીનું ચૂર્ણ ૪ ગ્રામ જેટલું લઈ તેમાં મેળવવું અને ત્યારબાદ બધું હલાવી એક રસ કરી આ તેલથી જકડાઈ ગયેલાં શરીરનાં અંગ ઉપર માલિશ કરવી ત્યારબાદ રેતીને ગરમ કરી તેની પોટલી બનાવી તેનાથી જકડાઈ ગયેલાં જે તે ભાગ ઉપર શેક કરવો. સવાર-સાંજ આ પ્રમાણે કરવાથી જકડાઈ ગયેલાં અંગ શીઘ્ર જ જકડાહટથી મુક્ત થાય છે.
(૭) શરીરમાં આમ અને વાયુ ખૂબ હોય અને સાથે સાથે સાંધાનાં 'વા'નાં કારણે પણ ખૂબ દુ:ખાવો રહેતો હોય તેવા દર્દીઓ માટે એક સરળ ઉપાય સૂચવું છું. રાત્રે ૧ તોલો મેથી ૧ કપ પાણીમાં પલાળવી. સવારે તેમાં ૨ થી ૩ ગ્રામ સૂંઠ અને ૧૦ ગ્રામ જેટલો ગોળ તેને ઉકાળવી. મેથી બરાબર બફાઈ જાય પછી ઉતારી ગાળી લેવું, અને આ ઉકાળો સુખોષ્ણ (સહી શકાય તેટલો ગરમ) હોય ત્યારે જ તેનો ઉકાળો પી લેવો. જેનાથી શરીરનો આમ ઝાડા વાટે નીકળી જશે અને પકડાયેલ અંગ છૂટી જશે. સાંધાનો વા પણ આનાથી મટે છે.
ઉપરોક્ત પ્રયોગોમાંથી જે પ્રયોગ સરળ અને માફક આવે તે કરવાથી અંગગ્રહ જકડાહટમાં ખૂબ જ ફાયદો જણાશે.
ઘણીવાર ખાંડ કે સાંકર વધારે પડતી ખાવાથી શરીરનાં સાંધાઓમાં કળતર થાય છે. તે જ રીતે ડાયાબિટીસનાં દર્દીઓને પણ શરીરનો દુ:ખાવો, પગની પીંડિઓમાં કળતર વગેરે થતું હોય છે. આ દુ:ખાવો મટાડવા કેટલાંક ખૂબ સહેલા ઉપાયો સૂચવું છું. જેમાં :
*ગંઠોડા (પીપરીમૂળ)નું ચૂર્ણ ૧ ચમચી અને મીઠું ૧ ચમચી મીક્સ કરી રાત્રે સૂતી વખતે પાણી સાથે લેવું.
*૧ તોલા જેટલી મેથી, ૫ ગ્રામ સૂંઠ સાથે ૧ ગ્લાસ પાણીમાં ઉકાળવી. ૧/૪ ભાગ પાણી બાકી રહે ત્યારે ગાળી તે પી જવું. ડાયાબિટીસ ન હોય તો થોડોક ગોળ નાંખી શકાય આ કવાથ રાત્રે અથવા વહેલી સવારે પીવાથી શરીરનું કળતર, અને સાંધાનાં દુ:ખાવા મટે છે. કબજીયાત રહેતી હોય તો તેમાં ૧ ચમચી દિવેલ મેળવીને પીવું.
જે બહેનોને કમરનો દુ:ખાવો ખૂબ રહેતો હોય તેમણે અશ્વગંધા અને શતાવરીનું ચૂર્ણ સમભાગ (૧ તોલા) જેટલું લેવું. ત્યારબાદ ૧૨૦૦ ગ્રામ દૂધને ૨૦૦ ગ્રામ પાણીમાં મીક્સ કરી ઉપરોક્ત ચૂર્ણ તેમાં નાંખી ધીમા તાપે ઉકાળવું. પાણી બળી જાય ત્યારે ઉતારી ઠંડુ કરી આ ક્ષીરપાક પીવો. જરૂર પ્રમાણે સાંકર મેળવી શકાય છે.
ઉપરોક્ત પ્રયોગો ખૂબ સરળ હોવા છતાં અંગગ્રહ અને શરીરની કળતર ઉપર ખૂબ જ ફાયદાકારક પરિણામ આપે છે.