તલોદમાં રોડની બંને બાજુ ફૂટપાથ બનાવવાની કામગીરી સામે વેપારીઓનું આવેદન
- ફૂટપાથની કામગીરી અટકાવવાની માંગણી
- સામાન્ય વરસાદમાં ફૂટપાથના ખાડામાં પાણી ભરાયા વેપારી પ્રતિનિધિ મંડળે પાલિકાને રજૂઆત કરી
તલોદ, તા. 30 જૂન, 2020,
મંગળવાર
ફૂટપાથના બજારમાં નગરપાલિકા
દ્વારા મુખ્ય રોડની બંને બાજુ નવા રોડ બનાવવાની અને નવા રોડના છેડે ફૂટપાથ બનાવવાની
હાથ ધરાયેલ નિર્માણ કાર્યવાહીથી તલોદના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
આ જરૂર વિનાના નિર્માણ કાર્યને
અટકાવી દેવા તલોદ સ્ટેશન વેપારી મહાજને એક આવેદનપત્ર પણ અરજીના રૂપમાં તંત્રને આપ્યું
છે. તલોદ બજારમાં કેટલાક વર્ષો પહેલા લાખોના ખર્ચે ફૂટપાથ રોડની બંને બાજુએ બનાવવામાં
આવી હતી. જેના ઉપરથી રાહદારીઓને ચાલવાનો લાભ મળ્યો જ નથી. ફૂટપાથ ઉપર ગે.કા. દબાણોવાળાઓએ
કબજો જમાવી દેતાં અને દુરૂઉપયોગ થતાં લાખોના ખર્ચે બનેલી ફૂટપાથનું અસ્તિત્વ રહ્યું
જ નથી.
ન.પા. એ કરેલ ઠરાવ અનુસાર
તલોદ બજારના અંબાજી માતાજીના ચોકથી ટાવર વિસ્તાર સુધીના મુખ્ય માર્ગની બંને બાજુએ ૨-૨
મીટરના રોડ (આર.સી.સી.)નું નિર્માણ અને તે નવા રોડની સાઇડથી દુકાનો સુધી બ્લોક નાંખી
ત્યાં એક ફૂટપાથનું નિર્માણ પણ કરી દેવાનું ઠરાવેલ છે. આ કામની જાણકારી વેપારી એસો.ના
સદસ્યોને ત્યારે જ થઇ, જ્યારે બજારમાં
નવા ફૂટપાથ માટે જે.સી.બી. મશીનને કામે લગાડી દેવામાં આવ્યું.. ! વેપારી મહાજનના પ્રમુખ
અનિલભાઈ ગાંધીની આગેવાનીમાં વેપારીનું એક પ્રતિનિધિ મંડળ તલોદ ન.પા.ના પ્રમુખ અને ચીફ
ઓફિસરને મળ્યું હતું. અને જણાવેલ કે, 'નગરના વિકાસમાં વેપારીઓને
પુરતો રસ છે. પરંતુ, બજારના દબાણો હટાવ્યા વિના રોડ અને ફૂટપાથનું
નિર્માણ કરવું તે નાણાંના બગાડ સિવાય કંઇ નથી.
દરેક કેબીને-ગલ્લે અને દબાણે-દબાણે કટીંગ કરવું જ
પડે અને ગલ્લાની પાછળ રોડ કે ફૂટપાથ થાય તે અસંભવ અને અન્યાયી બાબત છે. તલોદ બજારમાં
ગે.કા. દબાણ કરનારાઓને આથી પોષણ અને પ્લેટફોર્મ મળશે ? તેવી દહેશત વેપારી આલમમાં ઉદભવી છે. ન.પા. કોઇપણ
સંજોગોમાં આ રોડ-ફૂટપાથનું બાંધકામ નાજ કરે અને તેને અટકાવી દઈ જયાં જયાં ખોદકામ કરેલ
છે ત્યાં ત્યાં પુરાણ કરી દે તેવી વેપારી મહાજનની માંગ છે. અહીં વેપારીઓને અન્યાય તતો હોવાનું લાગતા તેઓએ ન્યાય
મેળવવા ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને તથા મામલતદાર અગરસિંહ ચૌહાણને પણ રૂબરૂ મળીને
દાદ માંગતી અરજી કરી છે.
વેપારીઓનું પ્રતિનિધિ મંડળ
પાલિકા પ્રમુખને મળ્યું હતું. બાદ તત્કાળ બજારમાં જે.સી.બી. દ્વારા ખોદકામ કરાવીને
વ્યકિતગત ટારગેટ કરવામાં આવતા હોવાની પણ રાવ ઊઠવા પામી છે. જેઓની દુકાનો-રહેઠાણો આગળ
મોટા ખાડા કરી નાંખ્યા છે. તે ખાડામાં આજે સવારે પડેલા વરસાદના પાણી ભરાઈ ગયા હતા.
જે થકી ભારે નુકશાન વેઠવું પડયું છે.