સાબરકાંઠામાં સપ્તાહમાં ખનીજ વિભાગે રૂ.1.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો
- રેકી કરતાં શખ્સો સામે પણ ફોજદારી કાર્યવાહી થશે
- એક જેસીબી, 10 વાહનો પકડયા : 11 લાખના દંડની વસૂલાત માટે કાર્યવાહી
અમદાવાદ, તા. 10 જુલાઈ,
2020, શુક્રવાર
સાબરકાંઠા જિલ્લામાં એક સપ્તાહમાં
ખાણ-ખનીજ વિભાગે ગેરકાયદે ખનન વહન કરતાં વાહનો સહિત રૂપિયા ૧.૫૦ કરોડનો મુદ્દામાલ જપ્ત
કર્યો છે અને રૂપિયા ૧૧ લાખનો દંડની વસૂલાત માટે કાર્યવાહી હાથ ધરી છે. એટલું જ નહિં અધિકારીઓની રેકી કરતાં લોકો સામે પણ
ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. સાબરકાંઠાના ભૂસ્તરશાસ્ત્રી સુભાષ જોષીના માર્ગદર્શન
હેઠળ છેલ્લા એક અઠવાડિયામાં ખનીજ વિભાગની જુદી જુદી ટીમોએ ગેરકાયદે ખનીજ વહન કરતાં
એક જેસીબી અને ૧૧ વાહનો પકડી પાડયા હતાં.
જેમાં હિંમતનગર બાયપાસ
દેરોલ રોડ ખાતેથી રેતીનું વહન કરતાં ત્રણ ડમ્પર, માટીનું વહન કરતાં બે ડમ્પર, વડાલીથી એક
ટ્રેકટર તેમજ ખેડબ્રહ્માના ખેરોજમાં એક માટીનું વહન કરતાં એક જેસેબી, ચાર ટ્રેકટર ઝડપી પાડવામાં આવ્યા હતાં. આ ઉપરાંત ગેરકાયદે ખનીજ ચોરીમાં
સંડોવાયેલા શખ્સો તેમજ તંત્રના અધિકારીઓની રેકી કરતાં લોકોની સામે કડક કાર્યવાહી
કરવામાં આવશે.