વડાલીમાં સોમવારથી બજારો બપોરે બે વાગ્યાથી બંધ રહેશે
- કોરોનાનું સંક્રમણ વધતા નિર્ણય
- 31મી સુધી અમલ કરાશે : પાલિકાએ વેપારી એસોસિએશનની સાથે બેઠક કરી નિર્ણય લીધો
વડાલી, તા. 11 જુલાઈ, 2020,
શનિવાર
વડાલીમાં કોરોનાનું
સંક્રમણ વધતાં તંત્ર દોડતું થયું છે. આગામી તા. ૧૩મીથી બજારો બપોરના બે વાગ્યાથી
બંધ કરવાનો નિર્ણય કરાયો છે. આ નિર્ણયનો તા. ૩૧મી સુધી અમલ કરવામાં આવશે.
આજ બપોરના વડાલી નગર
પાલિકા પ્રમુખ ઇશ્વરભાઈ સગરની ઉપસ્થિતિમાં વડાલી નગરના તમામ વેપારીઓના એસોસિયેશનના
આગેવાનો સાથે પાલીકા હોલ ખાતે મિટિંગ મળી હતી હાલ કોરોનાનું સંક્રમણ વધારે જોવા
મળી રહેલ છે નગર પાલિકા વિસ્તારમાં પાંચ જેટલા કેસો પોઝિટિવ આવેલા છે જે પૈકી એક
વ્યક્તિનું મોત થયું છે. જેથી કોરોનાનું સંક્રમણ ઓછું થાય તે આશયથી સોમવારથી
વડાલીના તમામ દુકાનો સવાર આઠથી બપોરના બે વાગ્યા સુધી ૩૧-૭-૨૦૨૦ સુધી ચાલુ રાખવાનો
નિર્ણય આજની બેઠકમાં સર્વાનુમતે કરવામાં આવ્યો છે. શહેરમાં ૬૦ જેટલા વેપારીઓ
મિટિંગમાં ઉપસ્થિતિ રહ્યા હતાં. નોંધનીય છે કે સાબરકાંઠામાં કોરોના બેકાબૂ બન્યો
છે જેને લઈ તાજેતરમાં હિંમતનગર, ઈડરમાં
પણ દુકાનો બપોરના બે વાગ્યા સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.