જારૃષા માયનોર એક કેનાલમાં ગાબડુ પડતા જીરાના વાવેતરમાં પાણી ફરી વળ્યું
- સાંતલપુર તાલુકાની નર્મદા કેનાલોનું નબળી કામગીરીના પગલે
- અતિવૃષ્ટી અને કમોસમી વરસાદથી નુકસાન ભોગવી રહેલા ખેડૂતોને નર્મદાની કેનાલો રડાવી રહી છે
રાધનપુર,
તા. 2 સપ્ટેમ્બર 2019, સોમવાર
સાંતલપુર તાલુકાના ઝેકડા ગામ પાસેથી પસાર થતી જારુષા માયનોર
કેનાલમાં ૧૦ ફૂટનું ગાબડુ પડયું હતું. કેનાલમાં પાણી વધુ પડતુ છોડવાને કારણે ગાબડુ
પડતા કેનાલ નજીક આવેલ ખેતરમાં બે ફુટ જેટલું પાણી ભરાતા ખેતરમાં કરેલ જીરાનુ વાવેતરને
મોટુ નુકશાન થવા પામ્યું હતું. કેનાલનું પાણી ખેતરમાં જતુ રોકવા ખેડૂતો જાતે પાવડા
અને દોડીયા ઉપાડયા હતા.
સાંતલપુર તાલુકાના ઝેકડા ગામ નજીકથી પસાર થતી જારુષા માયનોર
એક કેનાલમાં પાણી વધુ પડતુ છોડવામાં આવતા કેનાલ ઉપરથી પાણી પસાર થતા કેનાલની માટી ધોવાઈ
દસેક ફુટનું ગાબડુ પડયું હતું. માયનોર કેનાલમાં પડેલ ગાબડાને કારણે ચૌધરી રમેશભાઈ દેવરાજભાઈના
ખેતરમાં બે ફુટ જેટલું પાણી ભરાયું હતું. કેનાલમાં પડેલ ગાબડાને કારણે ખેતરમાં પાણી
આવવાથી ખેતરમાં વાવેતર કરેલ જીરાના પાકને મોટાપાયે નુકશાન થયું હોવાનું ખેડૂતે જણાવ્યું
હતું. જ્યારે કેનાલના અંદરના ભાગે પણ માટી
અને ઘાસચારો ઉગવાને કારણે પાણી કેનાલની બહાર નીકળી જતું હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું.
જ્યારે ઝેકડા ગામના ખેડૂત મઘાભાઈએ જણાવ્યું હતું કે ત્રણેક દિવસ અગાઉ આજ કેનાલ આગળથી
તુટી હતી. પરંતુ નિગમના અધિકારી દ્વારા અમારી આગળથી તુટી હતી. જે બાબતે નર્મદાના ઈજનેરને
જાણ કરવામાં આવી હતી. પરંતુ નિગમના અધિકારી દ્વારા અમારી વાત સાંભળવામાં આવી ના હતી અને અમારે જાતે કેનાલ
ઉપર માટીની થેલીઓ નાંખીને કેનાલમાં પડેલ ગાબડુ બંધ કરવું પડયું હતું. જ્યારે તમામ ગેટ પર ગેટમેનો રાખેલા હોવાછતાં કેવી
રીતે ખેડૂતો દરવાજા ખોલશે કે તેવું પુછતા ઈજનેરે ગલ્લા તલ્લા કર્યા હતા. પોતાનો ભ્રષ્ટાચાર
છુપાવવા નિગમના અધિકારી અને કર્મચારીઓ ખેડૂતો પર દોષનો ટોપલો ઢોળવાની કોશીશ કરતા હોવાનું
જણાઈ આવતું હતું.
રાધનપુર-સાંતલપુરમાં ચોમાસામાં થયેલ અતિવૃષ્ટી અને કમોસમી
વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડયો હતો. જ્યારે રવી સીઝન માટે
આ વિસ્તારના ખેડૂતો નર્મદા કેનાલોમાં પાણી આવશે અને સીઝન સારી લઈસું તેવા સપના
સેવતા આ વિસ્તારના ખેડૂતોને કેનાલો તુટવાને કારણે ખેડૂતોના સપના રોળાઈ રહ્યા છે.
ત્યારે સરકાર દ્વારા કેનાલોની કામગીરીની ગુણવત્તાની તપાસ કરાવવામાં આવે અને નિગમના
ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલાં ભરાય તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી.