'બેહોશીમાંથી હોશમાં આવતા મને બ્રહ્માંડનું રહસ્ય સમજાઈ ગયું!'
ભારતીય મૂળના બ્રિટિશ મનોચિકિત્સકનો દાવો
જીવન સતત બદલાતું રહે છે, પરંતુ એને ચલાવનારી ઉર્જા એક સમાન સ્થિતિમાં રહે છે : મનોવિજ્ઞાાનીની થિયરી
Updated: Jul 2nd, 2022
ભારતીય મૂળના બ્રિટિશ મનોવિજ્ઞાાની ડૉ. સ્વરણ સિંહનો લેખ જર્નલ ઓફ નર્વસ એન્ડ મેન્ટલ ડિસીઝમાં પ્રસિદ્ધ થયો છે. અહેવાલમાં આ મનોવિજ્ઞાાનીએ દાવો કર્યો છે કે બેહોશીમાંથી હોશમાં આવતા સુધીમાં તેને બ્રહ્માંડના બધા જ રહસ્યો સમજાઈ ગયા હતા.
પ્રો. ડૉ. સ્વરણ સિંહના દાવા પ્રમાણે ૧૯૮૪માં તેને એક માર્ગ અકસ્માત નડયો હતો. એ વખતે સર્જરી કરવામાં આવી હતી. તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. એ બેહોશીમાંથી હોશમાં આવી રહ્યા હતા ત્યારે તેને આખા બ્રહ્માંડનું રહસ્ય સમજાઈ ગયું હતું. ભારતીય મનોવિજ્ઞાાનીએ કહ્યું હતું કે મને ખ્યાલ નથી આવું કેમ થયું હશે, પરંતુ એવી અનુભૂતિ થઈ હતી. તેની કોઈ થિયરી સમજાવી શકાય તેમ ન હતી. એ અંગે વર્ષોના વિચાર અને સંશોધન બાદ આ મનોવિજ્ઞાાનીનું જર્નલમાં પેપર પ્રસિદ્ધ થયું છે.
અહેવાલ પ્રમાણે સ્પેસ, ટાઈમ, એનર્જી, મેટર અને લાઈફ આ તમામ બાબતોની સમજણ તેને મળી હતી. બ્રહ્માંડની તેની સમજ પ્રમાણે જીવન સતત બદલાતું રહે છે, પરંતુ બ્રહ્માંડને ચલાવનારની ઉર્જા એકસમાન રહે છે. એ ઉર્જા બદલાતી નથી. આ મનોવિજ્ઞાાનીએ મગજના વિવિધ ભાગો - ઈન્સુલા, પ્રીમોટર કોર્ટેક્સ અને ઈન્ફિરિયર પેરિએયલના કારણે આવા અનુભવો થઈ શકતા હોવાનું જણાવ્યું હતું અને ધ્યાનથી આ ભાગો ઘણી વખત સક્રિય થતાં હોવાનું પણ ઉમેર્યું હતું. આ ભારતીય મૂળના મનોવિજ્ઞાાનીએ તારણ રજૂ કર્યું હતું કે તેને અપાતી દવાઓના કારણે તેના મસ્તિષ્કમાં ફેરફાર થયો હતો અને તેના કારણે આ અનુભૂતિ હોવાની શક્યતા છે.