Updated: Jun 10th, 2022
- વાંકદેખાઓને લાગે છે કે ચૂંટણી આવી એટલે મોદી દેખાય છે પરંતુ અમારે મન ચૂંટણી મહત્વની નથી, લોકોની સેવા મહત્વની છે: વડાપ્રધાન
ગાંધીનગર,તા. 10 જુન 2022,શુક્રવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવસારીમાં આદિવાસીઓની જંગી સભામાં ઉપસ્થિત રહી કહ્યું હતું કે પાછલા બે દશક ઉપરાંતના શાસનમાં માત્ર એક સપ્તાહ એવું શોધી બતાવો કે જેમાં વિકાસનું કોઇ કામ થયું ન હોય. તેમણે ખૂડવેલ ગામેથી ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત 3050 કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમૂર્હત સંપન્ન કર્યા હતા.
નવસારીની સભામાં જનમેદની જોઇને મોદીએ કહ્યું હતું કે મારા મુખ્યમંત્રીના સમયગાળા દરમ્યાન મેં આદિવાસી વિસ્તારમાં આટલી મોટી જનમેદની ક્યારેય જોઇ નથી. મને ગર્વ થાય છે. આજે અહીંયા પાંચ લાખ લોકો એકત્ર થયાં છે તેનું મને ગર્વ છે.
વડાપ્રધાનની હાજરીમાં અસ્ટોલ જુથ પાણી પુરવઠા યોજના સહિત પાણી પુરવઠા યોજનાના 2259.82 કરોડના કામોના લોકાર્પણ-ખાતમૂહૂર્ત-ભૂમિપૂજન તેમજ નવસારી ખાતે 542.50 કરોડના ખર્ચે નિર્માણ થનારી નવી મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ખાતમૂહર્તની ભેટ સહિત માર્ગ-મકાન વિભાગ, ઊર્જા વિભાગ અને શહેરી વિકાસ વિભાગના જનહિત વિકાસ કામોની પણ ભેટ પણ ગુજરાતને મળી છે.
મોદીએ કહ્યું હતું કે ગુજરાતનું ગૌરવ પાછલા બે દશકમાં સૌના સાથ, સૌના વિકાસના પરિણામે ઉભી થયેલી નવી આકાંક્ષા-અપેક્ષાઓથી વધ્યું છે અને તેનો શ્રેય મુખ્યમંત્રીને જાય છે. આજે આદિવાસી વિસ્તારોમાં ત્રણ હજાર કરોડ કરતાં વધુના કામોનું ઉદ્દઘાટન થયું છે. આપણે ત્યાં કામ કરો એટલે કેટલાક લોકો ચાલુ પડી જાય છે અને કહે છે કે જોયું ચૂંટણી આવી એટલે કામ થાય છે. મનેસરકારમાં 22 વર્ષ થયાં છે. કેટલાક વાંકદેખાઓને એવું લાગે છે કે ચૂંટણી આવી છે એટલે સરકાર કામ કરે છે. એસ્ટ્રોલ પાણી પુરવઠા યોજના હું 2018માં લઇને આવ્યો હતો. આજે મને ગર્વ છે કે આ પ્રોજેક્ટ પૂર્ણ થયો છે.
વડાપ્રધાને કહ્યું કે જો ચૂંટણી જીતવા કંઇ કરવાનું હોય તો 200 વોટ માટે આવી મગજમારી કોઇ ન કરે. અમે 200 માળ ઉપર સુધી પાણી પહોંચાડવાના છીએ અને તે પણ આટલી ઓછી સંખ્યા માટે આ કામ થયું છે. અમે ચૂંટણી જીતવા માટે આવતા નથી પણ લોકોની સેવા કરવા આવીએ છીએ. ચૂંટણી તો લોકો જીતાડતા હોય છે અને બેસતા હોઇએ છીએ.