India

ઝુબિન ગર્ગના હત્યારા કોણ? સિંગાપોરથી લઈને આસામ સુધી તપાસમાં શું જાણવા મળ્યું?

By GS TEAM
25 Nov 20255 mins read
TukuTouch Logo
આસામના પ્રખ્યાત ગાયક ઝુબિન ગર્ગનું મોત શરૂઆતથી જ ખૂબ જ રહસ્યમય રહ્યું છે. શરૂઆતી દાવો હતો કે, કે તેઓ સ્વિમિંગ દરમિયાન ડૂબી ગયા. પરંતુ, પરિવાર અને સમર્થકોએ આ દાવો માનવાનો ઇનકાર કરી દીધો. વધતા સવાલો અને વિરોધ બાદ આસામ સરકારે SIT (વિશેષ તપાસ સમિતિ)ની રચના કરી. હવે SITએ પોતાના રિપોર્ટમાં એ માની લીધું કે, ઝુબિનનું મોન અકસ્માત નહીં પરંતુ હત્યા હતી, જેણે દેશભરમાં લોકોને ચોંકાવી દીધા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઝુબિન ગર્ગના હત્યારા કોણ? સિંગાપોરથી લઈને આસામ સુધી તપાસમાં શું જાણવા મળ્યું?

Image: IANS



Zubeen Garg Case: આસામના પ્રખ્યાત ગાયક ઝુબિન ગર્ગનું મોત શરુઆતથી જ ખૂબ જ રહસ્યમય રહ્યું છે. શરુઆતથી દાવો હતો કે, કે તેઓ સ્વિમિંગ દરમિયાન ડૂબી ગયા. પરંતુ, પરિવાર અને સમર્થકોએ આ દાવો માનવાનો ઇન્કાર કરી દીધો. વધતાં સવાલો અને વિરોધ બાદ આસામ સરકારે SIT(વિશેષ તપાસ ટીમ)ની રચના કરી. હવે SITએ પોતાના રિપોર્ટમાં એ માની લીધું કે, ઝુબિનનું મોત અકસ્માત નહીં પરંતુ હત્યા હતી, જેણે દેશભરમાં લોકોને ચોંકાવી દીધા છે. 

હિમંત સરમાનું નિવેદન

આસામ વિધાનસભામાં મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ ખુલાસો કર્યો કે, 'SITના વચગાળાના રિપોર્ટમાં હત્યાનો સ્પષ્ટ સંકેત મળ્યો છે. જે પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે, તે તમામ પર હત્યાની કલમ લગાવવામાં આવી છે. 8 ડિસેમ્બર સુધી આ મામલે ચાર્જશીટ દાખલ કરી દેવામાં આવશે.' જોકે, હજુ સુધી રિપોર્ટ જાહેર કરવામાં નહીં આવે, જેથી કોઈ ગેરસમજણ ન ફેલાય. 

આ પણ વાંચોઃ સિંગર ઝુબિન ગર્ગનું મોત અકસ્માત નહીં, હત્યા કરાઈ હતી: આસામના CMનો ઘટસ્ફોટ

પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને નવા સવાલો

ઝુબિનનું પોસ્ટમોર્ટમ સિંગાપોરમાં અને બાદમાં ગુવાહાટી મેડિકલ કૉલેજમાં કરવામાં આવ્યું હતું. હાલ બંને રિપોર્ટ CIB અને ઝુબિનના પત્ની ગરિમા સૈકિયા ગર્ગ પાસે છે. CIDના ASP મોરામી દાસ વ્યક્તિગત રૂપે રિપોર્ટ લઈને ઘરે પહોંચ્યા હતા. જોકે, હાલ ગરિમાએ રિપોર્ટ પોલીસને પરત કરી દીધા છે. પરંતુ, રિપોર્ટ સાર્વજનિક કરવાનો નિર્ણય CID દ્વારા જ કરવામાં આવશે. સવાલ એ ઊભા થઈ રહ્યા છે કે, રિપોર્ટમાં એવું શું છે જેને સંતાડવામાં આવી રહ્યું છે? 

ત્યારે શું થયું હતું? 

19 સપ્ટેમ્બર, 2025ના દિવસે ઝુબિન પોતાના મેનેજર અને અમુક જાણકારો સાથે સિંગાપોરમાં હતા. ઝુબિનના બેન્ડમેન્ટ શેખર જ્યોતિ ગોસ્વામીએ દાવો કર્યો કે, ઝુબિનનું મોત ડૂબવાથી નહીં પરંતુ ઝેર આપવાના કારણે થયું છે. યૉટના સમુદ્રમાં પહોંચતા જ મેનેજર સિદ્ધાર્થ શર્માએ આખી કમાન પોતાના હાથમાં લઈ લીધી હતી. ડ્રિંક્સ સર્વ કરનારા તન્મય ફુકનને પણ રોકી દીધો હતો. પરંતુ, બીજા બધાને તેણે જ ડ્રિંક્સ પીરસી હતી. 

'જાબો દે, જાબો દે'નો શું અર્થ? 

શેખરે દાવો કર્યો કે, 'પાણીમાં ઉતરતાં જ ઝુબિનની તબિયત ખરાબ થવા લાગી હતી. તે ટ્યૂબ પકડવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ, પહોંચી ન શક્યા. જ્યારે લોકો તેમને બચાવવા માટે દોડ્યા તો મેનેજર સિદ્ધાર્થે બૂમ પાડીને કહ્યું- 'જાબો દે, જાબો દે', એટલે કે, તેને જવા દો.'

આ પણ વાંચોઃ 'દરેક બ્રેકઅપને દુષ્કર્મ ન કહેશો...', સુપ્રીમ કોર્ટે કાયદાના દુરૂપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી

આ વાતને શેખરે હત્યાની આશંકા સાથે જોડી. પરંતુ, અહીં વિરોધાભાસ છે. કારણ કે, શેખરની ખુદ આ કેસમાં આરોપી તરીકે ધરપકડ કરવામાં આવી છે.

શેખર પર કેમ થયા સવાલ? 

ઝુબિનની પત્ની ગરિમા ગર્ગે શેખરના નિવેદન પર ગંભીર સવાલ ઊભા કર્યા. તેમણે પૂછ્યું કે, જો શેખરને હકીકતમાં ઝેર આપવાની જાણકારી હતી, તો તે 15 દિવસ સુધી ચૂપ કેમ રહ્યા? તેમણે આ વાત પોસ્ટમોર્ટમ પહેલા અથવા ઘટનાની તુરંત બાદ કેમ ન જણાવી? CIDએ શેખરની ચુપ્પીને શંકાસ્પદ જણાવી અને આ કારણે તેમની ધરપકડ કરવામાં આવી. 

બીજા એક બેન્ડમેટના નિવેદનથી બદલાઈ કહાની

શેખરના નિવેદન પછી, ઝુબિનના બીજા બેન્ડમેટ પાર્થો પ્રતિમે પણ એક નિવેદન આપ્યું, જેનાથી તપાસમાં નવો વળાંક આવ્યો. પાર્થોએ આ ઘટના માટે શેખર અને મેનેજર સિદ્ધાર્થ બંનેને દોષી ઠેરવ્યા. 18 સપ્ટેમ્બરની રાત્રે, બંનેએ ઝુબિન સાથે મોડી રાત સુધી પાર્ટી કરી, જ્યારે તેઓ જાણતા હતા કે ઝુબિનને ખેંચ આવે છે. તેમ છતાં, બીજા દિવસે તેને દરિયામાં ઉતારવામાં આવ્યો, જે ગંભીર બેદરકારી દર્શાવે છે.

વિવાદ અને આયોજકની ધરપકડ

સિંગાપોરમાં ફેસ્ટિવલ ઓર્ગેનાઇઝર શ્યામ કાનુ મહંતા પર પણ આ કેસમાં આરોપ મૂકવામાં આવ્યો છે. ઝુબિનને નાણાંકીય વિવાદને કારણે સિંગાપોર આમંત્રણ આપવામાં આવ્યું હોવાનો આરોપ છે. બાદમાં મહંતાની હત્યાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. મેનેજર, બેન્ડ સભ્યો અને સુરક્ષા કર્મચારીઓ સહિત સાત અન્ય લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. કેટલાક સુરક્ષા કર્મચારીઓના બૅન્ક ખાતાઓમાં કુલ રૂ. 1.1 કરોડ(આશરે 10 મિલિયન ડૉલર)ના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે, જે કેસને વધુ જટિલ બનાવે છે.

છેલ્લો વીડિયો અને ફોરેન્સિક તપાસ CID એ તમામ આરોપીઓના મોબાઇલ ફોન જપ્ત કર્યા છે અને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યા છે. આમાં તે મોબાઇલ ફોનનો પણ સમાવેશ થાય છે જેણે ઝુબીનનો સ્વિમિંગનો છેલ્લો વીડિયો રૅકોર્ડ કર્યો હતો. CID એ પણ તપાસ કરી રહી છે કે ઘટના દરમિયાન અન્ય કોઈ વીડિયો હતા કે જેને જાણી જોઈને ડિલિટ કરવામાં આવ્યા હતા કે છુપાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ 500 વર્ષના યજ્ઞની પૂર્ણાહુતિ, ભારતીય સભ્યતાનું પુનઃજાગરણ : અયોધ્યામાં ધ્વજારોહણ બાદ PM મોદીનું સંબોધન

સિંગાપોર પોલીસનું વલણ

સિંગાપોર પોલીસ હજુ પણ તેને અકસ્માત તરીકે ગણી રહી છે. જોકે, આસામ સરકાર અને ભારત સરકારે તેમની તપાસ આગળ વધારી છે અને MLAT હેઠળ માહિતી માંગી છે. મુખ્યમંત્રી હિમંત સરમાએ જણાવ્યું હતું કે ભારતમાં હત્યાના પૂરતા પુરાવા મળી આવ્યા હોવાથી CID હવે સિંગાપોરમાં તપાસ કરશે નહીં.

વાઇરલ વીડિયો અને નવી ચર્ચા

સોશિયલ મીડિયા પર ફરતા એક વીડિયોમાં, ઝુબિન પાણીમાં ઉતરવાની અનિચ્છા બતાવે છે. શેખર તેને વારંવાર તરવા માટે આગ્રહ કરતો જોવા મળે છે. વીડિયોમાં, ઝુબિન વારંવાર પૂછે છે, "શું તમે પણ આવશો?" આ વીડિયો ઘણી અટકળો ઊભી કરે છે અને અમુક અંશે માનસિક તણાવ સૂચવે છે.

ઝુબિન બીજી વાર પાણીમાં કેમ ઉતર્યા?

અહેવાલો અનુસાર, ઝુબિન પહેલી વાર લાઇફ જેકેટ પહેરીને પાણીમાં ઉતર્યા હતા. જોકે, તેમણે બીજી વાર લાઇફ જેકેટ પહેર્યું ન હતું અને આ જીવલેણ સાબિત થયું. આશ્ચર્યજનક રીતે, બીજા તરવાનો કોઈ વીડિયો સામે આવ્યો નથી. શું તેઓ જાણી જોઈને શૂટ કરાયો ન હતો? કે ફૂટેજ છુપાવવામાં આવી હતી? આ કેસનો સૌથી ઘેરો ખૂણો છે.

આ પણ વાંચોઃ મારા પુત્રના બ્રાહ્મણની પુત્રી સાથે લગ્ન ન થાય ત્યાં સુધી...', IAS અધિકારીની ટિપ્પણીથી વિવાદ, બ્રાહ્મણોમાં આક્રોશ

ઝુબિનના મૃત્યુ પછી 54 FIR

ઝુબિન ગર્ગ માત્ર એક ગાયક જ નહીં પરંતુ આસામમાં એક ભાવનાત્મક પ્રતિક હતા. તેમના મૃત્યુથી રાજ્યભરમાં આક્રોશ ફેલાયો હતો. આસામ સરકારે અત્યાર સુધીમાં આ કેસમાં 54 FIR દાખલ કરી છે, જે વિવિધ ફરિયાદીઓ દ્વારા દાખલ કરવામાં આવી છે. દરેક વ્યક્તિ એક જ વસ્તુની માંગ કરી રહી છે: પારદર્શક તપાસ અને ગુનેગારોને કડક સજા.

પરિવારનો પક્ષ

જ્યારે આરોપી વિશે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, ત્યારે ઝુબિનની પત્ની ગરિમાએ મેનેજર સિદ્ધાર્થનો બચાવ કર્યો. તેમણે કહ્યું કે, સિદ્ધાર્થ હંમેશા ઝુબિન માટે ભાઈ જેવો રહ્યો છે.

અંતિમયાત્રામાં ઉમટ્યા લોકો

જ્યારે ઝુબિન ગર્ગનો પાર્થિવ દેહ ભારતમાં પહોંચ્યો, ત્યારે ગુવાહાટીથી કમારચુકી સુધી લાખો લોકો તેમના અંતિમ દર્શન માટે રસ્તાઓ પર ઉમટી પડ્યા હતા. રસ્તા પરની ભીડ એ વાતનો પુરાવો હતો કે તેઓ માત્ર એક કલાકાર જ નહોતા, પરંતુ આસામનો અવાજ હતા. તેમના મૃત્યુથી લોકોના હૃદયમાં એક એવી ખાલી જગ્યા પડી ગઈ છે જે ટૂંક સમયમાં ભરાશે નહીં.