રેસલરની નિશા દહિયાની મોતની અફવા ઉડી, જાણો શું છે હકિકત
Updated: Nov 10th, 2021
નવી દિલ્હી, તા. 10 નવેમ્બર 2021, બુધવાર
હરિયાણાના સોનીપતમાં રાષ્ટ્રીય સ્તરની રેસલર નિશા દહિયા અને તેના ભાઇ પર ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની ખોટી અફવા ઉડી છે. જોકે, આ સમાચાર સોશિયલ મીડિયામાં વહેતા થયા બાદ નિશા દહિયાએ વીડિયો સંદેશ જારી કરી પોતે જીવતી હોવાનું જાણાવ્યું હતું.
સોશિયલ મીડિયામાં મેસેજ વાઇરલ થયો હતો કે સોનીપતના હલાલપુર ગામમાં રેસલર સુશીલ કુમારના નામ પર એક એકેડમી છે. ત્યાં હુમલાખોરોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. હુમલાખોરોએ નિશા દહિયા, તેના ભાઈ સૂરજ દહિયા અને માતા ધનપતિ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. હુમલો કરીને અજાણ્યા બદમાશો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. નિશા અને તેના ભાઈ સૂરજનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે તેની માતા ધનપતિને ગંભીર હાલતમાં રોહતક પીજીઆઈમાં મોકલવામાં આવી છે. જ્યાં તેમની હાલત હજુ પણ ગંભીર છે. હત્યાનું કારણ હજુ સુધી ખુલાસો નથી થયો.
જોકે, નિશા દહિયાએ સોશિયલ મીડિયામાં એક વીડિયો સંદેશ જારી કરી કહ્યું કે જે નિશા નામની વ્યક્તિનું મોત થયું છે તે હું નથી. જોકે, તેનું નામ પણ નિશા દહિયા જ છે. પણ હું તે નથી.